મીઠાપુર ટાટા કેમિકલમાં પ્રદુષણની ફરિયાદ સંદર્ભે સરકારી અધિકારીઓનાં ધાડા ઉતર્યા !

મીઠાપુર ટાટા કેમિકલમાં પ્રદુષણની ફરિયાદ સંદર્ભે સરકારી અધિકારીઓનાં ધાડા ઉતર્યા !

(રાકેશ સામાણી દ્વારા)
દ્વારકા તા.૯
દેવભૂમિ દ્વારકાનાં મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ લિમિટેડ નામની કંપની વર્ષોથી કાર્યરત છે. આ કંપની સોડા, મીઠું અને સિમેન્ટનું ઉત્પાદન કરે છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અનેક પ્રકારનો ઝેરી કચરો બહાર નીકળતો હોય છે. ઘન અને પ્રવાહી ઝેરી કચરાનો નિકાલ સમુદ્રમાં કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી આ પ્રક્રિયાથી મીઠાપુરની આસપાસના ગામો અને સમુદ્ર ઉપરાંત ગ્રામ્ય કક્ષાના ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં વિવિધ પ્રકારના પ્રદૂષણથી માનવ જીવ, પશુ, પક્ષી, જંગલ અને ખેતી ઉપરાંત સમુદ્રી જીવ સૃષ્ટિને પારાવાર નુકસાની થયેલ અંગે વર્ષોથી અનેક લોકોએ ફરિયાદો કરેલ છે. આ ફરિયાદીઓ પૈકીનાં દેવરામ વાલા ચારણ ની ફરિયાદનાં અનુસંધાને દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવટેની અધ્યક્ષતામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફિસરીજ અધિકારી, ખેતીવાડી અધિકારી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારી, સંબંધિત તલાટી વગેરે ટાટા કેમિકલ્સ મીઠાપુર ખાતે ફરિયાદીને સાથે રાખીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત સમયે ટાટા કેમિકેલ્સ નાં ઉચ્ચ અધિકારીઓ સાથે રહ્યા હતા.  દેવરામ વાલા ચારણ અને અન્ય ફરિયાદીઓની ફરિયાદ છે કે ટાટા કેમિકલ્સ ફેક્ટરી તેના ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઝેરી રજકણો બહાર કાઢે છે જેથી કરીને સુરજ કરાડીના ઉદ્યોગ નગર દેવપરા અને આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ થાય છે. ફરિયાદીઓ ની એવી ફરિયાદ છે કે ટાટા કેમિકલ્સ વર્ષોથી સોલિડ  કેમિકલ વેસ્ટ અને લિક્વિડ કેમિકલ વેસ્ટ નું પાડલી પાસેનાં દરિયામાં નિકાલ કરતી હોય ત્યારે અહીં મોટા મોટા ડુંગરો સોલિડ વેસ્ટ કેમિકલનાં ખડકેલા છે જેથી આસપાસના ગ્રામ્ય કક્ષાનાં ખેતરોની જમીન બંજર થઈ ગઈ છે. જંગલો નાશ પામ્યા છે. સમુદ્ર કિનારે થતા ચેરના હજારો વૃક્ષો નાશ પામ્યા છે. મીઠાપુરના આસપાસના સૂરજકરાળી, આરંભડા ભીમરાણા જેવા ગામોના તળાવો ટાટા કેમિકલ્સના પ્રદૂષણથી ઝેરી પાણીથી ભરેલા છે. આ ઉપરાંત ટાટા કેમિકલ્સના પ્રદૂષણના ઢગલાના હિસાબે વરસાદ સમયે પ્રદૂષિત વરસાદી પાણી આસપાસના વિસ્તારમાં જતું હોય જમીનના જળ તલ ખારા થઈ ગયા છે. સૌથી અગત્યની વાત કરીએ તો ટાટા કેમિકલ્સનું જે પ્રવાહી કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતું હોય ત્યારે સમુદ્રનો ઘણો બધો ભાગ પ્રદૂષિત થતા મરીન લાઈફ એટલે કે સમુદ્રી જીવસૃષ્ટિને ખૂબ જ મોટી હાનિ પહોંચી છે. બેટ અને આરંભડાના સ્થાનિક નાના માછીમારોની રોજી રોટી છીનવાઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી જે વિસ્તારમાં મોટા પ્રમાણમાં માછલીઓ રહેતી હતી તે હવે ત્યાં જાેવા મળતી નથી એટલે સેકડો કુટુંબોનું રોજીરોટી આ ટાટા કેમિકલ્સના પ્રદૂષણના હિસાબે બંધ થઈ ગઈ છે તેવો સ્થાનિક માછીમારોનું આક્ષેપ છે. ટાટા કેમિકલ્સના આ પ્રદૂષણના લીધે પાંચ કિલોમીટર સુધીનો દરિયો બુરાઈ ગયો છે દરિયાની અંદર ટાટા કેમિકલ્સ નું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે કાંઠાથી ત્રણ-ચાર કિલોમીટર સુધી કોઈ જાતની સમુદ્રી જીવ સૃષ્ટિ જાેવા મળતી નથી સમુદ્રના તળ ઉપર ત્રણથી ચાર ફૂટ સુધી ટાટા કેમિકલ્સનું પ્રદૂષણ જાેવા મળી રહ્યું છે. વધુમાં માછીમારોનું જણાવવાનું છે કે બેટ અને આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ સૃષ્ટિ જાેવા મળે છે ખાસ કરીને ડોલ્ફિન, શાર્ક માછલી, સમુદ્રી કાચબા, જેલી ફિશ, વિવિધ પ્રકારના કરચલા, કોરલ વગેરે જેવી જીવ સૃષ્ટિ નાશ પામવાના આરે છે. આ ફરિયાદના અનુસંધાને દ્વારકાના પ્રાંત અધિકારી અને સંબંધીત વિભાગના અધિકારી કર્મચારી પ્રથમ ટાટા કેમિકલ્સ ફેક્ટરીની મુલાકાત લીધી અને ત્યારબાદ દેવપરાના રહેણાંક વિસ્તારમાં સુપર વિઝન કર્યું. અંતે જ્યાં ટાટા કેમિકલ સોલિડ વેસ્ટ સમુદ્રમાં નાખે છે તે સમુદ્રની અંદર મુલાકાત લઈને અલગ અલગ પ્રકારના સેમ્પલિંગ લઈને પંચરોજ કામ કરેલ છે.

