જૂનાગઢ જીલ્લામાં ૧પ,૮૩૬ લોકો કવોરેન્ટાઈન હેઠળ

0

જૂનાગઢ જીલ્લામાં હાલ ૧પ,૮૩૬ લોકોને કવોરેન્ટાઈન કરવામાં આવેલ છે. કોરોના વાયરસની ગંભીર બિમારી સાથે લોકોએ સંપૂર્ણ કાળજી અને પરેજી પાળવી પડશે તેવી અપીલ જૂનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ કરી છે. વધુમાં તેઓએ જણાવેલ છે કે ઘરમાં સ્વસ્થ અને સશક્ત હોય તેવી એક જ વ્યકિતએ બહાર નીકળવું હિતાવહ છે. ડાયાબીટીસ, બ્લડપ્રેશર, હાર્ટનાં દર્દી અને વૃધ્ધો, અશકતોએ બહાર નીકળવું નહીં. પ્રશાસન તરફથી મળતી સુચનાઓનું પાલન કરવું તેમજ આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલાં આયુર્વેદીક ઉકાળાનું સેવન કરવા પણ જણાવેલ છે. આ ઉકાળો ઘરે બનાવવા માટે એક લીટર પાણીમાં રપ તુલસીના પાન, અડધી ચમચી ગળો સુંઠ, આદુ, હળદર, અજમો અને ૧૦ નંગ મરી ઉમેરી ઉકાળવું ત્રણ ભાગનું પાણી બળી જાય અને ચોથા ભાગનું પાણી ગાળીને ૧ ચમચી ગોળ ઉમેરીને નવશેકુ ગરમ પીવું. ૧૦ વર્ષ સુધીનાં બાળકોને એક ચમચી તેમજ ૧૦ થી ર૦ વર્ષનાને ૩ ચમચી અને ર૦ વર્ષથી વધુનાને પ ચમચી ઉકાળો આપી શકાય તેમ જણાવી જૂનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતાએ જણાવ્યું હતું કે કોરોના સામે ભયથી નહીં સભાનતાથી કામ લઈએ અને પોતે સુરક્ષિત રહીએ અને સમાજને પણ સુરક્ષિત રાખવા અનુરોધ કરેલ છે.
જૂનાગઢ સહિત સમગ્ર દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે અને ૧૭ તારીખે આ તબક્કો પુરો થવાનો છે અને ૧૮ તારીખે નવી દિશા ખુલવાની છે એટલે કે ચોથા તબક્કાનું લોકડાઉન તો આવશે જ. પરંતુ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જે ગ્રીનઝોનમાં વિશેષ છુટછાટ આપવાની જાહેરાતો કરી છે તે અંતર્ગત કેટલીક વધારાની છુટછાટો લોકોને મળી શકે છે અને જે અંગેનાં સુધારા-વધારા સાથેનાં ચોથા લોકડાઉનની માર્ગદર્શિકા કેવી હશે તે અંગે લોકોને ઈન્તેજાર છે. વેપારી દુકાનદારોએ દુકાનો ખુલ્લી રાખવાનો સમય વધારવા માંગણી કરી છે. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ૧૯૦ જેટલા શંકાસ્પદ લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. તો બીજી તરફ કવોરેન્ટાઈનની સંખ્યા પણ વધતી જઈ રહી છે અને જૂનાગઢ જીલ્લામાં ૧પ,૮૩૬ લોકો કવોરેન્ટાઈન રહ્યાં છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક તબીબ અને તેનાં સહકર્મચારીને કોરોના પોઝિટીવ આવ્યાં બાદ તેઓને આઈસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી અને હાલ બંને સ્વસ્થ છે અને તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો છે.
જયારે અન્ય ર માં ૧ માંગરોળ પંથક અને ૧ મધુરમ વિસ્તારની એક સોસાયટીનાં યુવાનને કોરોના પોઝિટીવ છે અને આ બંને શખ્સો સારવાર હેઠળ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ કેસોમાં સેમ્પલ લેવાની કામગીરી સતત ચાલી રહી છે. અને હજુ પણ આ કામગીરી અંતર્ગત આરોગ્ય વિષયક પગલાં લેવામાં આવી રહ્યાં છે. દરમ્યાન માંગરોળ ખાતે કોરોના પોઝીટીવ કેસનાં પગલે સઘન સર્વેની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત માંગરોળ ખાતે ત્રીજા રાઉન્ડની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી જેમાં આરોગ્ય ટીમ દ્વારા ર૦ ઘર તેમજ અંદાજીત ૭૮ વ્યકિતઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે. જેમાં કોઈપણ વ્યકિતને ફલુનાં શંકાસ્પદ લક્ષણો જણાય આવેલા નથી. આ ઉપરાંત દર્દીનાં સંપર્કમાં આવેલ કુલ રર વ્યકિતઓને પ્રાઈવેટ ફેસેલીટી સાથે કવોરન્ટાઈન કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા ૧૧૦૦ નંબરની હેલ્પલાઈન ચાલુ કરવામાં આવેલ છે. જેમાં આરોગ્ય ક્ષેત્રનાં વિવિધ તજજ્ઞો જેવા કે બાળરોગ નિષ્ણાંત, હૃદયનાં નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે જેનો લાભ લેવા જણાવેલ છે.

error: Content is protected !!