સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૧૭ થી ૩૦ એપ્રિલ દરમ્યાન યોજાશે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’

0

બારસો વર્ષ પૂર્વે પ્રભાસ-સોમનાથ ક્ષેત્રના હજારો બંધુઓ-ભગિનીઓ તમિલનાડુ હિજરત કરી ગયા હતા : ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા અનેરા અવસરનું સાક્ષી બનશે આખું વિશ્વ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીઘદ્રર્ષ્ટિ થકી સૌરાષ્ટ્ર તમિલ સમાજનું પૈતૃકવતન સાથે જાેડાણ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પંથકના હજારો બંધુઓ-ભગિનીઓ લગભગ બારસો વર્ષ પૂર્વે સપ્તમ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામેશ્વરમ્‌ નજીક મદુરાઈમાં જઈને વસે. સૌરાષ્ટ્ર-ગુજરાતનું એવરગ્રીન લોકનૃત્ય રાસ-ગરબા જેવું જ તમિલનાડુમાં ‘કુમ્મી નૃત્ય’ સ્વરૂપે પ્રસ્તુત થાય છે. સૌરાષ્ટ્રમાં મહાભારતકાલીન પાંડવોના સ્થાનો, પદચિહ્નોની જેમ તમિલનાડુના મહાબલીપુરમમાં પણ પાંડવોના નામ ઉપરથી પાંડવરથ જેવું અદભૂત સ્થાન હોય. ભારતમાં ત્રણ જ અખાત, જેમાંથી બે, સૌરાષ્ટ્રના પડોશમાં કચ્છનો અખાત અને ગુજરાતમાં ખંભાતનો એટલે ગુજરાતમાં છે અને ત્રીજાે તમિલનાડુમાં મન્નારનો અખાત આવેલો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને તામિલનાડુ સાથે અદભૂત લગાવ છે. સામ્ય અપણ અજબનું છે. આના જવાબો મળવાના શરૂ થઇ ગયા છે, અને તા.૧૭થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન ઉજવાનારા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ થકી હજુ વધુ જવાબો ભવિષ્યમાં મળશે. ‘હે મુને ઢોલે રમવા મેલ્ય મારા સાયબા, ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે’ જેવું લોકગીત ગવાયને ઢોલ ઉપર ધડામ કરતી દાંડી પડે અને ગુજરાતીઓના પગ ઠેકડો લેવા માંડે કેમ કે, રાસ-ગરબા આપણું અતિપ્રિય લોકનૃત્ય છે. આપણે ભલે શહેરોમાં જન્મ્યા હોઈએ, શહેરમાં વસતા હોઈએ, અરે, ગુજરાત બહાર કે દેશ બહાર હોઈએ તોય આપણા લોકગીત, ધોળ, લગ્નગીતો, દુહા-છંદ, રાસ-ગરબા, ભવાઈ, વ્રતો અને ઉત્સવો આપણને હૈયે વસેલા હોય છે. આની પાચાળનું એક જ કારણ એ છે કે, આપણા દાદા-દાદી, નાના-નાની ક્યાંક ને ક્યાંક આ બધા સાંસ્કૃતિક વારસાના સાક્ષી કે વાહક બન્યા હોય છે. આ આપણા લોહીના સંસ્કાર છે ને એટલે જ તે આપણને ખેંચે છે. ગુજરાતના કોઈ ગામડાંમાં આપણું નાનકડું એવું પૈતૃક મકાન હોય, ભલેને એ વર્ષોથી બંધ પડ્યું હોય, નળિયાં ઉડી ગયાં હોય, ભીંતડાં જ ઉભાં હોય, અંદર બાવળ અને બોરડી ઊગી ગયા હોય તોય એ જગ્યાએ જતાં વેંત જ આપણને પોતિકાપણું લાગે છે. કારણ કે આપણા પરદાદા એ ઘરમાં જન્મ્યા હોય, રહ્યા હોય એટલે એ ઘરની, એ ગામની માટી