પશુ કદી બે હાથ જાેડીને માફી માંગી ન શકે પશુ જેવા લોકો પણ કદી બે હાથ જાેડીને કોઈની માફી ન માંગે : નમ્રમુનિ

0

ક્ષમાપના એક યુદ્ધ છે પોતાના અહંકારની સામે, પોતાની વિરૂદ્ધ

“ભૂલ મારી હતી – ઈટ વોઝ માય મીસ્ટેક” આ એક વચનને પ્રગટ કરીને જેની સાથે અળાબનાવ, અબોલા, દ્વેશ કે પ્રોબ્લેમ થયો છે એવી વ્યક્તિ સાથે ક્ષમાપના કરીને અંદરની હળવાશને શુદ્ધ કરતાં કરતાં મીઠાં મધુરા પ્રભુને હૃદયમાં બિરાજમાન કરી લેવાનો પાવન સંદેશ પ્રસરાવીને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજ્વાયેલો પર્વાધિરાજ પર્વનો આજનો સંવત્સરીનો દિવસ અનેક પથ્થરદિલને પણ પ્રેમના જળથી પીગળાવીને ક્ષમાપના કરી લેવા માટે સંકલ્પબદ્ધ કરાવી ગયો હતો. આ વચન તો પરમ ગુરૂદેવ બસ મારા માટે જ ફરમાવી રહ્યાં છે, મારા હિત માટે જ કહી રહ્યાં છે એવી આત્મીયતાની અનુભૂતિ કરાવતી પરમ ગુરૂદેવના શ્રીમુખેથી વહેતી પરમ સત્ય વાણી ધારામાં પર્વના અંતિમ દિને, ક્ષમાધર્મનો પાવન બોધ પામવા ન માત્ર જૈન ભાવિકો પરંતુ બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય, પંજાબી, ભાનુશાલી, વૈષ્ણવ આદિ અને જાતિના ભાવિકો સમગ્ર ભારતના ખૂણે ખૂણેથી તેમજ વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, નાઈરોબી, સિંગાપોર, દુબઈ, મલેશિયા, અબુધાબી, યુગાન્ડા, સુદાન આદિ ૧૪૦થી પણ વધુ દેશોના મળીને લાખો લાખો ભાવિકોએ જાેડાઈને ભવાંતરમાં પોતાના આત્માના કલ્યાણનું રિઝર્વેશન કરાવી દીધું હતું. આ અવસરે પરમ ગુરૂદેવે ફરમાવ્યું હતું કે, માફી માંગવામાં વીરતા સમાયેલી છે. માફી માંગીને કોઈ નાનું નથી બની જતું માફી માંગનારા મહાન હોય. હું તારી ભૂલને ભૂલી જાઉં તું મારી ભૂલને ભૂલી જાય ન તારી જીત કે ન મારી જીત પણ એકબીજાને ક્ષમા કરીને હૃદયમાં પ્રેમ અને ક્ષમાની સફેદ ધ્વજા લહેરાવતી સવંત્સરી ઉજવીને ભવ સાર્થક કરી લેવાનો સંદેશ અનંત તીર્થંકર પરમાત્મા આપણને આપી ગયાં છે. પરમાત્મા કહે છે, ક્ષમાપના એક યુદ્ધ છે પોતાના જ અહંકારની વિરૂધ્ધ લડવા માટેનો અને એ યુદ્ધમાં જે વિજયી બને છે તે જ શુદ્ધ બનવાનો, બુદ્ધ બનવાનો અધિકારી બને છે. ક્ષમા નામના આ યુદ્ધની શરૂઆત પોતાની ભૂલની કબૂલાતથી થતી હોય છે. પોતાની ભૂલને સ્વીકારીને સામે ચાલીને ક્ષમાપના એ જ કરી શકે છે જે પોતાના અહંકારને ત્યજી શકે છે. જે પોતાની ભૂલને રિયલાઈઝ કરી શકે છે એની દરેક ભૂલ ધોવાઈ જતી હોય છે. પરંતુ જેને પોતાની