કેન્સરગ્રસ્ત મહિલાની મદદે આવતી જૂનાગઢ પોલીસ

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય લોકોને બહાર ન નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રજાની મદદ કરવાની અને તેઓને લોકડાઉન દરમ્યાન કોઈ કામકાજ સબબ જરૂરીયાત સમયે મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ કરવામાં આવેલ છે. હાલમાં લોકડાઉન તા. ૩-૫-૨૦ સુધી વધારવામાં આવેલ હોય જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા ઝમીલાબેન નુરમામદ વડોદિયા (રહે. મેમણ વાડા, મસ્જિદ પાસે, જૂનાગઢ, મો. ૯૮૨૫૭ ૫૩૭૮૧)એ પોતાના પુત્ર અને પતિ નૂરમામદ સાથે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી હાલમાં લોકડાઉનનું જાહેરનામું હોય પોતાના પતિ નુરમામદ મજૂરી કરે છે તેમજ પુત્ર માંગનાથ રોડ ઉપર દુકાનમાં કામ કરે છે, પરંતુ હાલમાં લોકડાઉન ચાલુ હોય પોતાને ખાવાના પણ સાંસા હોવાનું જણાવી, પોતાને કેન્સરની બીમારી છે અને જેની સારવાર સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ચાલે છે. પોતે કેન્સરની સારવાર અનુસંધાને ચાર જેટલા કિમોથેરાપીના શેક લીધેલા હોય અને હવે એક જ શેક બાકી છે. પોતાને કિમોથેરાપીનો શેક લેવા માટે અમદાવાદ જવુ જરૂરી છે અને વાહનોની અવર જવર બંધ હોય પોતાની પાસે કોઈ આર્થિક સગવડ પણ ન હોવાનું જણાવી ખુબ જ દુઃખ વ્યકત કરી રડી પડયા હતાં. કેન્સરગ્રસ્ત મહિલાએ શક્ય હોય તો પોતાને નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ રાજકોટ કે જે તિરૂપતિ નગર નિર્મલા કોન્વેન્ટ સ્કુલની સામે આવેલ છે ત્યાં એક બાકી પાંચમો કિમોથેરાપીનો શેક લેવડાવી દેવામાં આવે તો પોતે પોલીસ ખાતાની આભારી થશે તેવું જણાવેલ હતું. પોતાની પાસે માં અમૃતમ કાર્ડ હોય, જે નાથાલાલ પારેખ હોસ્પિટલમાં આપવામાં આવે તો સારવાર મળી શકે તેમ હોવાનું જણાવી પોતાને જૂનાગઢથી રાજકોટ પહોંચાડવાની સગવડ કરી આપવા વિનંતી કરીને જણાવવામાં આવેલ હતું. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી. ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા ઝમીલાબેન નુરમામદના માટે એક ઈકો ગાડીની સગવડ કરી આપી અને જૂનાગઢ એસડીએમ જે.એમ. રાવલનો સંપર્ક કરી કચેરી સાથે સંકલન કરી મામલતદાર એચ.વી. ચૌહાણ, નાયબ મામલતદાર કિરીટભાઈ સોલંકી, અનિલભાઈ નંદાણીયા, પરમાર સહિતની ટીમ દ્વારા રાજકોટ સારવાર કરવા માટે પાસ પણ ઇસ્યુ કરવામાં આવેલ હતો. બીજા દિવસે જમીલાબેન તેમજ ઈકો ગાડીના ડ્રાઈવર જાવીદભાઈ થૈમ અને ઝમિલાબેનનો દીકરો સારવાર કરવા માટે રાજકોટ ખાતે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ પહોંચ્યા હતા. કેન્સર હોસ્પિટલ ખાતે તપાસ કરતા માં અમૃતમ કાર્ડ જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ચાલુ હોય તેથી સારવાર માટે આશરે આઠ થી દશ હજાર રૂપિયાની જરૂર પડશે તેવું જણાવતા ઝમીલાબેન મુંજાયેલા અને ફરીથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કરતા તેઓએ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાને આ બાબતે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ખાતે જઈને ઝમીલાબેનને સારવાર માટે મદદ કરવા જણાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળા તથા સ્ટાફ દ્વારા નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલના ડોકટરને મળી ઝમીલાબેનની સારવાર માટે ભલામણ કરેલ તેમજ ઝમીલાબેનની સાથે આવેલ તેના દિકરા તથા ડ્રાઇવરની રહેવાની વ્યવસ્થા કરી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેનું માં અમૃતમ કાર્ડ કેન્સલ કરાવી નાથાલાલ પારેખ હોસ્પિટલ ખાતે ચાલુ કરાવી ઝમીલાબેનની કેન્સરની સારવાર કરાવવામાં આવેલ હતી. ઝમીલાબેનને એક દિવસ હોસ્પિટલમાં એડમિટ કરી કિમોથેરાપીનો શેક લેવડાવવામાં આવેલ હતો. સારવાર બાદ જૂનાગઢ પરત આવી સીધા જ જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે ફોન કરી અને જૂનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યક્ત કરેલ હતો. અને જણાવેલ કે જૂનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો લોક ડાઉનના સમયમાં અને પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે પોતે સારવારથી વંચિત રહી જાત અને કદાચ કેન્સર રોગનો ફેલાવો વધુ વધી જાત તેવું જણાવી ગળગળા થયેલ અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી.

error: Content is protected !!