આપણને ખુશ્બુદાર લાગે છે. તામિલનાડુ સ્થિત લાખો સૌરાષ્ટ્રીયનો માટે આવો જ આકર્ષક, ધરાની ધૂળ માથે ચડાવવાનો અવસર આવ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે સને ૨૦૦૫-૨૦૦૬માં તેમણે મન બનાવી લીધું હતું કે, બારસો જેટલાં વર્ષોથી સૌરાષ્ટ્રમાંથી મહાહિજરત કરીને તમિલનાડુમાં સ્થાયી થયેલા ભાઈ-બહેનોને પુનઃ સૌરાષ્ટ્ર સાથે જાેડવા છે. આ માટે તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન સૂત્રધારોને આ કામ સોંપી દીધું અને એ દિશામાં અહર્નિશ મથામણ શરૂ થઇ. એના પરિપાક રૂપે હવે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મુદ્રાલેખને અમલી બનાવી આગામી તા. ૧૭થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. ભગવાન સોમનાથની પાવન ધરા છે મુખ્ય સંગમસ્થાન. ઉપરાંત પોરબંદર, દ્વારકા, રાજકોટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનશે સંગમસ્થળો. આટલા બધા સૌરાષ્ટ્રવાસીઓ કેમ છેક દક્ષિણ ભારતના કાંઠે એટલે કે લગભગ ૨૩૦૦ કિમી દૂર જઈને વસ્યા ? એના ઉપર ડોકિયું કરીએ. સને ૧૦૨૪માં સોમનાથ ઉપર મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું ત્યારે અને એ પછી સને ૧૩૦૦માં અલ્લાઉદ્દીન ખિલજીની આગેવાનીમાં વધુ એક આક્રમણ થયું ત્યારે હજારો સૌરાષ્ટ્રવાસીઓ પ્રભાસપાટણથી ખંભાત, ભરૂચ અને સુરતના દરિયાઈ માર્ગે પ્રારંભે મહારાષ્ટ્રમાં, એ પછી વિજયનગર સામ્રાજ્યનું આમંત્રણ મળતા ત્યાં અને બાદમાં તમિલનાડુના મદુરાઈના રાજવંશે આશરો આપતાં લગભગ ૧૫૦૦ની સાલથી ત્યાં જઈને વસ્યા. વ્યક્તિ ગામડું છોડીને શહેરમાં, પરરાજ્યમાં કે પરદેશમાં વસે તો થોડી ભાષા, સભ્યતા, રિવાજમાં પરિવર્તન આવે એ સ્વાભાવિક છે પણ પોતાની સંસ્કૃતિ, અસ્મિતા અને કળામાં બહુ બદલાવ આવતો નથી. સૌરાષ્ટ્ર તમિલ સમાજ આજેય સુરતની કલાકારીગીરી સાથે અતૂટ બંધન બાંધીને બેઠો છે. સુરતની જેમ ત્યાં પણ ‘ઝરીવાલા’ પ્રખ્યાત છે. ગુજરાતનો ગરબો વિશ્વપ્રસિદ્ધ છે એ ખરૂ પણ તમિલનાડુનું ‘કુમ્મી’ નૃત્ય આપણા ગરબાની પ્રતિકૃતિ જ જાેઈ લો ! ‘કુમ્મી’માં મહિલાઓ રંગબેરંગી સાડી પરિધાન કરી, સજીધજીને ગોળાકારે ગોઠવાઈ જાય છે અને તાળીઓ પાડીને કુમ્મી સોન્ગ્સ ગાય છે. આપણે જેમ માતાજીના ગરબા અને લોકગીતો ગાઈએ છીએ બિલ્કુલ એમ જ કુમ્મી સોંગ્સ ગવાય છે. ‘કરગટ્ટમ’ નૃત્યમાં માથે ધાતુનું કે માટીનું વાસણ મુકીને એ લોકો નૃત્ય કરે છે. જે દ્રશ્ય આપણને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવરાત્રિ વખતે માથે ગરબા લઈને ઘેર-ઘેર જતી ને ગાતી ‘એકના ના એકવીસ રે ગોરી ગરબો આવ્યો’વાળી બાલિકાઓની યાદ અપાવી જાય છે. ત્યાં ‘કાવડી અટ્ટમ’ નૃત્ય પુરૂષો કરે છે જેમ આપણા ગામડાંમાં નવરાત્રિ વખતે