જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે બે દિવસ પૂર્વે આતંકવાદી હુમલામાં ૨૭ જેટલા નિર્દોષ નાગરિકોના કરુણ મૃત્યુ નીપજતા આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો સાથે સમગ્ર દેશમાં શોકની લાગણી જાેવા મળી હતી. જમ્મુ કાશ્મીરમાં થયેલા આ આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ગઈકાલે ગુરૂવારે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના જાેધપુર ગેઈટ ચોકમાં ગાંધીજીની પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના જિલ્લા યુનિટ દ્વારા પહેલગામ ખાતેના હુમલામાં અકાળે અવસાન પામેલા હતભાગી પર્યટકોને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સૌ કોઈએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.