રાજકોટ જિલ્લાનું અને વિંછિયા તાલુકાનું છેવાડાનું ગામ ગઢાળા ‘નલ સે જલ’ યોજના દ્વારા બન્યું પાણીદાર ગામ

0

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સૌથી છેવાડાના ગામ ગઢાળા ખાતે ‘નલ સે જલ’ અન્વયે વાસ્મો દ્વારા રૂા.૨૧,૫૪,૨૬૯ના ખર્ચે તૈયાર થયેલ ગામના તમામ ૩૨૭ ઘરો સુધી ઘરે-ઘર નળ દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાનું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે લોકાર્પણ યોજાયું હતું. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાનું સૌથી છેવાડાનું ગામ ગઢાળા આ નલ સે જલ યોજના અન્વયે હવે સૌથી પહેલા પાણીદાર ગામ બની અન્ય આસપાસના ગામો માટે આદર્શ બન્યું છે. તેમ ગઢાળા ખાતે ઘરે- ઘર નળ દ્વારા પાણી વિતરણની યોજનાનું લોકાર્પણ કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મહત્વાકાંક્ષી એવા ઓગમેન્ટેશન જનરલ ઇન રૂરલ એરીયા ટેપ કનેકટીવીટી કાર્યક્રમ અન્વયે સમગ્ર દેશમાં ગ્રામ્ય કક્ષાએ ઘર આંગણે નળ દ્વારા પાણી વિતરણની યોજના અમલી બનાવી છે. જે અંતર્ગત રાજયના તમામ ગામોનો તબક્કાવાર આ યોજના અન્વયે સમાવેશ કરી અમલીકરણ થશે. જેથી ગ્રામ્યકક્ષાએ લોકોને ખાસ કરીને મહિલા વર્ગને દુર સુધી પાણી ભરવા જવાની મુશ્કેલીમાંથી રાહત થશે. આ તકે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે નાના અને છેવાડાના છતાં આદર્શ એવા આ ગામમાં વાસ્મો દ્વારા રૂા.૨૧,૫૪,૨૬૯ના ખર્ચે તૈયાર થયેલ આ યોજના જિલ્લા સમિતિ દ્વારા તા. ૨૮/૦૧/૨૦૨૦માં મંજુર થયેલ હતી. પરંતુ ગામના જાગૃત સરપંચ ભરતભાઇ ગરણીયા અને ગોરસભાઇ તથા અરવિંદભાઇની ટીમે ગામના ઘરેઘરે ફરી લોકોને જાગૃત કરી ઘરદીઠ લોકફાળો ઉઘરાવી વાસ્મો દ્વારા રૂા.૨૧,૫૪,૨૬૯ના ખર્ચે તૈયાર થયેલ ઘરે ઘરે નળ દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા માટે રૂા.૨,૩૫,૦૦૦નો લોકફાળો એકત્ર કર્યો છે. આમ આ યોજના ખરેખર તો ગામની પોતીકી યોજના છે માટે ગામના દરેક નાગિરકે આ યોજના અન્વયે થયેલ કામગીરીનું જતન થતા રાખરખાવ રાખવા તૈયાર રહેવા તથા પાણીનો બગાડ ન કરી યોગ્ય ઉપયોગ કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. જસદણ અને વિછિંયા તાલુકાઓ કાયમ પાણીની અછત ભાગવતાં તાલુકાઓ છે. પરંતુ આલણસાગર સહિતના આ તાલુકાઓના જળાશયોને સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણી મળતા હવે પાણીની અછત નહીં રહે. આ ઉપરાંત નલ સે જલ યોજના દ્વારા ઘરેઘર પાણીનું વિતરણ શકય બનતા પીવાના પાણી માટે આ તાલુકાની મહિલાઓને બેડા માથે ઉંચકી દુર સુધી હવે જવું નહીં પડે તે બાબતે સંતોષ વ્યકત કરતા મંત્રી બાવળીયાએ સરપંચ ભરતભાઇ તથા તેમની ટીમ અને ગામ લોકાની પીવાના પાણી માટેની આ યોજનામાં આગેવાની કરવા અંગે પ્રશંસા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઢાળા ગામે ત્રણ ઘટકોમાં થયેલ આ કામગીરીમાં પ્રથમ ઘટકમાં સૌની યોજના અન્વયે ભડલી જુથ યોજના અંતર્ગત ગામથી આવતા પાણીના સંગ્રહ માટેના સમ્પથી ગામની તમામ શેરીઓ સુધીની પાઇપલાઇન બીછાવાઇ હતી. બીજા ઘટકમાં શેરીઓથી ૩૨૭ ઘરો સુધી અડઘાની પાઇપલાઇન ઘરેઘર સુધી પહોંચાડાઇ હતી. જયારે ત્રીજા ઘટકમાં સમ્પ ઉપર ૧૦ હોર્સપાવરની પમ્પીંગ મશીનરી વડે પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવાઇ છે. આમ રાજકોટ જિલ્લાનું સૌથી છેવાડાનું એવું ગઢાળા ગામ હવે પાણીદાર ગામ બન્યું છે. આ કાર્યક્રમમાં વિંછિયા તાલુકા વિકાસ અધિકારી વી.આર.રાબા., મામલતદાર આર.બી.ડાંગી, જિલ્લા પંચાયતના સદસ્ય કાળુભાઇ, વાસ્મોના અધિકારી નિતિનભાઇ રૂપારેલીયા, કર્મચારી મગનભાઇ અઘારા અને વિપુલભાઇ ડેરવાલીયા, અગ્રણી ખોડાભાઇ ખસીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!