પ્રથમ દિવસે સિદ્ધ હસ્ત નૃત્યાંગના પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહે “હર હર મહાદેવ” નાટ્યકથા પ્રસ્તુત કરી : ત્રણ દિવસના સોમનાથ મહોત્સવમાં પદ્મવિભૂષણ – પદ્મભૂષણ અને પદ્મશ્રી ગૌરવ પ્રાપ્ત સિદ્ધ હસ્તકલાકારો – લોકસંગીતકારો શિવ મહિમાગાન કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ એવા સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ સોમનાથમાં મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં ઉજવાનારા ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કલા અને સંસ્કૃતિ દ્વારા આરાધનાના અલૌકિક ‘સોમનાથ મહોત્સવ’ને ખૂલ્લો મૂકતાં પહેલા ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’ કરી હતી. જે રીતે ગંગા આરતી કરવામાં આવે છે, તે જ રીતે મુખ્યમંત્રીએ હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે, તેવા અરબી સમુદ્રના સંગમ સ્થળ ઉપર વેદની ઋચાઓના ગાન સાથે આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ૧૦૮ દીપની ‘સંગમ આરતી’ કરી હતી. મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવને શ્રદ્ધા-આસ્થા, કલા અને આરાધનાનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે કલા દ્વારા આરાધનાની થીમ સાથે આ સોમનાથ મહોત્સવનું આયોજન કર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સોમનાથ મહોત્સવનું આ સ્થળ માત્ર ધર્મસ્થાનક જ નહીં પરંતુ સંકલ્પ અને સંસ્કૃતિના પ્રતિક સાથો સાથ ભારતીય અસ્મિતાનું પણ અજાેડ પ્રતિક છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું જીવંત ઉદાહરણ પણ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સોમનાથ – તમિલ સંગમ અને કાશી – તમિલ સંગમનો પણ સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરનું પુર્નનિર્માણ કરાવનારા લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના આ વર્ષમાં સૌ પ્રથમવાર યોજાઈ રહેલા સોમનાથ મહોત્સવને સુભગ સંયોગ વર્ણવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે સોમનાથ તીર્થસ્થાનના ઐતિહાસિક મહત્વની વાત કરતા કહ્યું કે, અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીના ત્રિવેણી સંગમનું પણ મહાત્મ્ય છે. સોમનાથ મહોત્સવ દરમ્યાન આ ત્રિવેણી સંગમ ખાતે ૧૦૮ દીવડાની સંધ્યા આરતી કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ સહિતના યાત્રાધામો-તીર્થધામોના સર્વગ્રાહી વિકાસ માટેની નેમ દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, આગામી ૨૦-૨૫ વર્ષ દરમ્યાન અહીં આવનારા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આયોજન હાથ ધરાયા છે. રાજ્ય સરકારે સોમનાથ આવનારા પ્રવાસીઓ, યાત્રિકોને સરળ કનેક્ટિવિટી માટે સોમનાથ, દ્વારકા અને પોરબંદરને જાેડતા “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે”ના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં આયોજન કર્યું છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવની શરૂઆત કરાવતા પહેલાં ત્રિવેણી સંગમ ખાતે સંગમ આરતીમાં પણ સહભાગી થયા હતા. દરમ્યાન કલા દ્વારા આરાધનાના ‘સોમનાથ મહોત્સવ’ના પ્રથમ દિવસે પદ્મવિભૂષણથી સન્માનિત ડો. સોનલ માનસિંહે સોમનાથનો ઈતિહાસ તાદ્રશ્ય કરાવતા ‘હર હર મહાદેવ’ નાટકની પ્રસ્તુતિ રજૂ કરી હતી. સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાસભર આ પ્રસ્તુતિને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ માણી હતી. ભગવાન સોમનાથના ઈતિહાસ અને મહાદેવના જીવન-કવનને પ્રતિબિંબિત કરતું અદ્વિતીય નૃત્ય-નાટક ‘હર હર મહાદેવ’ની પ્રસ્તુતિમાં ભગવાન શિવની મહાગાથાનું આલેખન કરાયું હતું. ભક્તિ, સંગીત અને વાર્તા કથનના માધ્યમથી ‘ગંગા અવતરણ’, ‘શિવ તાંડવ’ સહિતની રચનાઓથી ડો. સોનલ માનસિંહ અને સમગ્ર ટીમે શિવ સ્વરૂપને જીવંત બનાવ્યું હતું. આ ઉપરાંત સોમનાથ મહોત્સવના પ્રારંભ અવસરે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના પાવન પ્રસંગે કલા દ્વારા આરાધના થકી શિવત્વની દૈવીય ચેતના લોકો સુધી પહોંચી છે. ભગવાન શિવ આદિયોગી છે. શિવ આસ્થા માત્ર માન્યતા નથી, ભારતીય જીવનશૈલી છે. શિવ નટરાજ છે, શિવ ભક્તિમાં નૃત્યની પરંપરા વિશિષ્ટ રહી છે, જેનું સાક્ષી મંદિરનું પ્રાચીન નૃત્ય મંડપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વેગ મળ્યો છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પણ સોમનાથ-તમિલ સંગમ, મહાકુંભમાં જતાં લોકો માટે પેવેલિયનનું આયોજન કરી ધાર્મિક પ્રવાસનના વિકાસ માટેનું કાર્ય થયું છે. ત્યારે યાત્રાધામોના વિકાસ થકી પ્રવાસન સ્થળોને વધુ વિકસાવવાનું કાર્ય કરી રાજય સરકાર લાખો આસ્થાળુઓની અનન્ય શ્રધ્ધાની સંસ્કૃતિને પોષવા માટે યોગદાન આપી રહી છે. આ મહોત્સવમાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જાેટવા, માનસિંહભાઈ પરમાર તથા ગીર-સોમનાથ વહિવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, પ્રવાસીઓ અને કલારસીક નગરજનો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.