વેરાવળ-પાટણ શહેર અને સંયુકત પાલીકાના બદલે સોમનાથ શહેર અને નગરપાલીકા કરવા સર્વાનુમતે ઠરાવને મંજૂરી અપાઇ

0

ભાજપે વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાનું સત્તાનું સુકાન સંભાળ્યા બાદ પ્રથમ બજેટ બેઠક યુવા પ્રમુખ પીયુષભાઇ ફોફંડીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કુલ ૪૪ પૈકી સત્તાપક્ષ અને વિપક્ષના ૪૦ નગરસેવકો હાજર રહેલ હતા. સત્તાધીશોએ કોઇપણ જાતના નવા કરવેરા વિનાનું તથા અનેક વિકાસ કામો સાથે પ્રજાહિતના કાર્યો કરવાની જાેગવાઇ કરેલ હતી. આગામી વર્ષ ૨૦૨૧-૨૦૨૨નું ૮૩.૬૭ કરોડનું ૧.૪૯ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરેલ હતુ. બજેટનો કોંગ્રેસના એક માત્ર નગરસેવક અફઝલ પંજાએ વિરોધ કરેલ હતો. જયારે બાકીના તમામ નગરસેવકોએ મંજૂરી આપતા બજેટ બહુમતિથી મંજુર કરાયુ હતું. બેઠકના પ્રારંભે જ પ્રમુખ પીયુષભાઇ ફોફંડીએ શહેર પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મંદીર સાથે જાેડાયેલ છે ત્યારે બેઠકના પ્રથમ એજન્ડામાં વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાનું સોમનાથ નગરપાલીકા નામકરણ માટે યોગ્ય કાર્યવાહી અર્થે ઠરાવ રજૂ કરેલ જેને સર્વે નગરસેવકોએ ઉત્સાહભેર સર્વાનુમતે મંજુર કરેલ હતો.
વર્ષ ૨૦૨૧-૨૨ બજેટમાં કરેલ જાેગવાઇઓ અંગે પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, ઉપપ્રમુખ કપીલ મહેતા, કારોબારી ચેરમેન નિલેશ વિઠલાણીએ જણાવેલ કે, બજેટમાં ૨૯.૧૦ કરોડ વિકાસ યોજના માટે, ૬.૩૨ કરોડના જુના દેણાં ચુકવવા તથા ૨૬.૩૯ કરોડ અગ્રીમ આવશ્યક સેવાઓ માટે જાેગવાઇ કરાઇ છે. હયાત કૈલાશધામ (સ્મશાન)ને ૬૫ લાખના ખર્ચે અપગ્રેડેશન કરી ઇલેકટ્રીક સ્મશાન ભઠ્ઠી બનાવવાનું, અમૃત યોજના અંર્તગત ૧૦ કરોડના ખર્ચે શહેરના મુખ્ય માર્ગો સહીતના વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા ફુટપાથ બનાવાશે. હયાત ઝવેરચંદ મેધાણી લાયબ્રેરીને ૫૦ લાખના ખર્ચે અપગ્રેડ કરી વાતાનુકુલીત નવો વાંચનાલય ખંડ બનાવવાની જાેગવાઇ, શહેરમાં સ્ટ્રીટ લાઇટોનું નવીનીકરણ સાથે નવા ઉમેરાયેલ, ઓ.જી.વિસ્તારમાં નવી ૭૫૦ સ્ટ્રીટ લાઇટો ફીટ કરવા તથા સર્કલો અને ગાર્ડન ઉપર હાઇમાસ્ટ ટાવર ઉભા કરવામાં આવશે. શહેરના મુખ્ય સર્કલોને ફુવારાઓથી સુશોભીત કરાશે. શહેરમાં સ્વચ્છતાને અગ્રીમતા સાથે ડોર ટુ ડોર કલેકશન યોજનાને વધુ અસરકારક બનાવવા અલાયદુ આયોજન હાથ ધરાયેલ છે. પાણીની લાઇનમાંથી લીકેજ સહિતના કારણે પીવાના પાણીના થતાં બગાડને અટકાવવા નવીનીકરણ અને મરામત માટેનું વિશેષ આયોજન કરેલ છે. શહેરના હયાત સાત પબ્લીક ગાર્ડનનું રૂા.૧.૨૦ કરોડના ખર્ચે આધુનીકરણ કરાશે. શહેરના રોડ રસ્તા માટે ૧૫ કરોડના ખર્ચે ડામર, સી.સી તથા પેવર બ્લોકથી મઢવામાં આવશે. હયાત કોમ્યુનીટી હોલને અપગ્રેડ કરી વધુ એક નવો એસી હોલ તેમજ ખડખડ વિસ્તારમાં નવા કોમ્યુનીટી હોલનું નિર્માણ કાર્ય પુરૂ કરવાનું લક્ષ્ય નકકી કરાયેલ છે.
