ભવનાથ મહાદેવ મંદિરે હર હર મહાદેવનાં નાદ સાથે ધ્વજારોહણ કરાયું

0

જૂનાગઢ નજીક આવેલા ગીરી તળેટીમાં ભવનાથ તિર્થક્ષેત્ર ખાતે સાક્ષાત ભવનાથ મહાદેવના સાનિધ્યમાં સંતોનો મેળો એવો શિવરાત્રીના મેળાના પાવનકારી પર્વનો આજે મહાવદ નોમના શુભ દિવસે ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ કરવામાં આવ્યા બાદ શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે.
ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર માતાજી જયશ્રીકાનંદજી મહારાજના સંચાલન હેઠળ આ વર્ષે શિવરાત્રી મેળો યોજાયો છે.
આજે સવારે ૯ વાગ્યે ભવનાથ મહાદેવ મંદિરને ધ્વજારોહણ સાથે શિવરાત્રીનાં મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંચ દશનામ જુના અખાડાનાં ગિરનાર પીઠાધીશ્વેર માતાજી જયશ્રીકાનંદગીરીજી મહારાજ, મંદિરનાં મહંત તથા પંચનાથ જુના અખાડાનાં સંઘ રક્ષક હરીગીરીજી મહારાજ, અધ્યક્ષ મહંત પ્રેમગીરીજી મહારાજ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, ગિરનાર મંડળનાં અધ્યક્ષ ઈન્દ્રભારતીજી મહારાજ, મોટાપીર બાવા તનસુખગીરીજી મહારાજ, કમંડલ કુંડનાં મહંત તથા પંચનામ જુના અખાડાનાં મહામંત્રી મુકતાનંદ સ્વામી સહીત સંતો મહંતો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણી આગેવાનો, મહાનુભાવો, જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પોલીસ વિભાગ સહીતના અધિકારીઓની ઉપસ્થતિમાં સાક્ષાત એવા ભવનાથ મહાદેવને વૈદિક મંંત્રોચ્ચાર સાથે ભાવભકિતથી ધ્વજારોહણનો કાર્યક્રમ ખુબજ ભકિતભાવ પૂર્વક યોજાયો હતો. ભાવિકોની પણ વિશેષ ઉપસ્થતિ રહી હતી. આજથી ભવનાથ ક્ષેત્રમાં ભાવિકોનો પ્રવાહ વહેતો જાવા મળી રહ્યો છે અને સંતોના દર્શન કરી પાવન થઈ રહ્યા છે. જુદા જુદા ક્ષેત્રોમાંથી આવેલા સંતોના દર્શનનો લહાવો એ જ આ શિવરાત્રી મેળાનો અનન્ય લહાવો છે. ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાયો છે અને અન્નદાનના પણ વિશેષ મહિમા સાથે રાત્રીના સંતવાણીના ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને સર્વત્ર ભવનાથ ક્ષેત્ર ભોળાનાથની ભકિતમાં લીન બની ગયું છે. મહાશિવરાત્રીનાં મેળાને લઈ ભાવિકોની સંખ્યાને ધ્યાનમાં લઈ ભવનાથ મંદિર ર૪ કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

error: Content is protected !!