ગિરનાર રોપ-વે – જૂનાગઢની વધુ એક યશ કલગી

0

લાખો શ્રધ્ધાળુઓની આસ્થા જયાં કેન્દ્રીત થયેલી છે. ત્યાં ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં દર્શનનો લ્હાવો હવે નાના મોટા અબાલવૃધ્ધ સૌ કોઈને મળી શકશે. માતાજીની કૃપા દ્રષ્ટી સાથે જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં વિકાસની યાત્રાનો ઉદય થઈ રહયો છે. વણથંભી વિકાસયાત્રામાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે.
જૂનાગઢ અને સમગ્ર સોરઠ પંથકની જનતાની લાગણી અને અપેક્ષાને પરીપુર્ણ કરવામાં ખાસ કરીને ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારે જે ઝડપથી કામગીરી પુર્ણ કરાવેલ છે અને ર૪ ઓકટોબરનાં રોજ ગિરનાર રોપ-વેનું ઈ- લોકાર્પણ થવા જઈ રહયું છે. ત્યારે આ તકે આ ધન્ય ઘડીનેજૂનાગઢનાં પ્રજાનો અવાજ એવા લોકપ્રિય અખબાર સૌરાષ્ટ્રભૂમિ દૈનિક પત્રનાં તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય – અભિજીત ઉપાધ્યાય અને સમગ્ર સૌરાષ્ટ્રભૂમિ પરિવાર આવકારે છે અને સાથે જ આભારની લાગણી પણ વ્યકત કરવામાં આવી રહી છે. જૂનાગઢની જનતાનું વર્ષોજુનું સ્વપ્ન એવા રોપવે યોજના મૂર્તિમંત થઈ રહી છે. ત્યારે આ યોજનાનાં સાકાર થવાનાં કારણે જૂનાગઢ જીલ્લાની જનતા જનાર્દન ખુશખુશાલ બની ગયેલ છે. આ સાથે જ પ્રવાસી જનતાને પણ અત્યંત હર્ષ અને આનંદ થઈ રહેલ છે. રોપ -વે યોજના માટેનાં જયારથી મંડાણ થયાં છે. તેમજ રોપ-વે જૂનાગઢ ગિરનાર ઉપર થાય તો એવું એક બીજ આજથી ઘણાં વર્ષો પહેલા એટલે કે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં શરૂઆતનાં તબકકામાં અમોએ વાવ્યું હતું. આજથી ચાર દાયકા પહેલાની વાત કરીએ તો સીતેર – એસીનાં દાયકામાં રોપ-વે યોજનાનાં વિચારને આગળ ધપાવવા સૌરાષ્ટ્રભૂમિ દૈનિક દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. એ વખતનાં ગુજરાત સરકારનાં (મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની) તત્કાલીન મંત્રીશ્રી મહંત વિજયદાસજીએ કાળવાચોકમાં પસાર થતી વખતે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી કાર્તિક ઉપાધ્યાયને સવાર- સવારમાં જ રોકવામાં આવેલ અને ખુશખબર આપતા જણાવ્યું હતું કે, તંત્રીશ્રી આજના દિવસે તમને એક ખુશખબર આપું છું. અને એ છે કે તમારી જે વાત હતી કે ગિરનાર ઉપર રોપ-વે થાય એ બાબતને આજે સરકાર કક્ષાએ પણ ફાઈનલ કરી નાંખવામાં આવી છે.
મહંતશ્રી વિજયદાસજી મહારાજે ત્યારે આ બાબતની જાહેરાત કરી ત્યારે ખુબજ આનંદ થયો હતો. રોપ-વે યોજના સાકાર થવામાં એક યા બીજા કારણસર લાંબી લડાઈ તેમજ નો ઓબ્જેકશન સર્ટિફીકેટ અને યોજનાને કાયદેસર મંજુરી આપતા ઘણો ટાઈમ લાગ્યો છે. સમાજનાં હિતેચ્છુઓએ રોપ-વે યોજના સાકાર કરવામાં અથાગ પ્રયાસો કર્યા અને સાથે જ સૌરાષ્ટ્રભૂમિ દૈનિક દ્વારા પણ અવાર-નવાર ગિરનાર રોપ-વે માટેના અહેવાલો પ્રસિધ્ધ કરી અને સરકારને આ બાબત ભુલવા દીધી નથી. તેમજ ર૦૦૦ની સાલ બાદ સૌરાષ્ટ્ર ભૂમિ ન્યુઝ ચેનલ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા રોપ-વે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું અને આજ દિવસ સુધી રોપ-વેના પ્રશ્ને સતતને સતત અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આખરે રોપ-વે યોજનાનું સપનું સાકાર બની રહયું છે. અત્યારનાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા અને સરકાર સહિત તમામનો હૃદયપુર્વક આભાર માન્યે છીએ આગામી દિવસોમાં જૂનાગઢ અને સોરઠ પંથકમાં ટુરીઝમ ક્ષેત્રે અને વિકાસ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાય તેવી શુભેચ્છા પણ પાઠવશું. વર્ષમાં શ્રેષ્ઠ એવા નવરાત્રી આસો માસનાં નવરાત્રી શુભ દિવસોમાં રોપ-વે કાર્યરત થઈ રહયું છે. ત્યારે આ ઘડી પણ ધન્ય બની ગઈ છે. રોપ-વે યોજના પ્રજા માટે ખુલ્લુ મુકવામાં આવશે ત્યારે પ્રવાસી જનતાનો પણ સતત ને સતત ઘસારો થવાનો છે. ત્યારે બહારથી આવનારા પ્રવાસીઓને માટે ગિરનારની ટોચ ઉપર વિસામા તેમજ રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવાઈ તે પણ જરૂરી છે. અંબાજી મંદિરનાં મહંત મોટાપીરબાવા અને તનસુખગીરીબાપુ અને નાના પીરબાવા ગણપતગીરીબાપુ અને મંદિર ટ્રસ્ટ તરફથી સરકારને યાત્રાળુઓ માટેની સુવિધા વધારવા જમીન પણ આપવામાં આવી છે અને અન્ય વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવે તે પણ એટલું જરૂરી છે.

