સર્વે નં.૮૪૨/બ ની જમીનનો લેઆઉટ પ્લાન બોગસ માપણી સીટના આધારે મંજુર કરાવ્યાનો પર્દાફાશ થતા પોલીસમાં ગુનો નોંધાયેલ : વિવાદીત જમીનમાં પ્લોટ લેનારા ૩૪ લોકો ન તો વેંચાણ કરી શકશે કે ન તો બાંધકામ કરી શકશે
વેરાવળમાં કરોડોની કીમતી જમીનનો લેઆઉટ પ્લાન છેડછાડ કરેલી બોગસ માપણી સીટ રજૂ કરી પાલિકા પાસેથી મંજૂર કરાવ્યાનો પર્દાફાશ થયો છે. હવે આમાં પાલીકાએ લેઆઉટ પ્લાનની મંજુરી રદ કરી નાંખી છે. જેના પગલે આ કિંમતી જમીનમાં પ્લોટ લઈ દસ્તાવેજ કરનારા ૩૪ જેટલા લોકો ફસાય ગયા છે. ત્યારે પ્લોટ લેનારા લોકો પ્લોટનું વેંચાણ કે તેમાં બાંધકામ કરી શકશે નહીં તેવું જાણવા મળી રહેલ છે. વેરાવળના પ્રભાસ પાટણના સર્વે નં.૮૪૨/બ/પૈકીની જમીનમાં ફાયદો મેળવવા સરકારી રેકર્ડની માપણી શીટમાં છેડછાડ કરી ૧૦ ના બદલે ૧૮ મીટરનો રસ્તો બતાવી લેઆઉટ પ્લાન મંજુર કરાવ્યો હોવા અંગે કોડીનારના રહેવાસી ભરત અતુલકુમાર ઠકરાર, હિતેશ ધીરજલાલ ઠકરાર, મનોજ ધીરજલાલ ઠકરાર અને હંસાબેન રવજીભાઈ પોપટ સામે જીલ્લા કલેકટર ડી.ડી.જાડેજાની સુચનાથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમ્યાન હવે આ મામલે પાલીકા તંત્રએ પણ લેઆઉટ પ્લાનની ગત તા.૮-૪-૨૦૨૪ ના અપાયેલ મંજુરી ગુજરાત મ્યુનીસીપલ એકટની કલમ ૧૫૫ તેમજ જી.ડી.સી.આર.ના ભાગ ૧ કલોઝ ૩.૪ મુજબ રદ કર્યાનો હુકમ કરેલ છે. પાલીકાએ કરેલ હુકમના પગલે વિવાદિત બની ગયેલ પ્રભાસ પાટણના સર્વે નં.૮૪૨/બ/પૈકીની જમીનમાં પડેલા પ્લોટોમાં અનેક લોકોએ ખરીદી કરી છે. જે અંગે રજીસ્ટ્રાર કચેરીમાંથી મળેલ માહિતી મુજબ ૩૪ લોકોએ પ્લોટો ખરીદીને દસ્તાવેજાે કર્યા છે. આ તમામ પ્લોટ ધારકો હવે તેમના પ્લોટો વહેંચી નહીં શકે કે તેમાં બાંધકામ પણ નહીં કરી શકે. જેથી ૩૪ લોકોના કરોડો રૂપીયા ફસાઈ જતા શહેરભરમાં ચકચાર જાગી છે.
છેતરપીંડીની ફરીયાદ થઈ શકે
અત્રે નોંધનીય છે કે, આ વિવાદીત બનેલ જમીનમાં પ્લોટ લેનારા ૩૪ લોકો સાથે એક પ્રકારે ફ્રોડ અને છેતરપીંડી થઈ છે. ત્યારે પીડીત પ્લોટ ધારકો છેતરપીંડીની કાયદેસરની ફરીયાદ કરી શકે તેવો વિકલ્પ ખુલ્લો હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. ત્યારે આ છેતરપીંડી મામલે ફરીયાદ થશે કે પછી બંધબારણે સમાધાન તે જાેવું રહેશે.