ટાટા કેમિકલ્સ દ્વારા સમુદ્રમાં  જેટીનું નિર્માણ કરાયું

ટાટા કેમિકલ્સ દ્વારા ફેક્ટરી વેસ્ટ કેમિકલના નિકાલથી સમુદ્રમાં પ્રદૂષણ થવાની સેકડો ફરિયાદના લીધે લગભગ ત્રણ ચાર વર્ષ પહેલા પાડલી ગામ સામે સમુદ્રમાં જેટી બનાવવાનું કામ શરૂ કર્યું. ૩૦૦થી ૪૦૦ કરોડ રૂપિયાની જેટી બનાવ્યા બાદ ફેક્ટરીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીકળતો ઝેરી કેમિકલ હવે જેટી ઉપર પાઇપલાઇન નાખીને ઊંડા સમુદ્રમાં તેનો નિકાલ કરવામાં આવશે તેવા પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સમુદ્રના કિનારે કેમિકલ નાખવાથી પ્રદૂષણ થાય અને જીવ સૃષ્ટિને હાનિ પહોંચે ત્યારે શું ઊંડા સમુદ્રમાં કેમિકલ નાખવાથી પ્રદૂષણ નહી થાય કે જીવ  જીવસૃષ્ટિને નુકસાન નહીં થાય ? 
આટલા વર્ષોથી મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ ભારત સરકારના અને ગુજરાત સરકારના વિવિધ કાયદાઓનું ભંગ કરે છે અને તેના હિસાબે જે રીતે માનવ વસાહત, માનવ જીવ, હવા, પાણી અને જમીન તમામ પ્રકારના નુકસાન થતા હોવાથી અનેક લોકોએ ઉચ્ચકક્ષા સુધી ફરિયાદો કરવા છતાં સરકારી જવાબદાર અધિકારીઓ એ ટાટા કેમિકલ્સની સામે કોઈ પણ પગલાં લીધા નથી જેના હિસાબે ટાટા કેમિકલ્સનું સ્થાનિક મેનેજમેન્ટ કાયમી માટે પોતાની મનમાની કરી રહ્યું છે. ત્યારે પ્રાંત અધિકારીની આગેવાનીમાં આવેલા સરકારી અધિકારીઓ જે રીતે સેમ્પલ લીધા અને ટાટા કેમિકલ્સના સક્ષમ અધિકારીઓને સાથે રાખીને આજે કાર્યવાહી કરી છે તેનું કોઈ પ્રજાલક્ષી ર્નિણય આવશે કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ છે આ અંગે પ્રાંત અધિકારીને પૂછતા તેમણે જણાવેલ છે કે સંબંધિત વિભાગને સોંપેલી કામગીરીનો અહેવાલ તૈયાર કરીને જિલ્લા કલેકટરને મોકલી આપવામાં આવશે આ ઉપરાંત પ્રદૂષણ વિભાગને પણ મોકલવામાં આવશે ત્યારે હવે આ ટાટા કેમિકલ્સના સ્થાનિક મેનેજમેન્ટની બે ફિકરાઈથી જે રીતે જળ જમીન અને જંગલ ઉપરાંત સમુદ્રી જીવ સૃષ્ટિને નુકસાન થયેલ છે અને માનવ વસાહતો તેમજ માનવ શરીરને જે રીતે હાનિ પહોંચી રહી છે તે બંધ થશે કે નહીં તે એક અત્યારે તો પ્રશ્ન જ છે!!!