તંત્રે શ્રીનગરથી અમદાવાદ સુધી ફ્લાઈટ અને અમદાવાદથી રાજકોટ સુધી ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપી : તંત્રની સમયસર મદદ અને સંવેદનશીલ અભિગમ માટે આભાર માનતો પરિવાર
કાશ્મીરમાં લેન્ડ સ્લાઈડિંગ પછી પહલગાંવમાં થયેલા આતંકી હુમલા વખતે રાજકોટનો એક પરિવાર શ્રીનગરમાં ફસાયો હતો. તમામ રોડ-રસ્તા બંધ હતા અને ફ્લાઈટ્સ ફુલ જતી હતી. આ વખતે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની વહારે આવ્યું હતું અને ફ્લાઈટ તેમજ ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપી. જેના કારણે આ પરિવાર સલામત રીતે પોતાના ઘરે પહોંચ્યો છે. રાજકોટમાં માધાપર ચોકડી નજીક ૨-શ્રીરામ પાર્કમાં રહેતા ૩૮ વર્ષીય નિરવ રમેશભાઈ આચાર્ય પત્ની કિરણ તથા પુત્ર જ્ઞાનેશ તથા તીર્થ સાથે કાશ્મીરના પ્રવાસે ગયા હતા. નિરવ આચાર્યના જણાવ્યા પ્રમાણે, તેઓ ૧૮મી એપ્રિલે શ્રીનગર પહોંચ્યા હતા અને ૧૯મી તારીખે બ્રિજ તૂટ્યો હતો. આ સમયે તેઓ કટરા, વૈષ્ણોદેવીમાં હતા. એ પછી તેઓ નજીકના સ્થળોએ ફરીને ૨૨મીએ ગુલમર્ગ થઈને સાંજે શ્રીનગર પહોંચ્યા હતા. ૨૩મીએ તેઓ પહલગાંવ જવાના હતા. પરંતુ ૨૨મીએ સાંજે તેમને પહલગાંવમાં આતંકવાદી હુમલો થયાના સમાચાર મળ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, આ સમાચાર સાંભળીને તેઓ ખૂબ દુ:ખી થયા હતા. પરિવાર સાથે હોવાથી ચિંતા હતી પણ શ્રીનગરમાં હોટેલમાં તેઓ સલામત છે એવું આશ્વાસન સ્થાનિકો તરફથી મળ્યું હતું. આ પછી આગળનો પ્રવાસ ટુંકાવીને રાજકોટ પરત ફરવાનું નક્કી કર્યું. લેન્ડ સ્લાઈડિંગથી નેશનલ હાઈવે નંબર ૪૪ સહિતના રોડ બંધ હતા. ફ્લાઇટસ્ પણ લિમિટેડ હતી અને ફુલ જતી હતી. ભાડા પણ અતિશય ઊંચા હતા. આથી તેઓ મુંઝાયા હતા. દરમ્યાન તેમને સોશિયલ મીડિયા પરથી ગુજરાત સરકાર તથા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર કાશ્મીરમાં ફલાયેલા પરિવારોની મદદ માટે સક્રિય હોવાની માહિતી મળી હતી. આથી તેમણે ૨૩મી એપ્રિલે ગુજરાત ટૂરિઝમની ઓફિસમાં ફોન કર્યો. જ્યાંથી તેમને રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જાેશીનો નંબર મળ્યો હતો. એ પછી તેમણે કલેક્ટર સાથે વાત કરી ત્યારે કલેક્ટર પ્રભવ જાેશી તરફથી તેમને પૂરી મદદ અને વ્યવસ્થાની હૈયાધારણા મળી હતી. દરમિયાન સોશિયલ મીડિયા પરથી તેમને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કચેરીનો નંબર મળતાં, ત્યાં સંપર્ક કર્યો. આ સમયે પણ ફોન પર પૂરી હિંમત આપી વ્યવસ્થાની ખાતરી અપાઈ હતી. નિરવ આચાર્યના જણાવ્યા પ્રમાણે, એ પછી રાજકોટ કલેક્ટર કચેરીમાંથી ફોન આવ્યો હતો અને અમારી બધી વિગતો નોંધી લેવાઈ હતી. આ દરમિયાન આસિસ્ટન્ટ ડિસ્ટ્રીક્ટ કલેક્ટર, સ્ટેટ રિલીફ ફંડ તેમજ ગાંધીનગરથી ડિવાયએસપી ચુડાસમા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓના ફોન આવ્યા હતા અને અમને હિંમત સાથે વ્યવસ્થાની હૈયાધારણા આપી હતી. એ પછી ૨૪મી એપ્રિલે બપોરે સ્ટેટ રિલિફ ફંડમાંથી ફોન આવ્યો હતો અને અમારા આધારકાર્ડ સહિતની વિગતો લઈને પરત જવાની વ્યવસ્થા ગોઠવાતી હોવાની ખાતરી અપાઈ હતી. એ પછી સાંજે ચાર વાગ્યે કોલ આવ્યો અને રાતે સવા આઠ વાગ્યાની ફ્લાઈટમાં જવાની અમારી વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું જણાવાયું હતું. આથી અમે સાંજે સાત કલાકે શ્રીનગર એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી અમારા ચાર સહિત ભાવનગરના ચાર બહેનો તેમજ અમદાવાદના એક બહેન મળીને કુલ નવ બહેનોને ઈન્ડિગોની ફ્લાઈટના બોર્ડિંગ પાસ આપીને દિલ્હીની ફલાઈટમાં બેસાડાયા હતા. અમે ૨૪મીએ રાતે ૧૦.૩૦ કલાકે દિલ્હી પહોંચ્યા હતા. ત્યાંથી સવારે ૪.૪૫ કલાકની અમદાવાદની ફ્લાઈટની ટિકિટની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી રાખી હતી. આ ફ્લાઈટમાં અમે સવારે ૬.૦૫ કલાકે અમદાવાદ પહોંચ્યા તો, ત્યાંથી રાજકોટ સુધીની ટેક્સીની વ્યવસ્થા જિલ્લા કલેક્ટર પ્રભવ જાેશીની સૂચના મુજબ કરી રાખવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાત સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ સતત અમારી સાથે સંપર્કમાં હતા. એ પછી આ ટેક્સીમાં અમે બપોરે રાજકોટ પહોંચ્યા છીએ. નિરવ આચાર્યએ ઉમેર્યું હતું કે, પરત આવવા માટે ફ્લાઈટની ટિકિટથી લઈને ટેક્સી સુધીની તમામ વ્યવસ્થા સરકારી તંત્ર દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવી છે, અમારે એક રૂપિયો ખર્ચવો નથી પડ્યો. જાે આ સરકારી મદદ ના મળી હોત તો આટલા સહેલાઈથી અમે રાજકોટ ના પહોંચ્યા હોત. આટલા સરળ, સલામત પરિવહન માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જાેશી તેમજ અન્ય અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.