જિલ્લા “સ્વાગત”માં અગાઉ રજૂ થયેલા પ્રશ્નો અંગે કલેકટર કક્ષાએ અપાતી રજૂઆતોની નિવારણની સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવા તાકિદ કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેે લોકોની રજૂઆતો સમસ્યાઓના સુચારૂ નિવારણ માટે ટેક્નોલોજીયુક્ત અભિગમ “સ્વાગત”માં જિલ્લા કક્ષાના “સ્વાગત”માં લોકોની રજૂઆતોની જિલ્લા કલેક્ટર કક્ષાએ નિવારણ માટેની જે સૂચનાઓ અપાઈ હોય તેનું પાલન સુનિશ્ચિત કરવા તાકિદ કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અરજદારો નાગરિકોને પોતાની આવી નાની રજૂઆતો માટે રાજ્ય “સ્વાગત” સુધી આવું જ ન પડે તેવી સ્થિતીનું નિર્માણ આપણે કરવું છે. મુખ્યમંત્રીએ જૂન મહિનાના રાજ્ય “સ્વાગત”માં તેમની સમક્ષ રજૂ થયેલા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગો તથા જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ અધિક્ષકો તથા અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ જૂન-૨૦૨૫ના આ રાજ્ય “સ્વાગત”માં રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, ગ્રામ પંચાયતના રસ્તાઓ બનાવવા, જમીન મહેસુલ, હેતુફેર સહિતની વિવિધ રજૂઆતો આવી હતી. તેમણે આ રજૂઆતકર્તાઓને શાંતિપૂર્વક સાંભળીને તથા હકારાત્મક વલણ દાખવીને મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રને સ્પર્શતી રજૂઆતોમાં કડક કાર્યવાહી માટે સુચનાઓ પણ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ યોજના પડતી મુકાયા છતાં કેટલાંક ખેડૂત ખાતેદારોના ૭/૧૨માં કલમ-૪ના પ્રાથમિક જાહેરનામામાં યથાવત રહેલી નોંધને કારણે ખેડૂતોને લાંબા સમયથી પડતી સમસ્યાનો અંત લાવી તે નોંધ દૂર કરવાનો સંવેદનાસ્પર્શી ર્નિણય “સ્વાગત” દરમિયાન કર્યો હતો. તેમણે રહેણાંક હેતુ માટેની સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા કેસમાં કડક કાર્યવાહી કરવા, ખેડૂતોની જમીન માપણીના પ્રશ્નો, રોડ રસ્તા પરના દબાણ હટાવવાના, પર્યાવરણ જાળવણી સહિતના પ્રશ્નોને નાગરિકો પરત્વે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને જિલ્લા વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરે તેવી સ્પષ્ટ સુચનાઓ આપી હતી. જૂન મહિનાના “સ્વાગત” ઓનલાઈનમાં ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય “સ્વાગત” મળીને કુલ ૩૩૪૯ રજૂઆતો મળી હતી તેમાંથી ૫૦% એટલે કે ૧૭૫૭ જેટલી રજૂઆતોનું નિવારણ લાવી દેવાયું છે. જૂન-૨૦૨૫ના રાજ્ય “સ્વાગત”માં કુલ ૯૮ જેટલા અરજદારો રાજ્યભરમાંથી હાજર રહ્યા હતા. જેમાંથી ૧૨ જેટલા અરજદારોને મુખ્યમંત્રીએ રૂબરૂ સાંભળ્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ રાજ્ય “સ્વાગત” માટે આવેલા અન્ય ૮૬ જેટલા અરજદારોની અરજીઓ મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલયના અધિકારીઓએ સાંભળીને તે અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક તથા સંબંધીત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી તથા સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપી હતી.