શુક્રવારે શિવયોગમાં મહાશિવરાત્રી ઉત્તમ : શિવ, સિધ્ધી, સાધ્ય

0


મહા વદ તેરસને શુક્રવાર તારીખ ૮-૩-૨૪ આ દિવસે મહા શિવરાત્રી છે. યોગ ૨૬ હોય છે તેમાં શિવ નામનો યોગ શિવભક્તિ માટે ઉત્તમ ગણવામાં આવે છે. તે ઉપરાંત શિવ, સિધ્ધિ, સાધ્ય આ ત્રણ યોગનો ક્રમ આવે છે અને આ ત્રણેય યોગ સિદ્ધિ મેળવવા માટે ઉત્તમ ગણવામાં આવે છે. આમ આ વર્ષે શુક્રવારે શિવરાત્રીના દિવસે આખો દિવસ તથા રાત્રીના ૧૨ઃ૪૬ કલાક સુધી શિવ નામનો યોગ ઉત્તમ છે. શુક્રવારે સવારે ૧૦ઃ૪૧ સુધી શ્રાવણ નક્ષત્ર પણ ઉત્તમ છે. તે ઉપરાંત શનિવારે સિધ્ધી નામનો યોગ છે જ્યારે રવિવારે અમાસના દિવસે સાધ્ય નામનો યોગ છે. આમ શિવરાત્રીથી શરૂ કરી અને રવિવારે અમાસના દિવસ સુધી શિવજીની ઉપાસના કરવી. આ વર્ષે ઉત્તમ ફળ આપનાર બનશે અને સિદ્ધિ આપનાર બનશે. જીવનમાં કોઈપણ મુસીબત હોય તો તે દૂર કરવા માટે આ વર્ષે શિવરાત્રીથી રવિવારે અમાસ સુધી શિવજીની કોઈપણ ઉપાસના કરવી અથવા તો ૐ નમઃ શિવાય પંચાક્ષર મંત્રની ૨૧ અથવા દરરોજ ૧૦૮ ત્રણ દિવસ સુધી માળા કરવી ઉત્તમ ફળ આપનાર અને સિદ્ધિ આપનાર બનશે. મુસીબતો દૂર થશે. મૃત્યુંજય મંત્રના જપ કરી શકાય છે. આ ત્રણ દિવસ દરમ્યાન ઉપવાસ અથવા એકટાણું રહેવું.
મહા શિવરાત્રીના દિવસે આઠ પ્રહરની પૂજામાં મુખ્ય રાત્રીના ચાર પ્રહરની પૂજા મહત્વની ગણાય છે. રાત્રીના ચાર પ્રહરની પૂજા
(૧) પહેલા પ્રહર ઃ મહાદેવજી ઉપર જળધારા કરી અને ચંદન – ચોખા કમળ, કરેણના પુષ્ય વડે પૂજા કરવી નૈવેદ્યમા સુખડી ધરાવવી.
(૨) બીજા પ્રહરની પૂજા ઃ મહાદેવજીને જળ ચડાવી બીલીપત્ર અર્પણ કરવા તથા શ્રીફળ અર્પણ કરવું.
(૩) ત્રીજા પ્રહરમાં ઃ મહાદેવજીને દુધ તથા જળ ચડાવી ઘઉં તથા આકડાના પુષ્પો અર્પણ કરવા તથા માલ પુવાનું નૈવેદ્ય ચૂરમાના લાડુ ધરવા. બિલિપત્ર અર્પણ કરવા.
(૪) ચોથા પ્રહરે ઃ જળ ચડાવ્યા બાદ અડદ, મગ, સાત ધાન્ય ચડાવવા તથા બિલીપત્ર ચડાવવા દૂધના મિષ્ઠાનનું નૈવેદ્ય ધરાવું.
શિવપૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે. શિવલિંગમાં મૂળમાં બ્રહ્મા મધ્ય વિષ્ણુ અને ઉપર સ્વયં શિવજી છે. આમ શિવલિંગની પૂજા કરવાથી ત્રણેય ભગવાનની પૂજાનું ફળ મળે છે .