આજથી ચાર દાયકા પહેલા એક દિવસ સવારનાં જૂનાગઢ શહેરનાં પ્રખ્યાત કાળવાચોકમાંથી હું પસાર થઈ રહયો હતો. ત્યારે આજ સમયે ત્યાં પસાર થઈ રહેલા ગુજરાત સરકારના તત્કાલીન મંત્રીશ્રી મહંત વિજયદાસજી મહારાજે મને સાદ પાડયો કે તંત્રી શ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય જૂનાગઢ અને જીલ્લાની જનતાનું જે સ્વપ્ન છે અને વારંવાર તમોએ અહેવાલો પ્રસિધ્ધ કરી સરકારનું ધ્યાન ખેંચ્યું છે તેવા રોપ-વે પ્રોજેકટ સરકાર લેવલે ફાઈનલ થઈ ગયું છે. (પેપર વર્ક) આ સમાચાર મળતાં જ આનંદની લાગણી થઈ હતી. અત્રે નોંધનીય છે કે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકમાં રોપ-વે યોજનાનો સૌ પ્રથમ અહેવાલ અમોએ પ્રસિધ્ધ કર્યો હતો. અને જે યોજના આજે ર૬ વર્ષ પછી મૂર્તિમંત થઈ રહી છે. સોરઠની જનતાનું આઝાદી પછીનું પહેલું વિકાસ કાર્ય પ્રજાને સમર્પિત થશે ત્યારે આ યોજના મારા પ્રત્યક્ષ-સમક્ષ શરૂ થઈ છે તેનો ગર્વ છે.

error: Content is protected !!