કલાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘‘માટી બચાવો’’ સેવ સોઇલ એમ.ઓ.યુ. કરનારૂ દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ ‘સેવ સોઇલ’ માટેના એમઓયુ અમદાવાદમાં કરવામાં આવ્યા હતા. માટી બચાવોના આ અભિયાન માટે વિશ્વવ્યાપી જાગૃતિ કેળવવા ઇશા ફાઉન્ડેશનના સ્થાપક જગ્ગી સદગુરૂ ૧૦૦ દિવસીય ૩૦ હજાર કિલોમીટરની બાઇક યાત્રા ઉપર નીકળ્યા છે. સમગ્ર યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વ વિસ્તારોમાં તેમણે માટી બચાવવાના તાત્કાલિક નીતિગત ફેરફારો માટે સરકારોને સજાગ કરવાના ઉદેશ્ય સાથે આ યાત્રા આરંભી છે. સદગુરૂ જગ્ગી વાસુદેવ આ યાત્રા અંતર્ગત ગુજરાતમાં છે અને ‘માટી બચાવો’ અંગેના એમઓયુ થવા અવસરે ઉપસ્થિત રહ્યા હતા. સેવ સોઇલ માટી બચાવોની વૈશ્વિક ચળવળમાં આએમઓયુની અભિનવ પહેલ દ્વારા સહયોગ આપનારૂ દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. વિશ્વમાં ઉપજાઉ માટીની ગુણવત્તા ચિંતાજનક સ્તરે નીચે જઇ રહિ છે તેની સામે જનજાગૃતિ કેળવવા આ માટી બચાવો અભિયાન ઇશા ફાઉન્ડેશને હાથ ધર્યુ છે. મનુષ્યના આરોગ્ય અને અન્ય જીવોના સ્વાસ્થ્ય માટે જમીનની માટીની ગુણવત્તાની મોટી અગત્યતા છે તે માટે પણ જમીનની ફળદ્રુપતા જાળવવાની સૌની સામુહિક જવાબદારી છે તે માટે આ અભિયાન જન-જનમાં માટી બચાવવા માટેનું એક મોટું જન આંદોલન બની શકે તેમ છે. એટલું જ નહિ, પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનું અસ્તિત્વ ટકાવી રાખવામાં જમીન અને માટીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. માટીમાં રહેલા અનેક સૂક્ષ્મ પોષક તત્વો કૃષિ પાકોની ગુણવત્તા માટે ખૂબ જરૂરી છે. આ સંદર્ભમાં ગુજરાતે ખેડૂતોના ખેતરની માટીના સ્વાસ્થ્ય અને ગુણવત્તા માટે ર૦૦૩-૦૪ થી ‘સોઇલ હેલ્થ કાર્ડ’ની દૂરંદેશી પહેલ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાનથી કરેલી છે. માટીમાં રહેલા પોષક દ્રવ્યોની માપણી માટેની ૧૧પ જેટલી સોઇલ હેલ્થ લેબોરેટરી પણ કાર્યરત છે. પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં હવે આ સોઇલ હેલ્થકાર્ડની યોજના દેશભરમાં અમલી બનાવાઇ છે. દેશ અને દુનિયામાં રસાયણોના ઉપયોગ અને પ્રદુષણ તેમજ કલાયમેટ ચેન્જની અસરોના કારણે માટીની ફળદ્રુપતા ઘટતી જાય છે. કૃષિ પાકોમાં પણ તેના પરિણામે રસ-કસ ઘટી ગયા છે. એક અનુમાન મુજબ વિશ્વની ર૪ ટકા માટી રણમાં ફેરવાઇ ગઇ છે. સંયુકત રાષ્ટ્રએ એવી ચેતવણી પણ આપી છે કે, આ જ દરે માટી લુપ્ત થતી રહેશે તો ર૦પ૦ એટલે કે આવનારા ૩ દાયકા સુધીમાં ૯૦ ટકા પૃથ્વી રણમાં ફેરવાઇ જઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વૈશ્વિક સમસ્યામાંથી દેશને બચાવવા અને માટીની ફળદ્રુપતા જાળવી રાખવા ‘‘બેક ટુ બેઝિક’’નો નવતર વિચાર આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગે ઇશા ફાઉન્ડેશનના ઇશા આઉટરિચ સાથે કરેલા આ માટી બચાવો-‘‘સેવ સોઇલ’’ એમઓયુ વડાપ્રધાનએ આપેલા બેક ટુ બેઝિક અને પ્રાકૃતિક ખેતીના વિચારને સાકાર કરવામાં દેશભરમાં ગુજરાતની આગવી પહેલ બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, સદગુરૂ એ શરૂ કરેલા આ અભિયાનમાં ગુજરાત અગ્રિમ રહી યોગદાન આપી શકવા શું વધુ કરી શકે તે દિશામાં પણ આવનારા દિવસોમાં સક્રિયતા પૂર્વક આગળ વધીશું. રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગ અને ઈશા આઉટરિચ વચ્ચે, ગુજરાતમાં માટી બચાવવા માટેના જુદા જુદા પહેલરૂપ પ્રયાસો હાથ ધરવા માટે જાગૃતિ અને લોકભાગીદારી ઊભી કરવાના હેતુથી આ એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રિત કરવા અને વૃક્ષારોપણ તથા ચેરનાં વૃક્ષોના આવરણ થકી હરિયાળું આવરણ-ગ્રીન કવર વધારવા જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે. આ એમઓયુ સાઇનીંગ અવસરે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ કુમાર, ક્લાઇમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ એસ.જે. હૈદર, વરિષ્ઠ સચિવો અને ઇશા ફાઉન્ડેશનના સભ્યો, સદગુરૂના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!