જૂનાગઢમાં આરઝી હકુમતનું સ્મારકનું માત્ર દિવા સ્વપ્ન રહયું !

0

જૂનાગઢ શહેરનાં મુકિતદિન એવા ૯ મી નવેમ્બરને આડે હવે ગણતરીનાં દિવસો જ બાકી રહયા છે. ત્યારે આ દિવસ જૂનાગઢની જનતા અને સોરઠ પંથકની જનતા માટે યાદગાર દિવસ છે. આ દિવસે જૂનાગઢને સાચા અર્થમાં આઝાદી મળી હતી અને આઝાદીનાં આ ઈતિહાસની અનેક વાતો એક ઉજવળ ચિત્ર બનીને સંઘરાયેલી પડી છે. વર્ષો પહેલા એટલે કે ૧૯૯૭માં તત્કાલીન મુખ્યમંત્રી દિલીપ પરીખની ઉપસ્થિતિમાં બહાઉદીન કોલેજ ખાતે આરઝી હકુમતના હયાત સેનાનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાં એક વિજય સ્થંભ સ્થાપવામાં આવ્યો હતો અને જૂનાગઢનાં મુકિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે ફકત ને ફકત ૯મી નવેમ્બરનાં દિવસે એક દિવસ માટે પૂજન સહિતનાં કાર્યક્રમો આ સ્થંભે યોજાઈ છે. આ સિવાય કોઈ પ્રગતિજનક કાર્ય હજુ સુધી થયું નથી.
ભારત દેશને મહામુલી આઝાદી ૧પમી ઓગષ્ટ ૧૯૪૭નાં દિવસે મળી હતી ત્યારે ઐતિહાસીક નગરી એવા જૂનાગઢ શહેરમાં આઝાદીનો ઈતિહાસ કઈંક અલગ જ લખાયો હતો. જૂનાગઢનાં તત્કાલીન નવાબ મહોબતખાનજી કે જેઓ ધાર્મિક પ્રજાવત્સલ તેમજ સરળ સ્વભાવનાં હતાં પરંતુ કોઈ સલાહકારોના ઈશારે તેઓએ જૂનાગઢને પાકિસ્તાન સાથે જાેડવાની હિલચાલ કરતાં તેનો જબ્બર વિરોધ અને સોરઠ પંથકમાં ઉઠવા પામ્યો હતો. અને લોકક્રાંતિ સર્જાણી હતી. પ્રજાકીય ચળવળ એટલે જૂનાગઢ આરઝી હકુમત એવું નામ અપાયું હતું. નામી અનામી અનેક લોકોએ પોતાનું યોગદાન આપી અને જૂનાગઢને આખરે ૯મી નવેમ્બરે આઝાદી અપાવી હતી. જૂનાગઢનાં ગૌરવવંતા ઈતિહાસની યાદગીરી કાયમ જળવાઈ રહે તેમજ આવનારી પેઢીને તેમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે ગૌરવવંતા ઈતિહાસની ઝાંખી આમ જનતા કરી શકે તે માટે ઈતિહાસને આલેખવું પડે અને તેના માટે ખાસ તો આરઝી હકુમતનાં સેનાનીઓનાં પરિવારજનો કે તેમની પાસે આજે પણ જુની તસ્વીરો, જુનાં લખાણો તેમજ પોતાનાં વડીલો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ હોય તે માહિતી તમામ તેમની પાસે સંગ્રહાયેલી પડી હોય છે. કોઈ ઈતિહાસકાર કરતા પણ તેમની પાસે વધારે માહિતી હોય છે. ત્યારે કોર્પોરેશન તેમજ સરકારે પણ આરઝી હકુમતની લડાઈમાં જેઓએ ભાગ લીધો હોય તેવા સેનાનીઓ જાે હયાત હોય તેમની પાસેથી અથવા તો તેમના પરિવારજનો પાસે માહિતી ઉપલબ્ધ કરાવવી જાેઈએ તેવી લાગણી અને માંગણી સર્વત્ર ઉઠવા પામી છે. આ ઉપરાંત જે તે વખતે જૂનાગઢમાં આરઝી હકુમતના સેનાનીઓની એક યાદગીરીમાં એક સ્મારક બનાવવાની માંગણી થઈ હતી. પરંતુ હજુ સુધી કે એટલે કે આઝાદીનાં સાત દાયકા ઉપરાંતના સમયગાળા વિતી જવા છતાં કોઈ કાર્ય થયું નથી. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ જૂનાગઢમાં ભરી સભામાં સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. અને એ જાહેરાત એમને એમ હવામાં લટકી રહી છે. ત્યારે આગામી ૯મી નવેમ્બરનાં દિવસે સંબંધીત વિભાગ અને સરકાર દ્વારા આઝાદીના ગૌરવવંતા ઈતિહાસની જાળવણી થાય તે માટે નકકર કાર્યવાહી કરે તેવી લાગણી અને માંગણી પ્રર્વતી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!