સલાયામાં મોહરમ પર્વે દંગલ મચાવી, પોલીસ સ્ટાફ ઉપર જીવલેણ હુમલો કરીને દસ માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો

0

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે દસેક માસ પૂર્વે મહોરમના તહેવારોમાં તાજીયાના સમયે કેટલાક તોફાની તત્વો દ્વારા બંદોબસ્તમાં ફરજ ઉપર રહેલા પોલીસ સ્ટાફ ઉપર જીવલેણ હુમલો કરી, પોલીસના વાહનને ભારે નુકસાન કરી અને ભારે દંગલ મચાવ્યું હતું. ત્યાર બાદ પોલીસ તંત્ર દ્વારા પણ જે-તે સમયે કડક હાથે પગલાં લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં તોફાની તત્વો સામે પોલીસ દ્વારા રાયોટીંગ સહિતની કલમો સાથે ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં જે-તે સમયે સલાયા મરીન પોલીસ મથકમાં ઇમરાન રજાક સંઘાર નામના શખ્સ સામે આઈ.પી.સી. કલમ ૩૦૭, ૩૦૮, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ઉપરાંત રાયોટીંગ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી સહિતની ડઝનબંધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગઈકાલે રવિવારે સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન પી.આઈ. અક્ષય પટેલને મળેલી બાતમીના આધારે છેલ્લા દસેક માસથી ફરાર એવો ઉપરોક્ત આરોપી સલાયા બંદર ઉપર ફિશિંગ બોટમાં આવ્યો હોવાની માહિતી ઉપરથી પોલીસ સ્ટાફ સાથે દોડી જઇને આ શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. હવે પછી આરોપી ઇમરાન રજાક સંઘારની અટકાયત રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ સમગ્ર કાર્યવાહી સલાયા પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ, એ.એસ.આઈ. નગાભાઈ હરદાસભાઈ, હેડ કોન્સ્ટેબલ વેજાણંદભાઈ વાલાભાઈ માયાણી, વિરેન્દ્રસિંહ કિશોરસિંહ, દેવેન્દ્રસિંહ કિશોરસિંહ, હસમુખભાઈ પોપટભાઈ, પીઠાભાઈ, હિતેન્દ્રસિંહ તથા વિપુલભાઈ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!