જૂનાગઢમાં ‘આ ગાડી પ્રજાના ટેક્ષનાં ભરેલા પૈસાથી ફરે છે’ તેવા વિરોધ પ્રદર્શનનો મનપાના પદાધિકારીઓ -અધિકારીઓ પાસે છે કોઈ જવાબ ?

0

જૂનાગઢ મહાનગરપાલિકાના ચોગાનમાં ગઈકાલે જનતા ગેરેજ નામક સંસ્થાના કાર્યકરોએ જૂનાગઢ મનપાના અધિકારીઓની ગાડી ઉપર આ ગાડી પ્રજાનાં ટેક્ષનાં ભરેલા પૈસામાંથી ફરે છે તેવા સ્ટીકર લગાવી ભારે વિરોધ પ્રર્દશન કર્યુ હતું. અને લોકોનાં અવાજને વાચા આપી હતી. ત્યારે પ્રજાના સેવકો તમે પણ વિચાર કરો કે લોકોનાં અવાજની રજુ કરતી આ વાત સાચી છે જાે સાચી હોય તો જાહેરમાં તેનો સ્વીકાર કરો અને પ્રજા સમક્ષ એવી પ્રતિજ્ઞા કરો પ્રજાએ જે પરસેવાના પૈસા રૂપી વેરા ભર્યા છે તેમાંથી અમે એક પણ પાઈ પોતાના માટે ખર્ચશું નહીં ના પડકારને ઉપાડી લઈ અને જવાબ આપી દેવો જાેઈએ.
ગુજરાતનું સૌથી નાના પ્રકારની ગણાતી મહાનગરપાલિકા તંત્ર એટલે જૂનાગઢ મહાનગરપાલિકા અને જેના ઉપર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણી અને તેમની સરકારનાં ચારેય હાથ છે. ખોબે ને ખોબે વિકાસ માટે જયાં રૂપિયાનાં ઝાડ ખંખેરાય છે અને વિકાસ કામોની મોટી- મોટી ગ્રાંટો ફાળવવામાં આવી ગઈ છે તેમ છતાં લાઈટ, પાણી રસ્તા, ગટર સહિતનાં પ્રાથમિક પ્રશ્નોથી જૂનાગઢની જનતા પીડાઈ રહી છે. જૂનાગઢનો વિકાસ થતો નથી કેમ તેવા સવાલ સાથે લોકોમાં તિવ્ર રોષની લાગણી વ્યાપક બની છે. બીજી તરફ જુનાગઢ મહાનગરપાલિકાનાં ચૂંટાયેલા કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારોમાં પ્રજાના કોઈ કામ થતા નથી તેવી ફરીયાદો કરી રહયા છે. જયારે – જયારે બોર્ડ મળે છે ત્યારે સતાધારી પાર્ટીના કોર્પોરેટરોએ પણ લોક પ્રશ્નો અવાજ ઉઠાવ્યો છે. વિરોધપક્ષ પોતાની અસરકારક ભૂમિકા નિભાવી રહેલ છે. સંપુર્ણ બહુમતી હોવા છતાં જૂનાગઢ મહાનગરપાલિકામાં વિકાસના ચક્રો ગતિમાન થતા નથી તેવા અનેક સવાલો વચ્ચે ગઈકાલે એક આશ્ચર્યકારક ઘટના મહાનગરપાલિકાનાં પ્રાંગણમાં બની હતી. જૂનાગઢ મહાનગરપાલિકાનાં વાહનોનાં થતો દુરૂપયોગ અંગે જનતા ગેરેજ સંસ્થાના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ ગાડી પ્રજાના ટેક્ષનાં ભરેલા પૈસામાંથી ફરે છે. તેવા સ્ટીકર લગાડયા બાદ માંડ – માંડ મામલો થાળે પડયો હતો. જનતા ગેરેજ દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું તે અનોખુ પ્રદર્શન હતું. જૂનાગઢ મહાનગરપાલિકાનાં ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા પણ અગાઉ મનપાની ગાડીઓ લઈને ફરતા. પદાધિકારીઓ સામે ભારે અવાજ ઉઠાવેલ છે અને લોકોનાં પૈસાનો થતો તિવ્ર બગાડો સામે આક્રોશ વ્યકત કર્યો હતો અને તપાસની માંગ કરી હતી. મહાનગરપાલિકામાં એક વાત નિશ્ચીત છે કે , ફરીયાદોના ગમે તેટલા પોટલા બાંધવામાં આવે પરંતુ આ પોટલાની ગાંઠ ખુલતી નથી તે પણ એટલું જ સત્ય છે. તંત્ર નિંર્ભર બની ગયું છે.
