રાજ્યના ૨.૮૩ લાખથી વધુ ખેડૂતો પાસેથી કુલ રૂા.૨,૯૨૨ કરોડના મૂલ્યના કુલ ૫.૫૮ લાખ મેટ્રિક ટનથી વધુ ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઇ : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

0

ગુજરાત રાજ્યના ૨.૮૩ લાખથી વધુ ખેડૂતો પાસેથી કુલ રૂા.૨,૯૨૨ કરોડના મૂલ્યના કુલ ૫,૫૮,૬૩૬ મેટ્રિક ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યમાં તા.૧ માર્ચ-૨૦૨૨થી ૯૦ દિવસ એટલે કે તા.૨૯ મે-૨૦૨૨ સુધી રાજ્યના કુલ ૧૮૭ કેન્દ્રો ઉપરથી નોંધાયેલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી હતી તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકો માસોલની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિમણુંક કરાઇ હતી. વર્ષ ૨૦૨૧-૨૨માં કેન્દ્ર સરકારે ચણાના પાક માટે રૂા.૫,૨૩૦ પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. મંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા ૫,૩૬,૨૨૫ મે.ટન ચણાના જથ્થા ઉપરાંત બાકી રહી ગયેલા નોંધાયેલ ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે રૂા.૧૩૦ કરોડથી વધુ મૂલ્યના વધારાના ૨૫,૦૦૦ મે.ટન ચણાના જથ્થાની ખેડૂતો પાસેથી ખરીદી કરવા મંજુરી મળેલ હતી. રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે તા.૧ થી ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૨ દરમ્યાન કુલ ૩,૩૮,૭૭૭ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે ભારત સરકારે સૌ પ્રથમ ૩,૧૯,૯૫૭ મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી અપાઇ હતી. ગુજરાતમાં નોંધણી થયેલ ખેડૂતોની સંખ્યા અને ચણાની પાક ઉત્પાદક્તાને ધ્યાને લઇ રાજ્ય સરકારએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતોના હિતમાં ભારત સરકારને માંગણી કરતાં કેન્દ્ર દ્વારા ૪,૬૫,૮૧૮ મે.ટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત રાજ્યમાં ચણાના બજાર ભાવની સરખામણીએ ટેકાના ભાવ વધારે હોવાથી નોંધણી થયેલ તમામ ખેડૂતોને ચણાના જથ્થાની ટેકાના ભાવે વેંચાણ કરવાની તક મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારને ચણાના વધારાના જથ્થાની ફાળવણી માટે પૂર્નઃ વિનંતી કરવામાં આવી હતી. રાજ્ય સરકારની આ માંગણીને કેન્દ્ર સરકારે તુરંત સ્વીકારીને ગુજરાતના ખેડૂતોના હિતમાં જથ્થો વધારી કુલ ૫,૩૬,૨૨૫ મે.ટન ચણાની ખરીદી કરવા મંજૂરી આપવામાં આવી હતી. ચાલુ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થતા રાજ્ય કૃષિ મંત્રીએ ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ઉપર સતત અંગત રસ લઇ તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવા સાથે ખેડૂતોની જરૂરિયાત મુજબનો જથ્થો મંજુર કરવામાં આવેલ તે માટે સતત પ્રયત્ન કરેલ હતો. રાજ્યમાં ટેકાના ભાવે ચણાની મબલખ ખરીદી થતા ખેડૂતોને આર્થિક ટેકો મળેલ છે.
કૃષિ મંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ખૂબ જ સુચારૂ અને સુયોગ્ય રીતે થતા રાજ્યના ખેડૂતોમાં ખૂબ જ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોના હિતમાં ૫,૩૬,૨૨૫ મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે મંજૂરી આપવા બદલ રાજ્યના લાખો ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલાનો કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે આભાર માન્યો હતો. વધુમાં ચણાની ટેકાના ભાવે ખરીદીમાં સુયોગ્ય વ્યવસ્થા કરવા અને સફળ કામગીરી બદલ કૃષિ વિભાગની ટીમને અને ગુજકોમાસોલ તેમજ ખરીદી કરનાર સંસ્થાઓના હોદેદારો, કર્મચારીઓને કૃષિ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!