ભારતના પશ્ચિમી છેવાડે અને પાકીસ્તાની જળસીમાથી નજીક એવા દ્વારકા ક્ષેત્રમાં પણ હાલનાં યુદ્ધ જેવા માહોલમાં તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત વધારી સુરક્ષાઓ એજન્સીઓની સાથે સાથે પોલીસ, પાલીકા, રેવન્યુ તથા આરોગ્ય વિભાગની ટીમો પણ એલર્ટ મોડમાં જાેવા મળી રહી છે. દેશનું પ્રમુખ યાત્રાધામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતું હોય તેમજ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો અતિ સંવેદનશીલ ગણાતો હોય હાલના યુદ્ધ જેવા માહોલમાં નેવી – કોસ્ટગાર્ડ એરફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓ તથા સ્થાનીય વહીવટી તંત્ર એલર્ટ મોડમાં રહી કામગીરી કરી રહયા છે. દ્વારકાધીશ મંદિર સહિત મહત્ત્વના સ્થળોએ બ્લેકઆઉટ જેવી કાર્યવાહી કરાઈ રહી છે અને અગમચેતીરૂપે પ્રજાજનોને યુદ્ધની પરિસ્થિતિ અંગે માહિતગાર કરાઈ રહ્યા છે. જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા એસ.પી. નિતેશ પાંડેયના માર્ગદર્શનમાં દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારા આ ક્ષેત્રના દરીયાઈ વિસ્તારોનું સતત મોનીટરીંગ કરાઈ રહયુ છે. દ્વારકા હોટલ એસોસીએશન દ્વારા પણ સંલગ્ન હોટલ સંચાલકોને બીલ્ડીંગની બહારની લાઈટોને બંધ રાખવા તથા બિનજરૂરી લાઈટો બંધ કરાવવાની તજવીજ કરી છે. ૧૯૬૫ના યુદ્ધમાં પાકીસ્તાને દ્વારકા યાત્રાધામને ટાર્ગેટ બનાવેલ હોય ઓખા -દ્વારકા સહિત જિલ્લાભરના બંદરગાહ વિસ્તારોની દરીયાઈ સુરક્ષામાં પણ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલીંગ અને મોનીટરીંગ સાથે વધારો કરાયો છે.