સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ ૨૬-૦૪-૨૦૨૫ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને વિશેષ શણગાર અને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જરદોશીના વર્કવાળા ફૂલોની ડીઝાઇનના વાઘા પહેરાવ્યા સાથે ગુલાબ-સેવંતિના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર એવં કેરીનો અન્નકૂટ ધરાવાયો હતો. સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી અને સવારે ૭:૦૦ કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું.આજે અનેક હરિભક્તોએ દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને અમદાવાદથી ૫૦૦ કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો છે. આજે દાદાને વૃંદાવનમાં ૧૫ દિવસની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જરદોશીના વર્કવાળા ફૂલોની ડીઝાઇનના વાઘા પહેરાવ્યા છે. દાદાના સિંહાસને ફુલનો શણગાર કરાયો છે. જે વડોદરાથી મંગાવ્યા છે. આજે હનુમાનજીને ૧ કિલો પ્યોર સોનામાંથી બનેલો રજવાડી મુગટ અને કુંડળ પહેરાવવામાં આવ્યા છે. સવા ફૂટ ઊંચા અને દોઢ ફૂટ પહોળા મુગટમાં બે પોપટની આકૃતિ બનાવાઈ છે.જેમાં હેન્ડ પેઇન્ટેડ મીણા કારીગરી કરાઈ છે. એટલું જ નહીં મુગટમાં ફૂલ, ઝાડ અને બે મોટા કમળની ડિઝાઈન ચાર ચાંદ લગાવે છે. તો ૩૫૦ કેરેટ લેબ્રોન ડાયમંડથી જડતર કરાયેલો આ મુગટ બનાવતા ૧૮ કારીગરોને ૩ મહિનાનો સમય લાગ્યો હતો.