પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા ખેડૂતો માટે બિનરાસાયણિક પધ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું નિયંત્રણ-નિરાકરણ કરવાના ઉપાયો

0

પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા અપાયેલ માહિતીને આધારે રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે રાસાયણિક પદાર્થો કે દવાઓના ઉપયોગ વગર વિવિધ પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવાના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જેમાં, ૧. ઉનાળામાં હળ કે ટ્રેક્ટરની દાંતીથી આડી ઉભી ખેડ કરવી. ઊંડી ખેડને કારણે રોગકારક ફૂગ, જીવાણું, કિટકનાં કોશેટા, ઈંડા કે કૃમિ બહાર આવતા સૂર્યપ્રકાશથી નાશ પામે. જમીનની અંદર રહેલ ફૂગ પણ નાશ પામે. ૨. જમીનજન્ય રોગો જેવા કે સૂકારો, મૂળનો કોહવારો, થડનો સડો, ગંઠવા કૃમિ જેવા રોગો ન થાય તે માટે દર વર્ષે એકના એક પાકનું વાવેતર ન કરતા વારાફરતી બીજા પાકોનું વાવેતર કરવું. મગફળીના પાકમાં થડના કોહવારાનું પ્રમાણ ઘટાડવા કપાસ, ઘઉં, મકાઇ, જુવાર, ડુંગળી અને લસણ જેવા પાક સાથે ફેરબદલી કરવી જાેઈએ. ૩. સંપૂર્ણ કોહવાયેલ, ગળતીયા છાણીયા ખાતર, લીંબોળી તથા દિવેલીનો ખોળ, રાયડાનો ખોળ કે મરઘી- બતકાના ખાતરનો વપરાશ વધારવો. મગફળીમાં થડના કોહવારો રોકવા માટે વાવણી પહેલા દિવેલીના ખોળને ૭૫૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે તેમજ કપાસમાં ધરૂનું મૃત્યુ, મૂળખાઈ અને સૂકારાના નિયંત્રણ માટે છાણીયું ખાતર હેક્ટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર ર ટન પ્રતિ હેક્ટરે વાવેતર પહેલા જમીનમાં આપવાથી રોગોનું પ્રમાણ ઘટાડી શકાય છે. ૪. રોગપ્રતિકારક જાતોના વાવેતરનો આગ્રહ રાખવો. મગફળીમાં ઉગસૂક, મૂળખાઇ અને થડના કોહવારા સામે પ્રતિકારકતા માટે જીજેજી-૩૩ જાતની ભલામણ છે. ૫. જમીનનું સૌરીકરણ (સોઇલ સોલરાઈઝેશન) માટે ગરમીની ઋતુમાં જમીનમાંથી અગાઉના પાકના અવશેષો તથા નિંદામણ દૂર કરી પાણી આપી વરાપ થયે છાણિયું ખાતર કે કોઈપણ ખોળ ભેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી. ત્યારબાદ તુરંત જ ક્યારાના માપ પ્રમાણે ૧૦૦ ગેજનું એલ.એલ.ડી.પી.ઈ.પારદર્શક પ્લાસ્ટિક જમીન પર પાથરી ચારે બાજુથી ચુસ્ત રહે તે રીતે માટીથી પ્લાસ્ટિકની ધારને જમીનમાં દબાવી ઢાંકવું. ૧૫ દિવસ સુધી તેને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. આ રીતે પ્લાસ્ટિકને હવાચુસ્ત રાખવાથી અંદરના ભેજની વરાળ થઈ પાણીની પરપોટીઓ પ્લાસ્ટિકની અંદરની બાજુએ જામી જશે જે તાપમાન વધારવામાં મદદરૂપ થશે. ૧૫ દિવસ પછી પ્લાસ્ટિક સાવચેતી પૂર્વક કાઢી લેવું ત્યારબાદ જે પાકનું ધરૂવાડીયું નાખવાનું હોય કે વાવણી કરવાની હોય તેની ભલામણ અનુસાર જમીન તૈયાર કરી વાવણી કરવી. ૬. જે તે પાકમાં રોગને ધ્યાનમાં રાખી પિયતના પાણીનું નિયમન કરવું દિવેલા, તમાકુ, કપાસ અને તુવેરના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો મૂળખાઈ રોગની તિવ્રતા જમીનનું તાપમાન વધારે હોય તેવા કિસ્સામાં વધુ હોય છે. આવામાં પાકને સમયસર પિયત આપવું હિતાવહ છે. ૭. જમીનજન્ય ફૂગથી થતા રોગ (ઉગસૂક, સૂકારો, ધરૂનો કોહવારો, ચડનો કોહવારો, મૂળનો કોહવારી) અને કેટલાક બીજજન્ય રોગોના અટકાયત માટે જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાયકોડર્મા વીરીડી, ટ્રાયકોડર્મા હરજીયાનમ, યુ ડોમોનાસ ફ્લુરેસેન્સનો ઉપયોગ (૮ થી ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ) કરવો. ઘણા રોગકારકો જમીનમાં રહેતા હોઇ તેના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા. ટ્રાયકોડમીને ૧૦ કિ.ગ્રા છાણિયા ખાતરમાં ભેળવી અને વિકસવા દેવું. આવું તૈયાર કરેલ ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર ૧૦૦ કિ.ગ્રા. બીજા છાણિયા ખાતરમાં ભેળવીને જમીનમાં આપવાથી જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરી શકાય છે. ઉપરાંત, મગફળીમાં થડનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ૫ કિ.ગ્રા ટ્રાયકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વીરીડી ૨૫૦ કિ.ગ્રા. દિવેલી કે રાયડાના ખોળ સાથે ભેળવીને વાવતા પહેલા ચાસમાં આપવું અથવા ટ્રાયકોડમાં ૫ કિ ગ્રા. પ્રતિ હેક્ટરે માટી સાથે ભેળવી ચાસમાં આપવું. દિવેલામાં સૂકારો તેમજ મૂળનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૫ કિ.ગ્રા.ને ૫૦૦ કિ.ગ્રા. રાયડાના ખોળ સાથે ભેળવીને ચાસમાં આપવું. તુવેરમાં સૂકારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૮ થી ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બિયારણ પ્રમાણે પટ આપવો તેમજ છાણિયાં ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાયકોડર્મા ૨૦૦ ગ્રામ પ્રતિ મીટર પ્રમાણે ચાસમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરી શકાશે.

error: Content is protected !!