આવતીકાલથી શ્રાવણ માસનો મંગલમય પ્રારંભ થશે : ભક્તો ભગવાન શિવજીની ભક્તિમાં લીન બનશે

0

દેવાધિદેવ એવા ભગવાન ભોળાનાથ, શિવજીની પૂજા ભક્તિ અને મહિમા વર્ણવતા પવિત્ર શ્રાવણ માસનો શ્રાવણસુદ એકમ તા.ર૧-૭-ર૦ર૦ અને આવતીકાલે મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ શરૂ થતાં જ લોકો અને ભાવિકો ભગવાન શિવજીની ભક્તિમાં લીન બની જશે. આ વર્ષે કોરોનાની મહામારીનાં સંકટનાં સમયગાળામાં સમગ્ર ભારતમાં માર્ચ માસથી જ આવનારા તમામ તહેવારો દરેક સમાજનાં શાંતિપૂર્ણ, સાદાઈથી, સામાજીક અંતર સોશ્યલ ડિસ્ટન્ડ રાખીને અને કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ ઉજવાયા હતાં અને સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. હિંદુ ધર્મમાં દરેક દેવોમાં સૌથી ઉચું સ્થાન જાે કોઈનું હોય તો તે દેવોના દેવ મહાદેવ ભોળાનાથ ભગવાન શંકરનું ઉચ્ચત્તમ સ્થાન છે. જેને દેવાધિદેવનું બિરૂંદ પણ આપવામાં આવેલ છે. ભગવાન શંકર ભોળીયા દેવ તરીકે પણ સુવિખ્યાત છે. શરીરના અંગો ઉપર ભ્રષ્મ, ગળામાં સર્પોની માળા અને નિરંકાર, નિરા ભીમાની અને તાત્કાલિક રીઝી જાય તેવા દેવોના દેવ એટલે ભગવાન શંકર. ભગવાન શિવજીની પૂજાનું અનેરૂં મહાત્મય અને મહિમા છે. ભગવાનશ્રી રામે પણ સંકટનાં સમયે રામેશ્વર મહાદેવની પૂજા કરી હતી અને ત્યારબાદ રાવણ સાથેનાં યુધ્ધમાં તેમનો વિજય થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવાન શિવજીની આરાધના કરી હતી. કાલ્યાવન નામનો રાક્ષસ તેમની પાછળ પડ્યો હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ રેવતી નદીનાં કિનારે આવેલાં ઋષિનાં આશ્રમમાં ગયા હતા અને ત્યાં સવાલાખ બિલીપત્રનાં પૂંજ ચડાવી અને ભગવાન શિવજીની પૂજા કરી હતી અને સ્વયંભૂ ભગવાન શંકર પ્રગટ થયા હતા. આજે પણ બિલખા ગામ ખાતે નદીનાં કાંઠે સ્વયંભૂ બિલનાથ મહાદેવ બિરાજે છે. બિલીપત્રનાં પૂંજમાંથી પ્રગટ થયેલાં મહાદેવ બિલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ભગવાન શિવજીએ સ્વયંભૂ પ્રગટ થઈ અને ભગવાન કૃષ્ણને વરદાન આપ્યું હતું અને કાલ્યાવન રાક્ષસનો નાશનો ઉપાય બતાવ્યો હતો. અનેક-અનેક એવી કથાઓ છે કે ભગવાન શિવજીએ પ્રસન્ન થઈ અને દુઃખીયાનાં દુઃખ દુર કરેલ છે. કુમારીકાઓ પણ સારો વર અને ભરથાર મેળવવા શિવજીની પૂજા કરે છે અને ભગવાન શિવ-પાર્વતીની પૂજા-અર્ચન કરે છે. સાકરીયા સોમવારનું વ્રત કરે છે અને ભોળાનાથ દરેકની મનોકામનાં પૂર્ણ કરે છે આવા શિવજીનો શ્રાવણ માસનો મહિનો અને ભક્તિનો મહિમા વર્ણવતો શ્રાવણ માસ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ શહેરમાં આવેલાં બિલનાથ મહાદેવ મંદિર, ભૂતનાથ મહાદેવ મંદિર, પંચેશ્વર મહાદેવ, આત્મેશ્વર મહાદેવ મંદિર, ભવનાથ મહાદેવ મંદિર, ફુલનાથ મહાદેવ મંદિર, સર્વેશ્વર મહાદેવ મંદિર, ભોમેશ્વર મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, જટાશંકર મહાદેવ મંદિર, રામનાથ મહાદેવ મંદિર, મંગલેશ્વર મહાદેવ મંદિર સહિતનાં જ્યાં પણ ભગવાન શંકરનાં મંદિરો આવેલા છે ત્યાં વિશેષ પૂજા થવાની છે. આ ઉપરાંત ગિર-સોમનાથ જીલ્લાનાં સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે પણ પૂજન-વિધી સહિતનાં કાર્યક્રમો યોજાશે. જાે કે આ વર્ષે કોરોનાની મહામારીનાં સંક્રમણ કાળમાં ભયજનક સ્થિતી હોય જેથી સામાજીક અંતર અને સાદાઈથી અને સરકારશ્રીની ગાઈડલાઈન અને કોવિડ-૧૯ અંતર્ગત વધુ ભીડ ન થાય તે માટે અપીલો પણ કરવામાં આવી છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરનાં લોકો ભગવાન શિવજીનાં શરણે જઈ અને સમગ્ર વિશ્વને કોરોનાની મહામારીમાંથી મુક્ત કરાવે તેવી કામનાં સાથે શિવમય બનવાનો અવસર પ્રાપ્ત થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!