જૂનાગઢ પોલીસે સમયસર મદદ કરી અને પરિવાર સાથે મીલન કરાવી આપતા ભાવવાહી દૃશ્ય સર્જાયું

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચનાનાં આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. યુસુફભાઈ, ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ બંદોબસ્તમાં હતા ત્યારે વીઆઇપી રોડ, વડોદરા ખાતે રહેતા અને હાલ પોતાના વતન માણાવદર તાલુકાના પીપલાણા ગામે આવેલા એક બહેન અને તેમના ભાઈ જૂનાગઢ ખાતે આવી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતે વડોદરા ખાતે રહેતા હોય, પોતે કોઈ પ્રસંગમાં પોતાના વતન આવેલા અને લોકડાઉનમાં ફસાઈ ગયેલા છે જે પરત વડોદરા જઈ શક્યા નથી. પોતાના પતિ ભરતભાઇ ભાનુભાઈ ટાંકને પેરાલીસીસ હોવાથી અડધું અંગ ખોટું પડી જતા, ૯૫ ટકા વિકલાંગ છે, પથારી વશ છે. જેઓની બધી જ દૈનિક ક્રિયા કુટુંબીજનો દ્વારા જ થાય છે અને પોતે તથા પોતાની દીકરી બધા અહીંયા હોવાથી મુશ્કેલી સર્જાયેલ છે. અમારે અહીંયાથી જવું જરૂરી છે અથવા તેમને એમ્બ્યુલન્સ કે કોઈ વાહનમાં અહીંયા લાવવા જરૂરી હોવાનું જણાવી, ગળગળા થઈ ગયા હતા અને પોતાને પોતાના પતિ ભરતભાઇ ટાંકને કોઈપણ સંજોગોમાં માણાવદર ખાતે લાવવા પડશે જેથી મદદ કરવા જણાવેલ હતું. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ આ બાબતે ડેપ્યુટી કલેકટર યોગરાજસિંહ ગોહિલ મારફતે વડોદરા વહીવટ તંત્ર સાથે સંકલન કરી, વડોદરા શહેર ખાતેથી કિશનવાડી વિસ્તારના સામાજિક કાર્યકર રણવીરસિંહ જાડેજા મારફતે કાર્યવાહી કરાવી, વડોદરા અધિક કલેકટર ડી.આર.પટેલ દ્વારા વડોદરા ખાતેથી માણાવદર પીપલાણા મુકવા માટે મંજૂરી મળતા, પથારીવશ ભરતભાઇ ભાનુભાઈ ટાંકને વડોદરા ખાતેથી જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પીપલાણા ગામે લાવવામાં આવેલ હતા. રસ્તામાં જૂનાગઢ ખાતે ડીવાયએસપી કચેરી ખાતે જૂનાગઢ પોલીસને ખાસ મળવા ઉભા રહી, પથારીવશ ભરતભાઇ ટાંક દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કરી, ખરેખર જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવેલ હોત તો, પોતાની હાલત કફોડી થાત, તેવું જણાવી, ભાવ વિભોર થઈ ગયેલ હતા. આમ, પોલીસતંત્ર દ્વારા વહીવટીતંત્ર મારફતે ૯૫ % અપંગ એવા ભરતભાઇ ટાંકને પોતાના પરીવારજનો સાથે મિલાવી, સંવેદના પૂર્ણ કાર્ય કરવામાં આવતા, લોકો દ્વારા પોલીસના કાર્યની પ્રસંશા થઈ રહી છે. હાલ તો, વડોદરા ખાતેથી આવેલા ભરતભાઇ ટાંકની માણાવદર ખાતે મેડિકલ તપાસણી કરાવી, હોમ કોરંટાઇન કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

error: Content is protected !!