વેરાવળ સોમનાથ નગરને હરીયાળું અને રળીયામણું બનાવવા માટે વૃક્ષારોપણના મહાઅભિયાન હેઠળ શહેરી વિસ્તારમાં ૧ લાખ ૮ હજાર વૃક્ષોના વાવેતરનો સંકલ્પ રજુ કરાયેલ છે. આ અભિયાન અંતર્ગત શહેરની વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ, સોમનાથ ટ્રસ્ટ, સરકારી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે સંકલન કરી મહા અભિયાનને મૂર્તિમંત કરવામાં આવશે. બેઠકમાં પાલીકાના દિવંગત બે પૂર્વ નગરસેવકોને બે મિનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી તેમજ બેઠકના અંતે સર્વે નગરસેવકોએ રાષ્ટ્રગીતનું ગાન કરેલ હતું.
વધુમાં રાજયનો આર્થિક વિકાસની સાથે નાગરિકોનાં જીવન ધોરણનું સ્તર પણ બદલાય રહયું છે. શહેરના વિસ્તાર અને વસ્તીમાં વધારા સાથે વિકસતા શહેરના નાગરિકોને પાયાની જરૂરીયાત જેમકે પાણી, સફાઇ, ડ્રેનેજ, રોડ, લાઇટ તથા આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા સતત પ્રયાસો અને આગવુ આયોજન કરવું એ પાલીકાનું લક્ષ્ય અને પ્રયાસ રહેશે. સ્વચ્છ ભારત મિશન અંર્તગત આપણું શહેર ૧૦૦ ટકા ખુલ્લામાં શૌચક્રિયા મુકત બને તથા સ્વચ્છતા સર્વેક્ષણમાં સોમનાથ દાદાના પ્રથમ જયોર્તીલીંગ ધરાવનારૂ આપણું શહેર સ્વચ્છ અને સ્વસ્થ બને તે માટે સતત પ્રયત્નશીલ રહી વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં પણ આ બાબતે ખાસ જાેગવાઇ કરાયેલ છે. અંદાજપત્ર સાથે શહેરીજનો સંકલ્પ લઇને આપણે આપણા શહેરને સુવિધ્ધાપૂર્ણ સ્વચ્છ શહેર બનાવવા સહભાગી બનાવવા પાલીકાના અભિયાનમાં જાેડાવવા અપીલ કરી હતી.
૭ ગાર્ડનોને સુવિધાયુકત બનાવવા ખાસ આયોજન
વેરાવળ શહેરમાં નાના મોટા કુલ ૭ ગાર્ડનો આવેલા છે. જે પૈકી ટાવર ચોકના આંબેડ઼કર ગાર્ડનમાં સી.સી. પાથવે રૂા.૬ લાખ, સોમનાથ સોસાયટી, જીવનજયોત સોસાયટી, ભાલકા ફિલ્ટર પ્લાન પાસેના, આવાસ યોજના પાસેના ગાર્ડનમાં અમૃત યોજના હેઠળ રૂા.૧૦૯ લાખના ખર્ચે વિકસાવવાનું કામ હાથ ધરાશે. ડાભોર ચોકડી પાસેના ગાર્ડનમાં પાથવે તથા ઓફીસ સ્ટોર રૂમ બનાવવા ૧૦ લાખના ખર્ચે ચાલી રહેલ કામ વહેલીતકે પુર્ણ કરાશે. ભાલકાના ફિલ્ટર પ્લાનના ગાર્ડનમાં મોર્નીગ વોક વે, બાળકોના રમત-ગમતના સાધનો, વોટર ફાઉન્ટેન, ફુલ-ઝાડ વગેરેથી સુશોભીત કરવામાં આવશે.
બેઠકમાં કોંગ્રેસ નેતા વિહોણી હોવાનું સામે આવ્યું
પાલીકાની નવી બોડીની પ્રથમ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસ સેનાપતિ વગરની જાેવા મળી હતી. ચુંટણીના પરીણામોથી આજદિન સુધીમાં કોંગ્રેસમાંથી ચુંટાયેલા ૧૩ નગરસેવકોમાંથી કોંગ્રેસનું સંગઠન પાલીકામાં પક્ષ (વિપક્ષ)ના નેતા તરીકે કોઇની પસંદગી કરી ન હતી. જેના કારણે બજેટ બેઠકમાં શાસકપક્ષની ભુલો કાઢવાની સાથે પ્રજાહિત માટેના અમુક જરૂરી કામો બાબતે વિરોધ કે સુધારો કરાવી શકી ન હોવાનું જાેવા મળતું હતું. જેથી બજેટ સામે કોંગ્રેસના ૧૩ પૈકી એક જ નગરસેવક ખુલ્લીને વિરોધ કરતા જાેવા મળ્યાં
હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!