તા.૧૧ મેના રોજ સવારે ૯ કલાકથી કે.સી.સી ગ્રાઉન્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે : દેશભક્તિના આ કાર્યમાં જિલ્લાના નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે જિલ્લા કલેક્ટરની અપીલ
વર્તમાન સંજાેગોમાં દેશમાં પ્રવર્તમાન જે સ્થિતિનું સર્જન થયું છે, તેમાં રખેને જાે કંઈ થાય તો જાંબાઝ સૈનિકો માટે તેમજ ઘાયલ નાગરિકો માટે તાત્કાલીક રક્ત ઉપલબ્ધ થાય તે માટે જિલ્લામાં રક્તની ઉપલબ્ધતાં હોય તે જરૂરી છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લામાં આ રીતે રક્ત એકત્ર કરવાનું માનવતાનું કામ કરે છે. પરંતુ વર્તમાન સ્થિતિમાં જાે કોઈ એવી વિપરિત પરિસ્થિતિનું નિર્માણ થાય તો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા બ્લડબેંક પાસે પર્યાપ્ત બ્લડનો પૂરવઠો હોય તે જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ખાતે આવેલા કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય એ આ અંગે અપીલ કરતાં જણાવ્યું છે કે, રક્તદાન એ દેશભક્તિ દર્શાવવાનું જ એક માધ્યમ છે. દેશની સીમા પર દેશના રખોપાં કરતાં પ્રહરીઓ માટે તેમજ ઘાયલ નાગરિકો માટે આપણે પૂરતાં પ્રમાણમાં રક્તનો પુરવઠો બનાવી રાખીએ તે સાંપ્રત સ્થિતિમાં જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન રેડક્રોસના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લે અને દેશ પ્રત્યેનું ઋણ ચૂકવે એવી અપીલ જિલ્લા કલેક્ટરએ કરી છે. આપણા શાસ્ત્રોમાં પણ રક્તદાનને મહાદાન ગણવામાં આવ્યું છે. કોઈનું જીવન આ રક્તથી બચાવી શકાય છે, ત્યારે આ ઈશ્વરિય કાર્યમાં વધુમાં વધુ સહભાગી થાય તે ઈચ્છનીય છે. રાષ્ટ્રહિત કાજે યોજવામાં આવેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થઈ અને સરહદ પર માભોમની રક્ષા કાજે પોતાનું શૌર્ય દાખવતાં પરાક્રમી સૈનિકો માટે પોતાનું બ્લડ ડોનેટ કરે એમ જિલ્લા કલેકટર દ્વારા હાર્દભરી અપીલ કરી છે.