જૂનાગઢ મનપાના પદાધિકારીઓ – અધિકારીઓ દ્વારા મનપાના વાહનોનો પોતાના માટે અંગત ઉપયોગ કરાતો હોવાના વિરોધમાં ગઈકાલે જનતા ગેરેજના કાર્યકરોએ મનપા ખાતે મહાપાલિકાના વાહનો ઉપર આ ગાડી પ્રજાના પૈસે ફરે છે લખેલા સ્ટીકર લગાવ્યા હતા. જૂનાગઢ મનપાના કમિશ્નરને જાણ થતાં તેઓએ કાર્યકરોને બોલાવતા ઉગ્ર ચર્ચા થઈ હતી. બાદમાં લેખિત ફરીયાદ આપો તો તપાસ કરી પગલાં લેવા ખાતરી આપતા સ્ટીકર કાઢવામાં આવ્યા હતા અને મામલો થાળે પડયો હતો. જૂનાગઢ મહાપાલિકાના વાહનોને અમુક અધિકારીઓ – પદાધિકારીઓ દ્વારા દુરૂપયોગ થઈ રહયો હોવાની ફરીયાદો ઉઠી હતી. થોડા દિવસ પહેલા મનપાના એક અધિકારી પોતાના પત્નીને મનપાના વાહનમાં મુકવા જતા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો. જૂનાગઢ મનપાના અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા વાહનોના થતા અંગત દુરૂપયોગના વિરોધમાં ગઈકાલે જનતા ગેરેજના કાર્યકરોએ નવતર પ્રયોગ કર્યો હતો અને મનપાના ગ્રાઉન્ડમાં પડેલા મેયર, કમિશ્નર, કાર્યપાલક ઈજનેર અને શાસક પક્ષના નેતાની કારની પાછળ આ ગાડી પ્રજાના ટેક્ષના ભરેલા પૈસામાંથી ભરેલ છે તેવા લખેલા સ્ટીકર લગાવ્યા હતા અને જૂનાગઢ મનપા તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી. આ અંગે જાણ થતાં કમિશ્નરે જનતા ગેરેજના કાર્યકરોને બોલાવી ફરીયાદ હોય તે લેખિતમાં આપો, તપાસ કરી અમે કાર્યવાહી કરીશું. તમે સ્ટીકર લગાવી મીડિયામાં હાઈલાઈટ થવા સ્ટંટ કરો છો તેમ કહેતા ઉગ્ર ચર્ચા થઈ હતી. બાદમાં જનતા ગેરેજના કાર્યકરોએ લેખિત ફરિયાદ આપી તેની તપાસ બાદ પગલાં લેવા અંગે કમિશ્નરે ખાતરી આપી હતી અને સ્ટીકર કાઢવા જણાવતા વાહનોમાં લગાવેલા સ્ટીકર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પડયો હતો.
કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ ગાડીનાં દુરૂપયોગ અંગે અનેકવાર રજુઆત કરી છે
• ગઈકાલે આ ગાડી પ્રજાના પૈસાથી ફરે છે તેવા સ્ટીકર લગાવ્યા બાદ તપાસની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. પરંતુ યોગ્ય તપાસ થશે ખરી.તેવો જનતામાં સવાલ.
• ભુતકાળમાં પણ જૂનાગઢ મનપામાં વિવિધ કૌભાંડો થયા છે પરંતુ તપાસ થાય છે ખરી.
• રસ્તા બનાવવાના કૌભાંડ, તૂટી જવાના કૌભાંડ, રસ્તા રીપેર કરવાનાં કૌભાંડ, પગાર વધારાના કૌભાંડ સહિત અનેક મુદ્દે કૌભાંડ- કૌભાંડ.
• ભંગાર કૌભાંડ, ગેરેજ કૌભાંડ, ટાઉનહોલ કૌભાંડ, ગૌશાળાનું કૌભાંડ, વૃક્ષો વાવવાનું કૌભાંડ આ પ્રશ્ને તપાસ રીપોર્ટ જાહેર કરાયો નથી.
• લોકો તો હવે પોતાની વ્યથા ઠાલવવી તો કોના સમક્ષ ફરીયાદ કરવી તેવી હૈયા વરાળ ઠાલવી રહયા છે.
• ગુજરાતનાં મુખ્યમંત્રીએ જે જૂનાગઢ માટેની પરીકલ્પના સેવી છે તે સાકાર થવામાં કોણ – કોણ નડે છે તે માટે આમ જનતાનો અભિપ્રાય લેવાની જરૂર છે.
• મુખ્યમંત્રી તેમજ અન્ય નેતાઓ આવે છે ત્યારે જૂનાગઢમાં બધુ જ સારૂ છે. તેવો જે માહોલ ઉભો થાય છે તેનો ઘટસ્ફોટ લોકોની સાથેની ચર્ચામાં બહાર આવે.
• મનપાની ગાડીનાં દુરપયોગ અંગે કોંગ્રેસનાં કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ અનેકવાર બુમબરાડા પાડી જનરલ બોર્ડને ગજાવી અને વારંવાર અખબારી નિવેદનો જારી કરેલ છે. તેમ છતાં આજ દિવસ સુધી યોગ્ય તપાસ શા કારણે થતી નથી અને ગાડી કેટલા કિલોમીટર ફરે છે તે અંગેની જીપી સીસ્ટમ શા માટે ફીટ કરવામાં આવતી નથી. શું તેવો કોંગ્રેસના કોર્પોરેટર છે એટલા માટે તેવો સવાલ પણ ઉઠી રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!