જૂનાગઢના સુખનાથચોકમાં પાંચ વર્ષ પહેલાં થયેલી હત્યાના કેસમાં ૪ આરોપીઓને આજીવન કારાવાસ

0

જૂનાગઢના સુખનાથ ચોકમાં પાંચ વર્ષ પહેલાં થયેલી યુવાનની હત્યાના કેસમાં અદાલતે ચાર શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી છે. અદાલતે ચારેય આરોપીઓને રૂા. ૧-૧ લાખનો દંડ પણ ફટકારેલ છે.
જૂનાગઢના સુખનાથ ચોકમાં તા. ૧૦-પ-ર૦૧પના રોજ નુરી મસ્જીદ પાસે રહેતા શબ્બીર હમીરભાઈ સુમરા નામના યુવાનને સુખનાથ ચોકમાં ગભરૂ ઉર્ફે અકીલ સલીમભાઈ ઉર્ફે હનીફભાઈ સુમરા સાથે માથાકુટ થઈ હતી. અકીલ જાહેરમાં ખેલ કરતો હોવાથી શબ્બીરે તેને ઝાપટ મારી હતી. આ અંગેની જાણ તેણે ઘરે જઈ પોતાના ભાઈ અલ્તાફને કરી હતી. ત્યારબાદ રાત્રે ૧ર.૧પ કલાકના અરસામાં અલ્તાફ, શબીર, તેમના પડોશી આરીફભાઈ મહંમદભાઈ બાબી સુખનાથ ચોકમાં સમાધાન માટે ગયા હતા. ત્યારે અકીલ મોટરસાઈકલ ઉપર આવ્યો હતો અકીલે છરી કાઢી શબ્બીરને મારી દીધી હતી. દરમ્યાન અકીલના ત્રણ સાગ્રીતો નુર મહંમદ ઉર્ફે ટીનુ ઉર્ફે કાલીયો ઈબ્રાહીમભાઈ શેખ, હમીદ હુસેનભાઈ અબુભાઈ હીંગોરા અને સોહીલ આમદભાઈ કાસમભાઈ દલ ત્રિપલ સવારીમાં આવી પહોંચ્યા હતા. તમામ ભેગા મળી શબ્બીર ઉપર તુટી પડયા હતા. બીજા લોકોએ શબ્બીરને છોડવી જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ખસેડયો હતો જયાં તેને ફરજ ઉપરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
આ બનાવમાં અલ્તાફે ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ જુનાગઢના પાંચમા એડી. સેશન્સ જજ પી.એમ. સાયાણીની કોર્ટમાં ચાલી જતાં સેશન્સ કોર્ટે ચારેય શખ્સોને તકસીરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા અને રૂા. ૧-૧ લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. દંડની રકમમાંથી રપ ટકા મૃતકની પત્નીને, રપ ટકા તેના માતા-પિતાને અને પ૦ ટકા સગીર પુત્રને ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો.
અદાલતે તેના ચુકાદામાં એમ પણ જણાવ્યું છે કે આરોપીઓના આશ્રિતોને સરકાર તરફથી સહાય આપી શકાય. તેઓનું કલ્યાણ થાય અને તેઓ આવા ગુના અને તે પ્રકારની કામગીરી, માનસિકતામાંથી છુટકારો મેળવે એ માટે રાજય સરકાર તરફથી કામગીરી થાય તે આવશ્યક છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!