પર્વતારોહી યુવકે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી મેરેથોન દોડનો પ્રારંભ કર્યો : દેશની ચારેય દિશામાંથી દોડ લગાવી અયોધ્યા પહોંચવાનો યુવકનો સંકલ્પ : અગાઉ કાશ્મીરના બુઢા અમરનાથથી ૧૬૦૦ કીમી અને દક્ષિણના રામેશ્વરમથી ૨૯૦૦ કીમીની અયોધ્યા સુધી દોડી પુર્ણ કરેલ
હરિયાણાનો રહીશ ૨૮ વર્ષીય પર્વતારોહી યુવક નરેન્દ્રસિંહએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ચરણોમાં પોતાનું કૌશલ્ય સમર્પિત કરવા અનોખો પ્રયાસ કરી રહ્યો છે. જે મુજબ યુવક દેશના ચારેય દિશાના ખુણામાં આવેલા પ્રખ્યાત ધાર્મિક સ્થાનથી મેરેથોન દોડ લગાવીને અયોધ્યા જવાનો સંકલ્પ કર્યો છે. જે સાકાર કરવા આજરોજ પર્વતારોહી નરેન્દ્રસિંહ યાદવએ જગવિખ્યાત સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી. બાદમાં સોમનાથ મંદિર પરિસરમાંથી વિહીપના ભુપેન્દ્રભાઈ વિઠલાણી, ગોવિંદ ભાનુશાળી, કનક બોરીચાંગર સહિતના અગ્રણીઓએ નરેન્દ્રસિંહને લીલીઝંડી બતાવી જય શ્રી રામ અને જય સોમનાથના નાદ સાથે ૧૭૬૧ કીમીની સોમનાથથી અયોધ્યા સુધીની રન ફોર રામના સ્લોગન સાથેની મેરેથોન દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે પર્વતારોહી યુવક નરેન્દ્રસિંહ યાદવે જણાવેલ કે, સોમનાથથી અયોધ્યા સુધીની ૧૭૬૧ કીમીની અલ્ટ્રા મેરેથોન દોડનું આયોજન વિહીપ અને અશોક સિંઘલ ફાઉન્ડેશનના સહયોગથી આયોજન કરવામાં આવ્યુ છે. આ દોડ દરમ્યાન દરરોજ ૫૧ કીમી દોડીને ૩૬ દિવસમાં અયોધ્યા પહોંચવાનું લક્ષ્યાંક રાખેલ છે અને ગુજરાત, મધ્યપ્રદેશ થઈને ઉત્તરપ્રદેશના અયોધ્યા સુધી પહોંચીશ. દરરોજ વ્હેલી સવારે ૩ વાગ્યાથી દોડવાનું શરૂ કરીશ. અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર બનેલ ત્યારે લોકો દ્વારા યથાશક્તિ મુજબ દાન, શ્રમદાન, સેવા દાન આપેલ હોવાથી તેનાથી પ્રેરાઈને મૈ મારામાં રહેલ દોડવાનું કૌશલ્ય પ્રભુના ચરણોમાં સમર્પિત કરવા દેશના ચારેય દિશામાંથી દોડીને અયોધ્યા જઈ દર્શન કરવાનો સંકલ્પ કર્યો હતો. તે મુજબ અગાઉ બે મહત્વપૂર્ણ દોડ પૂર્ણ કરી ચુકયો છું. જેમાં પ્રથમ વર્ષ ૨૦૨૧ માં દક્ષિણમાં રામેશ્વરમ ધામથી અયોધ્યા સુધીની ૨૯૧૧ કિમીની દોડ ૪૭ દિવસમાં પૂર્ણ કરી હતી. જયારે બીજી વર્ષ ૨૦૨૩ માં જમ્મુ કાશ્મીરમાં બાબા બુઢા અમરનાથ ધામથી અયોધ્યા સુધીની ૧૬૦૦ કિમીની દોડ ૩૨ દિવસમાં પૂર્ણ કરી છે. આજે ત્રીજી સોમનાથથી અયોધ્યા સુધી દોડનો પ્રારંભ કર્યો છે. હવે પછી આગામી સમયમાં અરૂણાચલ પ્રદેશથી અયોધ્યા સુધીની દોડ કરીશ. આ અગાઉ વિશ્વના સાત ખંડોના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પણ પર ભારતનો તિરંગો ફરકાવી રેકર્ડ બનાવ્યાનું ગૌરવ હાંસલ કર્યુ છે. મારી સાથે આ દોડ યાત્રામાં હેલ્થ વિભાગના ડોક્ટરો અને ફિઝિયો સહિત પાંચ લોકો રહેશે.