વિસાવદર તાલુકાના સરપંચઓએ જિલ્લા કલેકટરને લોકપ્રશ્નોની રજૂઆત કરી : પ્રશ્નોના નિરાકરણ અર્થે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપતા કલેકટર : જમીન માપણી, પાળા બનાવવા, કોઝ વે નિર્માણ, દબાણ હટાવવા,રોડ રીપેરીંગ, એસટી બસ સ્ટોપ બનાવવા સહિતના ૧૬૫ જેટલા વિવિધ પ્રશ્નોની વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલા લેવામાં આવ્યા : વિસાવદર તાલુકામાં કાલસારી ગામે કચરાને એકત્રીકરણ કરવા માટેનું નવું વાહન ખરીદવા અર્થે દસ લાખના અનુદાનની જાહેરાત કરતા કલેકટર
જનસમસ્યાઓને ઉકેલવા જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા લોકપ્રશ્નો અર્થે સરપંચઓ સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે. જે અન્વયે વિસાવદર ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને વિસાવદર તાલુકાના સરપંચઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. વિસાવદર પ્રાંત કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને વિસાવદર તાલુકાના સરપંચઓ સાથે લોકપ્રશ્નોના ઉકેલ માટે સરપંચ સંવાદ કાર્યક્રમના માધ્યમથી તેમની સમસ્યાઓનો તાગ મેળવવામાં આવ્યો હતો. આ સાથે તેના ઉચિત ઉકેલ માટે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જમીન માપણી, પાળા બનાવવા, કોઝ વે નિર્માણ, દબાણ હટાવવા, રોડ રીપેરીંગ, રોડ રિસરફેસિંગ, એસટી બસ સ્ટોપ બનાવવા, પુલ નિર્માણ, ગૌચર જમીન, ગ્રામ પંચાયતના નવા ભવન નિર્માણ, નવા રોડ બનાવવા સહિતના ૧૬૫ જેટલા વિવિધ પ્રશ્નોની વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલા લેવામાં આવ્યા હતા. તેમજ વિસાવદર તાલુકામાં કાલસારી ગામે કચરાને એકત્રીકરણ કરવા માટેનું નવું વાહન ખરીદવા અર્થે દસ લાખના અનુદાનની જાહેરાત કલેકટર દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા જૂનાગઢ જિલ્લાના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે. લોક કલ્યાણ અને લોક વિકાસના કામો માટે તેઓ સતત નવીન અભિગમ અપનાવતા રહે છે. આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ પ્રકારે તાલુકાના સરપંચઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવનાર છે. આ તકે જિલ્લા કલેકટરનું પુષ્પગુચ્છ, મોમેન્ટો અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉકત સમીક્ષા બેઠકમાં વિસાવદર પ્રાંત અધિકારી સી.પી.હીરવાણીયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સભ્યો, અરજદારઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.