અલગ અલગ દ્રવ્યથી મળતું ફળ
સંતાન પ્રાપ્તિ માટે ચોખાથી, ધનની પ્રાપ્તિ માટે બિલીપત્રથી, આયુષ્ય વધારવા દુર્વાથી, રાજયોગ માટે ઘીથી, સર્વ મનોકામના સિદ્ધિ માટે અને નવગ્રહની શાંતિ માટે કાળ તલથી, સુખી દામ્પત્ય જીવન માટે સાકરના પાણીથી અને ડાયાબીટીસ જેવી બીમારી દુર ઓછી કરવા શેરડીના રસથી શિવલિંગ ઉપર અભિષેક કરવો તથા ધન પ્રાપ્તિ માટે શિવજીને બિલીપત્ર ચઢાવવા.
રાશી પ્રમાણે શિવજીની પૂજા
(૧) મેષ રાશી(અ,લ,ઇ) ઃ શેરડીના રસથી અભિષેક કરવો તથા સુખડીનું નેવૈદ્ય ધરાવવું.
(૨) વૃષભ રાશી(બ,વ,ઉ) ઃ સાકરવાળા પાણી થી દુધથી અભિષેક કરવો પેંડાનું નેવેદ્ય ધરાવવું.
(૩) મિથુન રાશી(ક, છ, ઘ) ઃ કાળા તલથી તથા દુધથી અભિષેક કરવો સકરીયાનો શીરો ધરાવવો.
(૪) કર્ક રાશી(ડ, હ) ઃ દુધથી તથા સાકરવાળા પાણીથી અભિષેક કરવો, નૈવેદ્યમાં રાજગરાનો શિરો ધરાવવો.
(૫) સિંહ રાશી(મ,ટ) ઃ ઘી તથા ચણાની દાળથી અભિષેક કરવો, ચણાની દાળની બનેલ વસ્તુનું નૈવૈદ્ય ધરાવવું.
(૬) કન્યા રાશી(પ,ઠ,ણ) ઃ મધથી તથા દુધથી અભિષેક કરવો, નૈવેદ્યમાં દુધ પાક ધરાવવો.
(૭) તુલા રાશી(ર,ત) ઃ શેરડીના રસથી અભિષેક કરવો, દુધની મીઠાઈ ધરાવવી.
(૮) વૃશ્ચિક રાશી(ન,ય) ઃ બીલીપત્ર તથા દુધથી અભિષેક કરવો, નૈવેદ્યમાં તલની વસ્તુ ધરાવવી.
(૯) ધન રાશી(ભ,ફ,ધ) ઃ શેરડીનો રસ તથા સાકરવાળુ પાણીથી અભિષેક કરવો, નૈવેદ્યમાં અળદીયા ધરાવવા.
(૧૦) મકર રાશી(ખ,જ) ઃ કાળા તલથી અભિષેક કરવો, માલપૂવા ધરાવી શકાય.
(૧૧) કુંભ રાશી(ગ,સ,શ) ઃ કાળા તલ સાકરવાળુ જળ તથા મધથી અભિષેક કરવો, અડદીયા ધરાવવા.
(૧૨) મીન રાશી(દ,ચ,ઝ,થ) ઃ ઘી તથા દુર્વાથી તથા દુધથી અભિષેક કરવો, નેવૈદ્યમાં પીળી મીઠાઈ ધરવી.
નિશીથ કાળ રાત્રે ૧૨ઃ૩૩ થી ૧ઃ૧૧ સુધી છે. આ સમયે પણ શિવજી ઉપર રૂદ્રી પૂજા અભિષેક કરાવી શકાય છે અને ઉત્તમ ફળ આપનાર છે.
રાત્રીના ચાર પ્રહરની વિગત(સૌરાષ્ટ્ર પ્રમાણે સમય)
પ્રથમ પ્રહર રાત્રે ૬ઃ૫૩ થી ૯.૫૫, બીજાે પ્રહર રાત્રે ૧૦ઃ૫૫ થી ૧૨ઃ૫૭, ત્રીજાે પ્રહર રાત્રે ૧૨ઃ૫૭ થી ૩ઃ૫૯, ચોથો પ્રહર રાત્રે ૩ઃ૫૯ થી ૭ઃ૦૨ સુધી છે.
– શાસ્ત્રી રાજદીપ જાેષી(વેદાંત રત્ન)

error: Content is protected !!