ખંભાળિયા તાલુકાના બેહ ગામે સોમવારે જુંગીવારા વાછરાભાઈની જાતરની ભવ્ય ઉજવણી થશે

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલા સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ ખાતે દર વર્ષે જાતરની ઉજવણીમાં સૌરાષ્ટ્રભરમાંથી અઢારેય વર્ણના મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. ખંભાળિયાથી આશરે ૩૦ કિ.મી. દૂર આવેલા તાલુકાના બેહ ગામે તારીખ ૨૬ના રોજ નવરાત્રીના પ્રથમ દિવસે જુંગીવારા વાછરાભાઈના મંદિરે જાતરના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બેહ ગામે જંગીવારા વાછરાભાઈનું રમણીય મંદિર આવેલું છે. આશરે પાંચ સદી પહેલા બેહ ગામે આવેલ જુંગી નામના જંગલમાં રાક્ષસ રહેતો હતો. તે રાક્ષસ ગામ લોકોને પરેશાન કરતો હતો. આ વખતે ચારણની દીકરી કરમઈબાઈ ભાથુ લઈને પસાર થતા આ અસુરે કુદ્રષ્ટિ કરતા કરમઈબાઈ સાક્ષાત ધરાઅંબા શક્તિનો અવતાર હોવાથી તેમણે વીર વછરાજને સ્મરણ કરતા જ વિર વછરાજ પ્રગટ થઈ, અસુરને ત્યાં જ હણીને ચારણની દીકરીની રક્ષા કરી હતી. જે કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજને અહીં બેહ ગામમાં જ રહી ગામનું રક્ષણ કરવાનું કહીને પોતે સમાધિ રૂપે સમાઈ ગયા હતા. ત્યારથી જ વિર વછરાજ જુંગીવારાના નામથી બેહ ગામે પ્રજવલિત થયા છે. ગામના લોકોના વડવાઓના જણાવ્યા મુજબ આશરે બસ્સો વર્ષ પહેલા જામનગર સ્ટેટ તરીકે ઓળખાતા જામસાહેબ દ્વારા સ્ટેટનો બાકી આકાક(કર) માટે વસૂલવા ફરમાન કરવામાં આવેલું હતું. તેમાં બેહ ગામનો કર બાકી હોવાથી આ કર ભરવાની મુદત પૂરી થઇ જતા ખાલસા કરવાનો હુકમ જામનગરના સ્ટેટે કર્યો હતો. ગામ લોકો દ્વારા વિર વછરાજભાઈની ડેરીએ પ્રાર્થના કરી અને આગેવાનોએ થોડો-ઘણો કર લઈને જામ સ્ટેટના બંગલે પહોંચ્યા ત્યારે જામ સ્ટેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બેહ ગામનો કર ભરાઇ ગયો છે. ત્યારે ગામના લોકોનો આ બાબતે સાહેબને પૂછવામાં આવતા સાહેબે જણાવ્યું હતું કે કોઈ ઘોડેસવાર વ્યક્તિ આવીને ભરી ગયા છે. તો ગામના આગેવાનોએ માનેલ કે નક્કી આ કર જુંગીવારા વાછરાભાઈએ ભર્યો છે. જુંગીવારાના મંદિરની સામે આશરે ૨૧ એકર જેટલી જમીન આવેલી છે. કોઈપણ વ્યક્તિ તેમાંથી લાકડું, દાતણ કે બાવળનો કાંટો પણ લઈ જઈ શકતું નથી. જે લોકો લઇ ગયા હતા, તે લોકો પાછા મૂકી ગયાના દાખલા છે. આજે પણ ગામના ધનાણી પરિવારમાં બીડી, હુકો કે ચલમ પીવાતી નથી. ગામ લોકોના મકાન ઉપર બીજાે માળ કરવામાં આવતો નથી. જાતરના આયોજનમાં ચારણ(ગઢવી) સમાજના ભાઈઓ-બહેનોની પરંપરાગત ચારણી રમત વિખ્યાત છે. અહીં જાતરમાં આ રમતની અનેરી જમાવટ જાેવા મળે છે. આ સાથે વાછરાભાઈના મંદિરમાં ખીરનું નિવેદ ધરવામાં આવે છે. આ મંદિરમાં દર વર્ષે નવરાત્રીના પ્રથમ સોમવારે જાતરની ઉજવણી કરવામાં આવે છે. જંગીવારા ધામના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે ગઢવી – ચારણ સમાજ માટે એકતાનું પ્રતિક છે.

error: Content is protected !!