માંગરોળ નગરપાલિકાનાં પ્રમુખ તરીકે કોંગ્રેસના મો. હુસેન ઝાલા ઉપપ્રમુખ તરીકે ભાજપના મનોજ વિઠ્ઠલાણીની બિનહરીફ વરણી

0

માંગરોળ નગરપાલીકામાં ભાજપ કોંગ્રેસની ભાગીદારીથી સોમવારે નવી બોડીની રચના કરવામાં આવી. કેશોદ પ્રાંત અધિકારી રેખાબેન સરવૈયાના નેતૃત્વમાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જેમાં કોંગ્રેસના ૧૦, ભાજપના ૧૪ અને ૭ અપક્ષો એમ કુલ ૩૧ સદસ્યોની હાજરીમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના મો. હુસેન ઝાલા અને ઉપપ્રમુખ તરીકે ભાજપના મનોજ વિઠ્ઠલાણીની બીન હરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના ૪ અને ૧ અપક્ષ એમ પાંચ સદસ્યો ગેરહાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી માંગરોળ પાલિકાની નવી બોડીની રચનાને લઈને કોંગ્રેસનાં જ બે ગૃપોમાં હોદ્દાની હૂંસાતૂંસી ચાલી રહી હતી. જ્યારે બીજી બાજુ ભાજપમાં પણ બે ફાડા પડી ગયા હોવાની વાતો વહેતી થઈ હતી. પરંતુ ચૂંટણીમાં કોંગ્રેસના ૪ અને ૧ અપક્ષ એમ ૫ સદસ્યો ગેરહાજર રહી કોંગ્રેસનો ચોક્કસ જુથવાદ બતાવ્યો હતો. જ્યારે આ સિવાય કોઈ જુથવાદ કે વિરોધ પક્ષ જોવા મળ્યો નહી. કોંગ્રેસના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખ સામે એક પણ અપક્ષ કે ભાજપ-કોંગ્રેસના જુથમાંથી પણ એકેય સદસ્યએ દાવેદારી નોંધાવી નહોતી. જે એક રીતે સિધા સમર્થનમાં જ હોય તેમ તમામે મૌન ધારણ કરી લીધું હતું. ભાજપના જુથવાદની વાતો પણ ફક્ત રાજકીય તરકટ હોય તેમ ભાજપના તમામ સભ્યો હાજર હોવા છતાં એક રીતે તેઓમાં કોઈ જુથવાદ જ ના હોય તેમ કોઈએ પણ દાવેદારી નોંધાવી નહોતી. હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષોના સહીયારા સાથથી બનેલી આ બોડીની સામે જનતાની સમસ્યાઓ માટે વિરોધ પક્ષમાં કોણ રહેશે ? કે પછી ગત અઢી વર્ષમાં વિરોધ પક્ષમાં રહેલા ભાજપના મૌન સમર્થનની જેમ આ ટર્મમાં પણ ભાજપ કોંગ્રેસની ભાગીદારીમાં માંગરોળની જનતાના ભાગે એજ ગંદકી, તૂટેલા ભંગાર રસ્તાઓ અને કાદવકીચડના ઢગલાઓ જેવી અઢળક સમસ્યાઓ ઊભી ને ઊભી જ રહેશે ? માંગરોળમાં છેલ્લા કેટલાક વર્ષથી રાજકારણએ એવો મોડ લિધો છે કે રાજકીય ચોવટીયાઓએ જનતાને ફક્ત મતના અંગુઠા બતાવી દિધા છે. માંગરોળની જનતા વર્ષોથી સારા રોડ રસ્તાઓ, વ્યવસ્થિત શાકભાજી માર્કેટ, રેગ્યુલાઈસ ત્રોફા માર્કેટ, ફીશ માર્કેટ ઝંખી રહી છે. પરંતુ માંગરોળના વિચલિત રાજકારણના લિધે આ સુખાકારી તો દૂર પાલિકા, પીજીવીસીએલ અને મામલતદાર સહિતની કચેરીઓમાં ઓફિશ્યલી કામગીરી માટે પણ કાગલૂદી કરતી બેબસ જોવા મળે છે. માંગરોળમાં છેલ્લા એક દાયકાથી ગટર યોજના બહાના હેઠળ કોઈ રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. વર્ષોથી કોંગ્રેસના ધારાસભ્ય ગટર યોજનાની ફાઈલ લઈને ફરી રહ્યા છે. પરંતુ સોશ્યલ મિડિયામાં ધારાસભ્યની રજૂઆતના લેટર વાયરલ થવા સિવાય કોઇ ભૂંજાે પાપડ ભાંગ્યો નહી. પીજીવીસીએલની અઢળક સમસ્યાઓથી ત્રસ્ત માંગરોળની જનતાની વહારે ભાજપ કોંગ્રેસનો એકપણ રાજકીય નેતા બહાર આવ્યો નહી. વર્ષોથી ખખડધજ હાલતમાં પડેલા રસ્તાઓ ઉપર પેચવર્કના નામે ડામરની પોપડીઓ ચડાવી જનતાને વહાલા થવા પ્રયાસ જરૂર થયો પરંતુ એક જ વરસાદમાં એ પાપના પોપડાઓ તણાઈ જતા ડામરની ગુણવત્તાની પોલ ખોલી ગઈ હતી. શહેરમાં એક પણ રસ્તો સલામત નથી કેટલાક રસ્તાઓમાં જીવલેણ ખાડાઓ અને તળાવો બની જતા રાહદારીઓના જીવનો પણ જોખમ ઉભું થયું છે. શહેરની નવાબી કાળની એકમાત્ર શાકભાજી માર્કેટ પાલિકા સત્તાધીશોના અનેક લોલીપોપ વચ્ચે આજે પણ જર્જરીત હાલત પડી છે. ફીશમાર્કેટ ઉપર સ્લેબના છાપરા સિવાય કોઈ સુવિધા નથી. શહેરનો કચરો ઠાલવવાની જગ્યાના રાજકીય નૌટકીમા પાલિકાનપાણી સાબિત થતા ઠેર ઠેર કચરો અને ગંદકીના ઢગલા ખડકાઈ ગયા હતા. છતા જાણે ભાજપને આ શહેરની જનતા સાથે જાણે કાંઈ લેવા દેવા ના હોય તેમ સાંસદ સહિત એક પણ ભાજપનો નેતા જનતાની વહારે આવ્યો નહી. માંગરોળની જનતાની અઢળક સમસ્યાઓને નેવે મૂકી ફક્ત અને ફક્ત હોદ્દાઓ અને સત્તાઓ ઉપર બિરાજમાન થવા ભાજપ કોંગ્રેસની એકતાથી માંગરોળની જનતા હતાશામાં ધકેલાઈ ગઇ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!