ગિરનાર બચાવો અભિયાન: જૂનાગઢમાં સંતોનો શક્તિશાળી સંદેશ
અતિક્રમણ મુદ્દે રાષ્ટ્રપતિને આવેદન, સરકારને એક મહિનાનું અલ્ટીમેટમ
જૂનાગઢ તા. 23
જૂનાગઢમાં ગિરનાર સંરક્ષણ મુદ્દે આજે સનાતન ધર્મના સંતો અને વિવિધ સંપ્રદાયોએ એકતા દાખવી શક્તિશાળી અવાજ ઉઠાવ્યો. ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર સુપરત કર્યું.
આવેદનમાં ગિરનાર વિસ્તારમાં થઈ રહેલા કથિત અતિક્રમણ, પર્યાવરણના ભંગ અને ચોક્કસ સમુદાયને જમીન ફાળવણી મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. સંતોનો આરોપ છે કે જંગલ વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામ અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
સનાતન સંરક્ષણ સમિતિના રચનાનો નિર્ણય પણ લેવાયો છે, જે ગિરનારની આસ્થા અને પરંપરાના રક્ષણ માટે કાર્ય કરશે. આ અભિયાનમાં કિન્નર સમાજ સહિત દેશભરના સંતો જોડાયા હતા.
સંતોએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે જો એક મહિનામાં યોગ્ય પગલાં નહીં લેવાય, તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.





