સંસ્કૃત ભારતી, પશ્ચિમ ક્ષેત્ર દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગ(૫ મે થી ૧૭ મેં સુધી)નો ઉદ્ઘાટન સમારંભ તાજેતરમાં મિનરાજ શૈક્ષણિક સંકુલ, ભવનાથ-જૂનાગઢ ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો, જેના દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન અને વિકાસ થઈ શકે. સંસ્કૃત ભારતી, એક બિન-નફાકારક સંસ્થા, વર્ષ ૧૯૮૧થી સંસ્કૃત ભાષા અને તેની સાથે જોડાયેલા સાહિત્ય, પરંપરા તેમજ જ્ઞાન પ્રણાલીઓના રક્ષણ અને પ્રસાર માટે સતત કાર્યરત છે. આ ઉદ્ઘાટન સમારંભમાં પશ્ચિમ ક્ષેત્રના વિવિધ રાજ્યોમાંથી આવેલા સંસ્કૃત પ્રેમીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચારથી થઈ, જેમાં ભવનાથના પવિત્ર વાતાવરણે સૌના મનમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે સંસ્કૃત ભારતીય જૂનાગઢના અધ્યક્ષ પરમ પૂજ્ય આચાર્ય વજેન્દ્રકુમારજી, શ્લોક પાઠન કેન્દ્રના અખિલ ભારતીય પ્રમુખ ડો. ચિન્મય આમશેકરજી, સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ડો. ચેતનભાઇ ત્રિવેદી, પ્રાંત મંત્રી ડો.પંકજભાઈ ત્રિવેદી, મિનરાજ શૈક્ષણિક સંકુલના સંસ્થાપક અને વિખ્યાત કેળવણીકાર દાદુભાઇ કનારા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના કુટુંબ પ્રબોધનના પ્રાંત સંયોજક ડો. કુમનભાઈ ખુંટ, સંસ્કૃત ભારતી, પશ્ચિમ ક્ષેત્રના સંગઠન મંત્રી વિઠ્ઠલભાઈ ભટ્ટ અને સંસ્કૃત ભારતીના વરિષ્ઠ પદાધિકારીઓએ હાજરી આપી હતી. તેમણે સંસ્કૃત ભાષાના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, “સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનું હૃદય છે, જે આપણને આપણા મૂળ સાથે જોડે છે.” આ પ્રશિક્ષણ વર્ગનો હેતુ સંસ્કૃત ભાષાને લોકભાષા તરીકે પ્રોત્સાહન આપવું અને તેના શિક્ષણ માટે શિક્ષકોને તૈયાર કરવાનો છે. આ વર્ગમાં સંભાષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢનગરમાંથી ૮૦થી વધારે વિવિધ સ્તરના જુદા જુદા સામાજિક લોકો પણ સંસ્કૃત શીખવા માટે પ્રતિદિન સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ એમ બે કલાક આવી રહ્યા છે.આ ઉપરાંત, આ વર્ગમાં સંસ્કૃતના વ્યાકરણ, સાહિત્ય અને તેના આધુનિક ઉપયોગો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ પ્રશિક્ષણ દ્વારા શિક્ષકોને એવી કુશળતા પ્રદાન કરવામાં આવશે કે જેથી તેઓ સંસ્કૃતને સરળ અને રસપ્રદ રીતે શીખવી શકે. સમારંભ દરમ્યાન, સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય શ્લોક પાઠન કેન્દ્ર પ્રમુખે જણાવ્યું કે, “આ પ્રશિક્ષણ વર્ગ દ્વારા અમે લોકોમાં સંસ્કૃત પ્રત્યેની રૂચિ જગાડવા અને તેને રોજિંદા જીવનમાં સામેલ કરવા માટે પ્રયાસરત છીએ.” તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે, આ વર્ગમાં સૌરાષ્ટ્ર,ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાંથી લગભગ ૬૦થી વધુ પ્રશિક્ષણાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે. આ પ્રશિક્ષણ વર્ગ ભવનાથ-જુનાગઢના પવિત્ર સ્થળે યોજાયો હોવાથી તેનું મહત્વ વધુ વધી ગયું છે. સંસ્કૃત ભારતીના આ પ્રયાસો ભારતીય સંસ્કૃતિના પુનરૂત્થાન અને સંસ્કૃત ભાષાના વૈશ્વિક પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા છે. સમાપનમાં, પ્રાંત મંત્રી ડો. પંકજ ત્રિવેદીએ સૌનો આભાર માન્યો અને આગામી દિવસોમાં આવા કાર્યક્રમો દ્વારા સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતી, જૂનાગઢના સર્વે કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. એવું સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ ડો.કિશોર શેલડિયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.