ઈરાન પર ભીષણ હુમલા કરીને પથ્થર યુગમાં ધકેલીશું : ટ્રમ્પ
ટ્રમ્પના ૧૯ મિનીટના રાષ્ટ્રજાેગ સંબોધનથી વિશ્વમાં હડકંપ : યુધ્ધ વધુ તીવ્ર બનશે
વોશિંગ્ટન તા.ર :
છેલ્લા ૩૪ દિવસથી ચાલી રહેલા ઈરાન પરના અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત આક્રમણમાં અમારો હેતુ પુરો થયો છે અને ઈરાનની અણુ મિસાઈલ ક્ષમતા ખત્મ કરી છે તેવા વિધાનો કરી યુદ્ધ હવે પુરુ થવાની તૈયારીમાં છે તેવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિધાનોમાં તેઓએ અચાનક જ યુ-ટર્ન લેતા હવે ઈરાનના તેલ ભંડારો, વિજગ્રીડ સહિતના આર્થિક મથકો પર વધુ ભીષણ હળવા કરવાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે ઈરાનને ફરી પાષાણ યુગમાં લાવી દેશું.
ગઈકાલથી જ ટ્રમ્પે તેઓ દેશને સંબોધવા જઈ રહ્યા છે તેવી જાહેરાત કરી ઈરાન યુદ્ધ મુદે સસ્પેન્સ વધારી દીધુ હતુ તો બીજી તરફ યુદ્ધ વિરામની જાહેરાત કરશે તેવી આશા સર્જાઈ હતી. આજે ભારતીય સમય મુજબ સવારે ૮.૩૦ કલાકે ૧૯ મીનીટના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે, તેમના જૂનો દુશ્મન ઈરાન ખત્મ થઈ ગયું છે.
અમેરિકાની સૈન્ય તાકાત વિશ્વએ જોઈ છે અને અમારુ મિશન પુરુ થવામાં છે તેવી જાહેરાતની સાથે ફરી જાહેર કર્યુ કે ઈરાન જો વાટાઘાટ માટે આગળ નહી આવે તો જંગ ચાલુ છે તેવું સ્પષ્ટ જણાવતા ઉમેર્યુ કે ઈરાનમાં મોટા ભાગનું નેતૃત્વ ખત્મ થયુ છે અને તેમના મોત સાથે ઈરાનમાં નેતૃત્વ પરિવર્તન થઈ ગયુ છે. નવું નેતૃત્વ ઓછું કટ્ટરવાદી અને વધુ જવાબદાર છે. જે વાટાઘાટ માટે તૈયાર છે. ટ્રમ્પે જણાવ્યું કે અમો વિજયની નજીક છીએ પણ આગામી બે-ત્રણ સપ્તાહમાં ઈરાન પર વધુ શક્તિશાળી હુમલા કરીશું.
ટ્રમ્પે દેશમાં પણ તેમના પર યુદ્ધ ખત્મ કરવા જે દબાણ છે તે સ્વીકારતા કહ્યું કે અમેરિકી જનતા પાસે ધીરજ છે કે કેમ તે અંગે હું ચોકકસ નથી. ટ્રમ્પે કહ્યું કે જો હવે ઈરાન સમાધાન-વાટાઘાટ નહી કરે તો તેને ખત્મ કરી દેશું.


