પોલીસે ઘાસચારો વેચનાર બંન્ને શખ્સો સામે ફરજ રૂકાવટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
વેરાવળમાં જાહેરમાં ઘાસચારો વેચતા ડાભોર ગામના બે શખ્સોને વેંચાણ ન કરવા પાલીકાની ટીમે સુચના આપતા ઉશ્કેરાયેલા બંન્નેએ ઝગડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી પાલીકાની ટીમને ભગાડી મુકી હતી. આ મામલે જીલ્લા કલેકટરની સુચનાથી પાલીકાના અધિકારીએ ઘાસચારો વેચનાર બંન્ને શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ચકચાર જાગી છે. આ મામલે પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળ સોમનાથ પાલિકા વિસ્તારમાં જાહેર સ્થળો અને રસ્તા પર ઘાસચારો વેચવાના કારણે માર્ગો ઉપર રખડતા ઢોરનુ અતિક્રમણ જાેવા મળે છે. રાહદારીઓ સાથે ગંભીર પ્રકારના અકસ્માતોના બનાવો બને છે.જેથી આ સમસ્યાના નિવારણ માટે જીલ્લા મેજિસ્ટ્રેટ ડી.ડી. જાડેજા દ્વારા પાલિકા વિસ્તારમાં જાહેર જગ્યાએ ઘાસચારો ન વેચવા તેમજ પશુના માલિકોને ખુલ્લામાં પોતાના પશુઓને ન મૂકવા અંગેના જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરાવવા અધિકારીને કડક સૂચના આપી હતી. જેથી પાલિકાની ઢોર પાર્ટીની ટીમએ કામગીરી હાથ ધરેલ દરમ્યાન ૮૦ ફૂટ રોડ પર જાહેરમાં ઘાસચારો વેચતા ડાભોર ગામના રહીશ ભરત પાંચા ધારેચા અને શનિ પાંચા ધારેચાને જાહેરમાં ઘાસચારો ન વેંચવા સુચના આપતા ઉશ્કેરાયેલા બંન્ને ભાઈઓએ ઢોર પાર્ટીની ટીમને ભૂંડી ગાળો ભાંડી ઝગડો કરવા લાગેલ હતા અને ત્યાંથી જતા રહેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજ રૂકાવટ કરી હતી. આ સમગ્ર ઘટનાની ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા તેઓની સુચના મુજબ પાલીકાના અધિકારી દિનેશ જેઠવા દ્વારા ડાભોરના બંન્ને ભાઈઓ સામે ઉપરોકત વિગતો સાથે ફરીયાદ આપતા પોલીસે ફરજમાં રૂકાવટ અને જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.