મુકેશ અંબાણીએ આરઆઇએલનાં કર્મચારીઓને કોરોના લડાઈમાં ‘ફ્રન્ટલાઇન વોરિયર્સ’ ગણાવ્યા

0

કોવિડ-૧૯ રોગચાળાને પગલે ભારતમાં લોકડાઉન દરમિયાન ફોનલાઇનથી ઇંધણ સુધીના વ્યવસાયોમાં કાર્યરત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના હજારો કર્મચારીઓ દેશભરનાં નાગરિકોને આવશ્યક સેવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવા કાર્યરત છે. પોતાની કંપનીનાં હજારો કર્મચારીઓની આ નિષ્ઠા અને સમર્પણની ભાવનાની પ્રશંસા આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ કરી છે અને તેમને ‘ફ્રન્ટલાઇન વોરિયર્સ’ ગણાવ્યાં છે. વળી આરએલએલનાં કર્મચારીઓની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે. તેમણે ઓઇલથી લઈને ટેલીકોમ ક્ષેત્રમાં કાર્યરત બે લાખથી વધારે કર્મચારીઓને પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, આધુનિક ઇતિહાસની સૌથી મોટી કટોકટી પૈકીની એક કટોકટી હાલ ઊભી થઈ છે, જેમાં ગ્રૂપની તમામ કંપનીના દરેક કર્મચારીઓ દેશના નાગરિકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અભૂતપૂર્વ નિષ્ઠા સાથે કાર્યરત છે. જ્યારે ત્રણ અઠવાડિયાનાં લોકડાઉનને પગલે ૧૩૦ કરોડ ભારતીયો ઘરમાં રહેવા મજબૂર છે, ત્યારે રિલાયન્સની ટેલીકોમ કંપની જિયોએ આશરે ૪૦ કરોડ લોકોને સતત વોઇસ કોલિંગ અને ઇન્ટરનેટ સર્વિસીસ મોબાઇલ પર પ્રદાન કરી છે. રિલાયન્સ રિટેલે લાખો લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડ્‌યો છે. રિલાયન્સ લાઇફ સાયન્સિસે ભારતની કોવિડ-૧૯ ટેસ્ટિંગ ક્ષમતાઓ વધારી છે અને સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે ફક્ત ૧૦ દિવસમાં મુંબઈમાં ૧૦૦-બેડ ધરાવતી કોરોનાવાયરસની સારવાર કરવા માટે સમર્પિત હોસ્પિટલ ઊભી કરી છે. ઉપરાંત કંપનીની રિફાઇનરીઓમાં ઇંધણ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોનું સતત ઉત્પાદન ચાલુ છે તથા પેટ્રોકેમિકલ પ્લાન્ટ દવાઓ અને તબીબી ઉપકરણોના પેકેજિંગમાં ઉપયોગ ઉત્પાદનો કરી રહ્યો છે. મુકેશ અંબાણીએ પત્રમાં લખ્યું હતું કે, “ગ્રૂપના કર્મચારીઓ હાલનાં મુશ્કેલ સંજોગોમાં રિલાયન્સ ગ્રૂપને કાર્યરત રાખવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યાં છે. હું દ્રઢપણે માનું છું કે, આપણો દરેક સાથીદાર ‘ફ્રન્ટલાઇન વોરિયર્સ’ છે. હું એમની પ્રશંસા કરૂ છું અને તમામની દેશ અને કંપની માટેની નિષ્ઠાને બિરદાવું છું.” તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કંપનીએ જબરદસ્ત કામગીરી કરી છે અને જ્યાં સુધી ભારત કોરોનાવાયરસ સામેની લડાઈમાં સંપૂર્ણ વિજય નહીં મેળવે, ત્યાં સુધી આપણે કામ કરતા રહેવાનું છે. તેમણે કહ્યું હતું કે, “કોવિડ-૧૯ને કારણે જાહેર સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કટોકટી સર્જાવાની સાથે આર્થિક કટોકટી પણ ઊભી થઈ છે. એનું પણ આપણે સમાધાન કરવું પડશે. રિલાયન્સ પરિવારમાં દરેક ભારતને સલામત, સ્વસ્થ અને મજબૂત બનાવવાની ક્ષમતા ધરાવે છે.”

error: Content is protected !!