જાફરાબાદના શિયાળ બેટ અને ચાંચ બંદર ગામે માછીમારી જેટી બનશે

0

રાજુલા જાફરાબાદનાં દરિયાકાંઠાના વિસ્તાર માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં માછીમારીને પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો માછીમારો ખૂબ ફાયદો થાય તેમ છે. ત્યારે રાજુલાનાં ધારાસભ્ય અંબરીષભાઈ ડેર સાથે શિયાળ બેટ ટાપુનાં માછીમાર આગેવાનો ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રીને મળી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેમની રજૂઆત એવી હતી કે, (૧) વલસાડ તથા અન્ય બંદરો ઉપર રજીસ્ટ્રેશન(કોલ) થયેલ બોટને જાફરાબાદ બંદર ઉપર નોંધણી કરાવવામાં આવે. (૨) શિયાળ બેટ અને ચાંચ બંદર ઉપર ફિશિંગ જેટી બનાવી. (૩) દરિયાઇ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, (૪) દરિયાકાંઠા નાં ધારાબંદર, જાફરાબાદ, શિયાળ બેટ તથા ચાંચ, ખેરા સહિતનાં ગામોમાં દરિયાઇ મોજાથી થતું ધોવાણ અટકાવવા માટે પૂર સંરક્ષણ દિવાલો બનાવવા માટે મંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી. જેમાં મંત્રી દ્વારા હકારાત્મક જવાબ આપ્યો હતો અને આગામી દિવસોમાં ચાંચ બંદર અને શિયાળ બેટ ઉપર માછીમારો માટે ફિશિંગ જેટી બનાવવા માટે જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે તેમજ વલસાડ તથા અન્ય બંદરોનાં રજીસ્ટ્રેશન(કોલ) બાબતે મત્સ્યોદ્યોગનાં ઉચ્ચ અધિકારીને જરૂરી કાર્યવાહી માટે સૂચના આપી હતી. માછીમારોનો પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું. તેમજ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા ફેસબુક ઉપર અંતમાં લખ્યું હતું કે, “મને સંતોષ એ વાતનો થયો કે, જ્યારે આ ગ્રામ્ય માછીમાર ભાઈઓ એ એવું કહ્યું કે, અમોએ તમારા લીધે પ્રથમ વખત સચિવાલય જાેયું અને વિવિધ વિભાગોના મંત્રીઓને રૂબરૂ મળી અમારા પ્રશ્નો રજૂ કર્યા.” આમ કોઈ પણ સામાન્ય માણસની રજૂઆત ગાંધીનગર ખાતે ચૂંટાયેલા જન પ્રતિનિધિ દ્વારા યોગ્ય રીતે રજૂઆત કરવામાં આવે અને વિધાનસભામાં યોગ્ય પ્રશ્ન ઉઠાવવામાં આવે તો ચોક્કસ પરિણામ મળે છે.

error: Content is protected !!