રાજકોટ-ઓખા વચ્ચે દૈનિક ઇન્ટરસિટી ટ્રેન અનિવાર્ય : હાલાર સહિતની જનતાનો અવાજ ઉઠાવતી ખંભાળિયાની નાગરિક સમિતિ

0

રાજકોટથી ઓખા વચ્ચે આશરે અડધું સૌરાષ્ટ્ર નિયમિત રીતે એકબીજા સાથે વ્યાપારિક તથા કૌટુંબિક અને પારિવારિક સંબંધો ધરાવે છે. ત્યારે ઓખાથી રાજકોટ વચ્ચે નિયમિત રીતે મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે. કોરોના કાળ બાદ હાલ પરિસ્થિતિ મહદ અંશે થાળે પડી ગઈ છે અને આ વિસ્તારમાં મુસાફરોની અવરજવર પણ વધી ગઈ છે, ત્યારે ઓખાથી રાજકોટ વચ્ચે ડેમુ ટ્રેન કે ઇન્ટરસિટીની સુવિધા મળે તે માટે ખંભાળિયાની સક્રિય અને બિનરાજકીય એવી નાગરિક સમિતિ સંસ્થા દ્વારા સાંસદને લેખિત પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં, પરંતુ વિશ્વભરમાં વિખ્યાત યાત્રાધામ દ્વારકાધીશ, બેટ દ્વારકા, શિવરાજપુર બિચ વિગેરે જેવા ધર્મસ્થળો ઉપરાંત વ્યાપારી વિસ્તારો આવેલા હોવાથી અહીં પ્રવાસીઓ તેમજ અન્ય લોકોની વ્યાપક અવરજવર રહે છે. આ લોકોને અવરજવર માટે અમુક સમયે બસ કે પ્લેનની પુરતી સુવિધા ન હોવાથી તેમજ ખાસ કરીને પૂનમ જેવા મહત્વના દિવસો અને ધાર્મિક તહેવારોના દિવસોમાં લોકો માટે આ ટ્રેનો આશીર્વાદરૂપ સાબિત થઇ શકે છે. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારના મુસાફરો ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગની જનતા માટે આ ટ્રેનની સુવિધા સસ્તી અને આરામદાયક બની રહે છે. આ સાથે હવે આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક ટ્રેનની સુવિધા પણ શરૂ થનાર છે, ત્યારે જાે ઓખાથી રાજકોટ વચ્ચે નિયમિત ડેમુ ટ્રેન કે ઇન્ટરસિટીની સુવિધા પ્રાપ્ય બને તો લોકોની સુવિધામાં વધારો થાય. સાથે – સાથે ટુરિઝમને પણ વેગ મળે તે અંગેની બાબતો રજૂ કરી, નાગરિક સમિતિના પ્રમુખ ડો. એચ.એન. પડીયા, સમાજ સેવક ધીરેનભાઈ બદીયાણી, એડવોકેટ રમેશભાઈ માંડાણી, પ્રભુદાસભાઈ સવજાણી, સુરેશભાઈ ઢાંકી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

error: Content is protected !!