રાજયમાં વરસાદી માહોલ સાથે ૮૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

0

રાજ્યમાં ચોમાસાની મોસમ જામી છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સાથે ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૨૭ મીમી એટલે કે પાંચ ઈચ, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ૧૦૨ મીમી એટલે કે ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૯મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન ભૂજ તાલુકામાં ૮૬ મીમી, મોરબીમાં ૮૫ મીમી, દસાડામાં ૮૧ મીમી, લોધિકામાં ૮૦ મીમી અને દાંતામાં ૭૬ મીમી મળી કુલ પાંચ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દાંતીવાડામાં ૬૭ મીમી, સતલાસણામાં ૫૯ મીમી, રાજકોટમાં ૫૫ મીમી, બોરસદમાં ૫૪ મીમી, ધોલેરામાં ૫૧ મીમી અને અમીરગઢમાં ૫૦ મીમી મળી કુલ પાંચ તાલુકાઓમાં બે ઈંચથી વધુ જયારે અન્ય ૩૨ તાલુકાઓમાં એક ઈંચ અને ૩૮ તાલુકાઓમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. ચાલુ મોસમનો રાજ્યનો સરેરાશ કુલ વરસાદ ૮૫.૧૪ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૧૪૯.૫૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૨.૧૨ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૫.૮૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૧૭.૧૯ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮૫.૧૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના ૨૦૫ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમ આજે ૧૨૧.૫૭ મીટરની સપાટી એ છે. જેમાં કુલ સંગ્રહ ૫૪.૯૯ ટકા જેટલો થયો છે. રાજ્યના ૧૦૧ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઈએલર્ટ, ૯ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ અને ૧૪ ડેમ ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા વોર્નિંગ જાહેર કરવામાં આવ્યા છે. જયારે ૮૧ ડેમમાં ૭૦ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે ૧૮૬ માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૨૦ અને પંચાયત હસ્તકના ૧૬૬ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!