પુરૂષો ગરબી લે છે અથવા કાનગોપી રમે છે. સૌરાષ્ટ્ર તમિલનાડુ વચ્ચે વધુ એક સામ્યતા એ છે કે, સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર પાંડવો આવ્યાની કથાઓ-દંતકથાઓ મળે છે. ચોટીલા નજીકના થાનગઢ પાસે ત્રિનેત્રેશ્વરમાં અર્જુને દ્રૌપદી સ્વયંવર વખતે મત્સ્યવેધ કર્યાની કથા સુપ્રસિદ્ધ છે. ઉપલેટા નજીકના પાટણવાવ ગામના ઓસમ પર્વત ઉપર પાંડવોના ચિહ્નો જેવાં કે ભીમની થાળી, ભીમ તળાવ, હેડંબાનો હીંચકો અને હેડંબાવન વગેરેની દંતકથા જાણીતી છે. આવી જ પાંડવોની યાદ તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી ૬૦ કિમી દૂર પલ્લવ રાજાઓના તત્કાલીન પાટનગર મહાબલીપુરમમાં ‘પાંડવરથ’ નામે મળે છે જે ત્યાંના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, પલ્લવ રાજાઓએ એક ચટ્ટાન કોતરીને પાંડવો અને દ્રૌપદીના નામ ઉપરથી રથ બનાવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્ત્વમાં તા.૧૭ થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન યોજાનારો ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ સતરંગી બની બની રહેશે. એમાં ચિત્રકલા, પરફોર્મિંગ આર્ટ્‌સ, સંગીત, નાટક, સાહિત્ય, સેન્ડ આર્ટ, પરંપરિત લોકગાયન, હસ્તકળા વગેરે વિવિધ કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિ અને સંસ્કાર ઉજાગર થશે. શિલ્પ, ભાષા, હેરિટેજ, શોપિંગ ફેસ્ટીવલ, કાપડ અને હેન્ડલૂમ, બિઝનેસ મીટ, પ્રદર્શન, રમત-ગમત, ગોષ્ઠિ, ગુજરાતી-તમિલ ભાષા ઉપર ફન વર્કશોપ અને વાનગી સ્પર્ધા જેવા અલભ્ય આકર્ષણો સૌના મન મોહી લેશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી અનેક નવી દિશાઓ ઉઘડશે. બન્ને પ્રદેશો વચ્ચેની બારસો વર્ષ જૂની યાદો આળસ મરડીને ઊભી થશે. આવતાં સેંકડો વર્ષો સુધી બન્ને વચ્ચેના અતૂટ સંબંધોના નવા પ્રકરણો દેશ અને દુનિયા જાેવાની છે. તમિલનાડુના સૌરાષ્ટ્રીયનો માટે સૌરાષ્ટ્ર બનશે ‘પિયર’ તો સૌરાષ્ટ્રવાસીઓ માટે તમિલનાડુ બનશે એમનુ ‘બીજું ઘર’. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંગે મદુરાઈના સૌરાષ્ટ્રીયન જયચંદ્રનજીએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું છે કે, ‘હજાર વર્ષ પછી કોઈએ સૌરાષ્ટ્ર તમિલ સંબંધો વિશે વિચાર્યું છે.’ વિશ્વભરને આશ્ચર્યચકિત કરી દેનારી આ એક દુર્લભ ઘટના એટલે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’માં સહભાગી બનવા સૌ થનગની રહ્યાં હોય એ સ્વાભાવિક વાત છે. આપણા જ બાંધવોને કાઠિયાવાડી પરંપરાથી ‘એઇ…આવો…બાપલા…રામ…રામ…’ કહેવાના અવસરની બધા કાગ ડોળે રાહ જાેઇ રહ્યાં છે.
– નિલેશ પંડ્યા(લેખક જાણિતા કોલમિસ્ટ અને ચિંતક છે.)

error: Content is protected !!