ખંભાળિયાના બારા ગામની પરિણીતાએ કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો

0

ખંભાળિયા તાલુકાના સલાયા ગામ નજીક આવેલા આથમણા બારા ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બહાદુરસિંહ વિભાજી જાડેજા નામના એક યુવાનના લગ્ન થોડા સમય પૂર્વે ભોગાત ગામે રહેતા પ્રફુલ્લાબા નામની એક યુવતી સાથે થયા હતા. આઠ વર્ષના લગ્નગાળામાં ૩૪ વર્ષીય પ્રફુલ્લાબા બહાદુરસિંહ જાડેજાને અગાઉ બે પુત્રીઓ અવતરી હતી. આજથી આશરે એક સપ્તાહ પૂર્વે તેણીને થયેલી પ્રસુતિમાં વધુ એક પુત્રીનો જન્મ થયો હતો. છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ રહેતા પ્રફુલ્લાબા જાડેજાની દવા અહીંની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ વચ્ચે રવિવારે મોડી રાત્રીના સમયે ડ્રાઇવિંગ કામ કરીને આવેલા બહાદુરસિંહ જાડેજાને ગઈકાલે સોમવારે વહેલી સવારે આશરે છ વાગ્યે તેમના પત્ની ઘરે ન હોવાથી તેની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આટલું જ નહીં, તેમની સાત દિવસની પુત્રી પણ ઘરે ન હતી. તેઓની શોધખોળમાં તેઓના ઘરથી થોડે દૂર અને ગામના પાદરમાં આવેલી એક વાવમાં તપાસ કરતા આ માતા-પુત્રીના મૃતદેહ વાવમાં હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું. આમ, માનસિક બીમારી વચ્ચે મોડી રાત્રીના સમયે સાત દિવસની માસૂમ પુત્રી સાથે માતાએ કોઈ અકળ કારણોસર કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ તાજેતરમાં જ જન્મેલી માસુમ બાળાની છઠ્ઠીની વિધિ કે નામકરણ પણ થયું ન હતું. તે પૂર્વે જ માતા સાથે પુત્રીનું અવસાન થયાના બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોક સાથે આઘાતની લાગણી પ્રસરાવી છે. આ બનાવ બનતા સલાયા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. પી.સી. સીંગરખીયા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોસ્ટમોર્ટમ તથા નિવેદન નોંધવા અંગેની જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવની જાણ મૃતકના પતિ બહાદુરસિંહ વિભાજી જાડેજાએ સલાયા મરીન પોલીસને કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!