વિશ્વ કેન્સર દિવસ : ૧૩ કેન્સર વોરિયરે દ્વારકાથી સોમનાથ હોળી હંકારી સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી

0

મનોબળ અને મહાદેવ બંને ઉપર વિશ્વાસ રાખવાના સંદેશ સાથે કેન્સર સામે લડતા લોકોને પ્રોત્સાહન આપવા અનોખું અભિયાન : શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેન્સર યોદ્ધાઓ ને અપાયું પ્રેમપૂર્ણ આતિથ્ય

વિશ્વ કેન્સર દિવસ ઉપર ૧૩ કેન્સર વોરિયર્સ દ્વારા ૨૫૦ કિમી નાવ હંકારીને હરિ અને હર સુધીનો પ્રવાસ કરાયો હતો. કેન્સર સામે લડતા ૧૩ દર્દીઓ કે કહી શકાય કે યોદ્ધાઓ દ્વારા ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ થી કાયક એટલેકે નાની હોળી દ્વારા અભિયાન રૂપે દ્વારકાથી સોમનાથ ૨૫૦ કિમીની નાવ યાત્રા કરવામાં આવી હતી. જેમાં ૧૦ થી વધુ બંદરો ઉપર જઈને ત્યાં લોકોમાં કેન્સર અવેરનેસનું કાર્ય કર્યું હતું. સાથે કેન્સર પેશન્ટો દ્વારા વ્યસન મુક્તિ માટે પણ લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૫ એટલે કે વિશ્વ કેન્સર દિવસ ઉપર કાયક લઈને કેન્સર વોરિયર્સ સોમનાથ સમુદ્ર તટે પહોંચ્યા હતા જ્યાં તેઓનું ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરાયું હતું. દ્વારકાથી સોમનાથ આવેલ આ કેન્સર સામે યુદ્ધ લડનાર લડવૈયાઓને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આતિથ્ય અપાયું હતું. જેમાં રહેવાની અને ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્સર વોરિયર્સ દ્વારા શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરવામાં આવી હતી. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરીને તેઓને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. કેન્સર વોરિયર્સ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટની કરૂણાને બિરદાવી હતી અને શ્રી મહાદેવની નિશ્રામાં કેન્સર ક્યાંક ગાયબ થઈ ગયું હોય તેવી અનુભૂતી વ્યક્ત કરી હતી.

error: Content is protected !!