જૂનાગઢનું સક્કરબાગ, દેવળિયા અને આંબરડી સફારી પાર્કનાં દ્વાર આજથી પ્રવાસી જનતા માટે ખૂલ્યા

0

ગુજરાત અને દેશભરમાં કોરોનાનાં સંકટમય કાળ વચ્ચે મહાભંયકર પરિસ્થિતિ સર્જાણી હતી અને સાવચેતીનાં પગલા અંતર્ગત સરકારની સૂચના અનુસાર જાહેર સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, સફારી પાર્ક વગેરેને પ્રવાસી જનતા માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ સરકારની સૂચના અનુસાર આજથી જ જૂનાગઢનું સુપ્રસિધ્ધ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, દેવળિયાનું સફારી પાર્ક અને આંબરડી સફારી પાર્ક શરૂ કરવામાં આવેલ છે. આજે સવારે ૮ કલાકે ત્રણેય સ્થળોએ આવેલા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સોશ્યલ ડીસ્ટન્સનાં પાલન સાથે પ્રવાસી જનતાએ જુદા-જુદા સ્થળનો આનંદ ઉઠાવ્યો હતો. આજથી જ પ્રવાસી જનતા માટે જયારે સક્કરબાગ ઝૂ, દેવળિયા અને આંબરડી સફારી પાર્કનાં દ્વાર ખૂલ્યા છે ત્યારે પ્રથમ દિવસે સારો કહી શકાય તેવો ટ્રાફીક રહ્યો છે. કોવિડ-૧૯ની પ્રથમ લહેર વખતે સક્કરબાગ, દેવળિયા પાર્ક અને આંબરડી સફારી પાર્ક બંધ કરાયા બાદ અનલોક વખતે ફરી શરૂ કરાયા હતા. પરંતુ કોરોનાની બીજી લહેર આવતાં જ ફરીથી બંધ કરી દેવાયા હતા. હવે કોરોનાની બીજી લહેર શમી ગઇ છે ત્યારે જૂનાગઢનું સુપ્રસિધ્ધ સક્કરબાગ ઝૂ, સાસણનો દેવળિયા સફારી પાર્ક અને અમરેલી જિલ્લાનો આંબરડી સફારી પાર્ક આજથી ફરી શરૂ કરવામાં આવ્યા છે તેમ વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું. અહી આવનારા પ્રવાસીઓને ખૂબ જ સારી સુવિધા અને સગવડતા મળે તે માટેની વ્યવસ્થા કરી નાંખવામાં આવી છે. આજે પ્રવાસીઓએ દેવળીયા સફારી પાર્કની મુલાકાત લીધી હતી. જૂનાગઢના સક્કરબાગ ઝૂને ગત તા.૨ એપ્રિલ ૨૦૨૧ ના રોજ કોરોનાની બીજી લહેરને લઇ બંધ કરાયું હતું. જે હવે આજ તા.૧૭ જુન ૨૦૨૧થી ફરી મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યું છે તેમ સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર ડીએફઓ અભિષેકે જણાવ્યું હતું. વિશેષમાં આ માટે ગુજરાતના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ચીફ વાઈલ્ડલાઇફ વોર્ડને કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનને અનુસરીને જ રાજ્યના તમામ ઝૂ અને સફારી પાર્ક ખુલ્લા મૂકવાની સુચના આપી છે. જેથી આજ તા.૧૭ જુને રાબેતા મુજબના સમય સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ સુધી મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રથમ લહેર બાદ સક્કરબાગ ખુલ્યું ત્યારે એક દિવસમાં વધુમાં વધુ ૫૦૦ પ્રવાસીને જ પ્રવેશ આપવાની જાેગવાઇ હતી. પણ આ વખતે એ હટાવી ગમે એટલા પ્રવાસીઓને પ્રવેશ આપી શકાશે એવી સુચના જારી કરાઇ છે. જાેકે, ઝૂમાં તમામ પ્રવાસીઓએ માસ્ક ફરજિયાત અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. સક્કરબાગ ઝૂ, દેવળિયા સફારી પાર્ક અને આંબરડી પાર્કમાં મુલાકાતીઓએ ગેટ ઉપર જ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે થર્મલ ગનથી ચેક કરી સેનેટાઈજર લગાડીને જ પ્રવેશ આપવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાસણનાં દેવળિયા સફારી પાર્કમાં આજથી પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમજ તાજેતરમાં જ ગુજરાતનાં પ્રવાસન અને મત્સ્યઉદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડાનાં હસ્તે પ્રવાસી જનતા માટે ખાસ પ્રકારની આદ્યુનિક એસી બસનું લોકાર્પણ કરવામાં આવેલ છે. ત્યારે પ્રવાસી જનતા આ બસમાં જ બેસીને પાર્કમાં સિંહ જાેવા જઈ શકશે તેમ ડીસીએફ મોહન રામે જણાવ્યું હતું. વધુમાં ડીસીએફ મોહન રામનાં માર્ગદર્શન હેઠળ આરએફઓ જયશ્રીબેન પટાટ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા પ્રવાસી જનતાનું આવકાર આપી અને તેઓને માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!