માંગરોળ તાલુકાનાં ચંદવાણાનાં ખેડૂતનાં પુત્રએ બનાવેલા ૧૭ પેઈન્ટિંગ બેલ્જિયમનાં મ્યુઝિયમે ખરીદયા

0

સંઘર્ષ, કૌશલ્ય અને નિષ્ઠા સફળતાની કેડી કંડારે છે. જાણીને નવાઈ લાગશે કે એક સમયે ફાઈન આર્ટસથી તદ્દન અજાણ એવા માંગરોળ તાલુકાના ચંદવાણાના ખેડૂતના પુત્રએ બનાવેલા ૧૭ પેઈન્ટિંગ બેલ્જિયમના મ્યુઝિયમે ખરીદયા છે. એટલું જ નહીં, લોકડાઉનના સમય દરમ્યાન પેઈન્ટિંગ્સનું ઓનલાઈન વંેચાણ કરી ચાર લાખની કમાણી કરી છે. ચારેક હજારની વસ્તી ધરાવતા ચંદવાણા ગામમાં અરજનભાઈ ડોડીયા ખેતી સાથે જોડાયેલા છે. તેના પુત્ર ભરત ડોડીયાને ડ્રોઈંગનો શોખ ખરો, પણ ઊંડાણપૂર્વકની સમજ નહીં. તેમ છતાં ધો.૧૦ પછી વિધાનગર ખાતે ફાઈન આર્ટસ ડિપ્લોમા કોર્ષમાં એડમીશન લીધું હતું. માત્ર સાત, આઠ ધોરણ ભણેલા માતા-પિતાને તો આ ફેકલ્ટી શું છે ? તે ખ્યાલ ન હોવા છતાં પુત્રનો ર્નિણય યોગ્ય જ હશે એમ માની મનને મનાવ્યું હતું. અભ્યાસ દરમ્યાન ભરત ડોડીયાને ખબર પડી કે એશીયાની નામાંકિત વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ધો.૧૨ પછી ડિગ્રી કોર્ષ થાય છે. જેમાં માત્ર ૩૦ વિદ્યાર્થીઓનું જ સિલેક્શન કરવામાં આવે છે. ત્યારબાદ ફોર્મ ભર્યું હતું. પરંતુ ખરી કસોટી હજુ બાકી હતી. બન્યું એવું કે વિધાનગર ખાતે બીજા વર્ષની પરીક્ષા અને ધો.૧૨ની પરીક્ષાની તારીખો એકસાથે હતી. નાછુટકે ગમે તે એક વિકલ્પની જ પસંદગી કરવી પડે તેમ હતી. તેમ છતાં હિંમત હાર્યા વિના ભરત ડોડીયાએ સતત છ દિવસ બસમાં જ વાંચન સાથે વિધાનગરથી માંગરોળ અને માંગરોળથી વિધાનગર એમ ૪૦૦ કિ.મિ.નું અપડાઉન કરી બંને પરીક્ષાઓ આપી હતી. ધો.૧૨માં ૭૫% સાથે બરોડાની યુનિ.માં એપ્લાય કરતા ત્યાં સિલેકશન થયા બાદ ફાઈન આર્ટસમાં બેચલર અને ત્યારબાદ માસ્ટર ડીગ્રી મેળવી હતી. મુખ્યત્વે સૌરાષ્ટ્રના લોકોની જીવનશૈલી, રીતરિવાજો, પરંપરા તેમજ ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત આ યુવાનના ચિત્રો ભારતના દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ગોવા, અમદાવાદ સહિતના શહેરોમાં તેમજ રોમાનીયા, ચીન, બાંગ્લાદેશ, બેલ્જિયમ સહિતના દેશોમાં આયોજીત એક્ઝિબિશન, ગેલેરીમાં પ્રદર્શિત થયા છે. તાજેતરમાં બેલ્જિયમના મ્યુઝિયમ ઓફ સેક્રેડ આર્ટ દ્વારા આયોજીત છ માસ સુધી ચાલનારા એક્ઝબિશનમાં ભારતના ૯ આર્ટિસ્ટના ચિત્રોને પસંદ કરાયા છે. જેમાં ભરતના પુષ્પક, જટાયુવધ, કલ્પવૃક્ષ સહિતના ૧૭ પેઈન્ટિંગ પ્રદર્શિત થશે. આગામી સમયમાં ભારતના એક મહાન ક્રિકેટરની એનજીઓ ભરત ડોડીયાએ બનાવેલા નવ પેઈન્ટિંગનું ઓનલાઈન ઓક્શન કરશે. જેમાંથી થનારી આવક પૈકી ૫૦% આર્ટિસ્ટને અને ૫૦% રકમ અનાથ બાળકો અને જરૂરીયાતમંદો માટે ખર્ચાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!