ભૂલ રિયલાઇઝ નથી થતી એની ભૂલોનો ગુણાકાર થતો રહે છે. માટે જ, જેને ક્ષમાપના કહેતા વાર નથી લાગતી જેને સોરી કહેતાં વાર નથી લાગતી એનો મોક્ષ થતાં પણ વાર નથી લાગતી. કઠોર હૃદયને પણ કંચન બનાવી દેનારા પરમ ગુરૂદેવના આવા વચનો સાથે આ અવસરે ક્ષમાભાવ સાથે સંબંધોને સુધારી લેવાનો દ્વેષભાવને વિસારી દેવાની પ્રેરણાત્મક આપતા અદભુત દૃશ્યાંકનની પ્રસ્તુતિ અને હૃદયસ્પર્શી દૃશ્યાંકન “સફેદ ધ્વજા”ની પ્રસ્તુતિ નિહાળીને લાખો હૃદયમાં ક્ષમા અને પ્રેમની ધ્વજા લહેરાઈ ગઈ હતી. આ અવસરે જૈન દર્શનના પાયાના સિદ્ધાંતોનો પરિચય કરાવતી પુસ્તિકા “જૈન ધર્મ”નું વિમોચન કરવામાં આવતાં જયકાર છવાયો હતો. ક્ષમા ધર્મની લહેરાતી ધ્વજાઓ સાથે નેમ દરબારનું વિશાળ સામિયાણું ૫૦ ઉપવાસ, ૪૫ ઉપવાસ, ૩૫ ઉપવાસ ,૨૫ માસક્ષમણ તપ, ૨૫ ઉપવાસ, ૨૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, નવ ઉપવાસ, ૧૫૦થી વધુ અઠ્ઠાઈ તપ, ધર્મચક્ર તપ, સિદ્ધિ તપની આરાધના કરી રહેલા સેંકડો સેંકડો તપસ્વી આરાધકોની અનુમોદનાના ગાનથી ગુંજી ઉઠ્‌યો હતો. આઠ આઠ દિવસ સુધી હજારો- લાખો હૃદયને અહિંસા- દયા- કરૂણા- તપ – ત્યાગ – ધર્મ ભાવના અને પ્રભુ પ્રેમના અમીટ રંગે રંગીને, ગિરનાર ધરા ઉપર કદી ન વિસારી શકાય એવો ભવ્યાતિભવ્ય અવિસ્મરણીય ઇતિહાસ રચીને ગાજતા ગુંજતા ઉજવાયેલાં આ પર્વાધિરાજ પર્વ સર્વત્ર પ્રભુ ધર્મની ગૌરવવંતી ધજા પતાકા લહેરાવીને ભાવિમાં અનેક જીવોની ભગવંતતાની નિયતિ નિશ્ચય કરતાં વિરામ પામ્યાં હતાં. સમગ્ર પર્વાધિરાજ પર્વના દરેકે દરેક આયોજનો હજારો ભાવિકો માટેની દરેકે દરેક વ્યવસ્થાનો લાભ તેમજ પર્વની પૂર્ણાહુતિ બાદ સેંકડો તપસ્વી ભાવિકોના પારણાનો અનન્ય લાભ લઈને અવંતિભાઈ કાંકરીયા પરિવાર ધન્યાતિધન્ય બન્યાં હતાં. આજે ૨૦/૯ બુધવારે સવારના ૯ કલાકે નેમ દરબારના સામિયાણામાં સેંકડો તપસ્વીઓના પારણાનો અવસર યોજાયો હતો. એ સાથે જ રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના ૫૩માં જન્મોત્સવ નિમિત્તે આગામી ૨૪/૯ રવિવારના દિને માનવતા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ માનવતા મહોત્સવમાં પરમ ગુરુદેવને જન્મોત્સવની શુભેચ્છા-વંદના અર્પણ કરવા તેમજ જીવદયા અને માનવતાની અનુમોદના કરવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા પારસધામ ગિરનાર તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

error: Content is protected !!