ગીર-સોમનાથમાં પાણીના ટેન્કર દોડાવવા બાબતે કોન્ટ્રાકટરને માર મારનાર બે શખ્સોને પાસામાં ધકેલાયા

0

બંન્ને આરોપીઓ પાણીના ટેન્કરનો કોન્ટ્રાક્ટ ન મળતા રોફ જમાવી કામગીરી અટકાવી રહેલ હોવાની તંત્રના ધ્યાને આવેલ

ગીર સોમનાથ જીલ્લામાં ઉનાળામાં સંભવિત પાણીની અછતને પહોંચી વળવા પાણી સપ્લાય કરવા ટેન્કર દોડાવવાનો કોન્ટ્રાક્ટ ન મળ્યાના મનદુ:ખમાં પ્રતાપ થોભણ ડોડીયા રહે.રાતિધાર, તા.તાલાલા અને ધીરૂ કાના દાહીમા, રહે.પનાદર, તા.કોડીનાર વાળા બંન્ને શખ્સોએ જે શખ્સને પાણીના ટેન્કર દોડાવવાનો કોન્ટ્રાક્ટ મળેલ તેની સાથે મારકુટ કરી, ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે બંન્ને શખ્સો સામે પોલીસમાં ગુનો પણ નોંધાયો હતો. આ બંન્ને શખ્સો અવારનવાર પાણી જેવી અતિ આવશ્યક જરૂરિયાતને પૂરી પાડવા ટેન્કર ચલાવતા વ્યક્તિઓને ધમકાવીને અટકાવતા હોવાની પણ પ્રવૃત્તિ કરતા હોવાની માહિતી તંત્રને મળી હતી. આ ઉપરાંત ગુપ્ત સાહિદોના નિવેદનની વિગતે તેઓ આવી પ્રવૃત્તિ વારંવાર કરતા હોવાનું તેમજ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાતું હોવાનું જણાવેલ હતું.આ આરોપીઓના ભયને કારણે લોકો તેના વિરુદ્ધમાં ફરિયાદ કરતા પણ ડરતા હોવાનું જાણવા મળેલ હતુ. બંન્ને શખ્સો ઝનૂની સ્વભાવવાળા હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુનાહીત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થવાના તેમજ તેની આવી ભયજનક પ્રવુત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા સારું બંન્નેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક જણાતા ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કર્યો હતો. જેને લઈ એલસીબી પીઆઈ એ.બી.જાડેજા અને સ્ટાફે બંન્ને આરોપીઓ પ્રતાપ થોભણ ડોડીયાને ખાસ જેલ ભુજ અને ધીરૂ કાના દાહીમાને મઘ્યસ્થ જેલ, સુરત ખાતે અટકાયત કરી ધકેલી દીધા હતા.

error: Content is protected !!