શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૦૫-૦૪-૨૦૨૫ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સેવંતિના મીક્સ ફુલોનો શણગાર એવમ્ દાદાને કેરી અને કેળાનો અન્નકૂટ ધરાવાયો હતો. સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને ૭:૦૦ કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને પ્યોર સિલ્કના કાપડમાંથી વૃંદાવનમાં ૧૫ દિવસની મહેનતે ૭ કારીગરો દ્વારા તૈયાર થયેલા વાઘા પહેરાવ્યા છે. આ સાથે વડોદરાથી મંગાવેલા ૨૦૦ કિલો સેવંતી, ઓર્કિડ અને ગુલાબના ફુલનો સિંહાસને શણગાર કરાયો છે. આ ઉપરાંત બગસરાથી એક હરિભક્તે આંકડાના ફુલમાં રામ લખીને મોકલાવેલો હાર પણ દાદાને અર્પણ કરાયો છે. તો આજે દાદાને ૨૦૦ કિલો કેળા અને કેરીનો અન્નકૂટ પણ ધરાવાયો છે. જેને પ્રસાદમાં ભક્તોને આપવામાં આવશે.