પોલીસ, એસઆરપીની જવાનોએ પેટ્રોલીંગ વધારવાની સાથે ચેકીંગ હાથ ધર્યુ
કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલા ભયાનક આંતકી હુમલાને લઈ ગૃહ મંત્રાલયની એડવાયઝરીના પગલે દેશભરના ધાર્મીક સ્થાનોની સુરક્ષા વધારવાની સાથે સઘન બનાવી ચેકીંગ અને વિશેષ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિરની સુરક્ષા પણ સઘન બનાવવામાં આવી છે. આ અંગે માહિતી આપતા જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, સોમનાથ મંદિરની ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દરીયાઈ પેટ્રોલિંગ અને ક્વિક રિસ્પોન્સ ટીમ(ઊઇ્)નું બળ વધારવામાં આવ્યું છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. સોમનાથમાં પથિક સોફ્ટવેર મારફતે હોટલ અને ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર આકસ્મિક ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. મંદિરની સુરક્ષાને લઈને તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને સતર્કતાનું સ્તર વધારવામાં આવ્યું છે.