ખંભાળિયાના વડત્રા ગામે પાણીમાં ડૂબી જતા બે ભાઈઓના કરૂણ મોત

0

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે શનિવારે સવારે પરપ્રાંતીય શ્રમિક પરિવારના બે સગા ભાઈઓ રમતા રમતા પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે બન્નેના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. ખંભાળિયા પંથકમાં અરેરાટી જગાવતા આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા ગોવિંદભાઈ નામના એક આસામીની વાડીમાં રહી અને મજૂરી કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ગામના વતની સુરેશ મંગાભાઈ નાયકા નામના ત્રીસ વર્ષના આદિવાસી યુવાન તેમના પત્ની નંદાબેન, બે બાળકો વિજય (ઉ. વ. ૧૧) અને સંજય (ઉ. વ. ૭) સહિતના પરિવાર સાથે વાડીની બાજુમાં એક ઝુંપડું બાંધીને રહે છે. શનિવારે સવારે સુરેશભાઈ તથા તેમના પત્ની તેમના બંને પુત્રો વિજય અને સંજયને ઘરે રાખીને નજીકની વાડીએ મજૂરી કામ કરવા ગયા હતા. બાદમાં ૧૧ વાગ્યે સુરેશભાઈના પત્ની નંદાબેન ઘરે પાણી પીવા આવ્યા અને જાયું તો બંને સંતાનો ઘરમાં હાજર ન હતા તેથી હાંફળા ફાંફળા બની ગયેલા નંદાબેને તેમના પતિ સુરેશભાઈને જાણ કરતાં વાડી માલિક ગોવિંદભાઈ વિગેરે આ સ્થળે દોડી આવ્યા હતા. શ્રમિક દંપતીની સાથે વાડી માલિક તથા આસપાસના રહીશોએ બન્ને બાળકો વિજય તથા સંજયની શોધખોળ કરતા તેઓ વાડીથી થોડે દૂર આવેલા તળાવ નજીક પહોંચ્યા હતા જયાં ગારામાં ઉપરોક્ત બન્ને બાળકોના પગના નિશાન જોવા મળતા તેઓએ તળાવના ખાડામાં શોધખોળ કરી હતી અને આ સ્થળે જતા તળાવના પાણીમાં ડૂબી ગયેલી હાલતના બન્ને સંતાનો મૂર્છિત હાલતમાં મળી આવ્યા હતા. બન્નેને પાણીમાંથી કાઢી, અને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. શ્રમિક પરિવારના બન્ને સંતાનો એક સાથે અકાળે કાળનો કોળિયો બની જતા આ દંપત્તિનું કરૂણ આક્રંદ ભારે હૃદયદ્રાવક બની રહ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!