હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચતી વિગતો વાળી બુકો ઉપર પ્રતિબંધ મુકવા અને સંતો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ
સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા વારંવાર હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવતી વિવાદાસ્પદ ટિપ્પણીઓના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લા આહીર સેના અને વિવિધ હિન્દુ સંગઠનોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. છેલ્લા થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ ભગવાન અને દેવી દેવતાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણીઓ અને લખાણો પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. જેને લઈ હિન્દુ ભક્તોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે આજે ગીર સોમનાથ આહીર સેનાના પ્રમુખ રવી જાખોત્રાના નેતૃત્વમાં અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવતી અયોગ્ય ટિપ્પણીઓ અને પુસ્તકોમાં ભગવાનને બદનામ કરતી વિગતો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આવા વિવાદાસ્પદ પુસ્તકો પર પ્રતિબંધ મુકવા અને સંબંધિત સાધુઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે આહીર સમાજના આગેવાનો, બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ, વિવિધ જ્ઞાતિના સાધુ-સંતો અને મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.