તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી સંદર્ભે મતદાર નોંધણી અધિકારીના ર્નિણય સામે જિલ્લા ચૂંટણી અધિકારીને કરી શકાશે અપીલ

0

આગામી સમયમાં યોજાનાર ૨૪-કડી અને ૮૭-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓ સંદર્ભે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત બુથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા કે કમી કરવાની અરજીઓ મેળવવા સાથે મતદાર નોંધણી અધિકારી દ્વારા હક-દાવા અને વાંધા અરજીઓ અંગેની પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિત્વ ધારો-૧૯૫૦ ની કલમ-૨૪ (એ) મુજબ ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત મતદાર નોંધણી અધિકારી દ્વારા કરવામાં આવેલા ર્નિણય સામે કોઈ મતદારને વાંધો હોય તો મતદાર નોંધણી અધિકારીના ર્નિણય વિરૂદ્ધ સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાલી પડેલી ૨૪-કડી વિધાનસભા (અ.જા.) અને ૮૭–વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીઓ સંદર્ભે ગત તા.૦૮ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તા.૦૮/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ દરમિયાન બંને વિધાનસભા મતવિસ્તારના કુલ ૫૮૮ બુથ લેવલ ઓફિસર્સ દ્વારા અરજીઓ મેળવવામાં આવી હતી. જેમાં કડી અને વિસાવદર મતવિસ્તારમાંથી નોંધણી કે કમી ઉપરાંત વિગતોમાં સુધારા અંગે હક-દાવા અને વાંધાઓ અંગે અનુક્રમે ૩,૦૩૦ અને ૨,૭૫૪ અરજીઓ મળી હતી. આ અરજીઓ અંગે ર્નિણયની પ્રક્રિયા બાદ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેની નકલ માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી હતી.

error: Content is protected !!