સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ ૧૦-૫-૨૦૨૫ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને વિશેષ ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો છે. આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ત્રિરંગાની ડીઝાઈનવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે સિંહાસને મિક્સ ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો હતો. આજે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે ૭:૦૦ કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું. આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને શનિવાર નિમિત્તે ત્રિરંગાની થીમવાળા વાઘા પહેરાવામાં આવ્યા છે. આ વાઘા ગોંડલમાં ૧૦ દિવસની મહેનતે એક ભક્તે બનાવીને સાળંગપુર મોકલ્યા છે. તો દાદાના સિંહાસને ૨૦૦ કિલોથી વધુ વિવિધ ફુલોનો શણગાર કરાયો છે. આજે સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીનું રાજાેપચાર પૂજન પણ કરાશે.